કંગાળ થઇ ગયેલા પાકિસ્તાનને તેના એક 'પરમ મિત્ર'એ મોટો આંચકો આપ્યો છે.
પાકિસ્તાનનું વિમાન કુઆલાલંપુરમાં જપ્ત કરાયું
પ્રવાસીઓને ઉતારી દેવાયા અને વિમાન કબ્જે કરાયું
મલેશિયાએ પાકિસ્તાનની સરકાર સંચાલિત એરલાઇન્સ 'પાકિસ્તાન ઇન્ટરનેશનલ એરલાઇન્સ'નું બોઇંગ 777 પેસેન્જર પ્લેન કબજે કર્યું છે. પાકિસ્તાની મીડિયા રિપોર્ટ્સ અનુસાર, વિમાનને ભાડે લીઝ પર અપાયું હતું અને પૈસા નહીં ચૂકવવાને પગલે વિમાનને કબજે કરવામાં આવ્યું હતું. કુઆલાલંપુર એરપોર્ટ પરની આ ઘટના સમયે, મુસાફરો અને ક્રૂ વિમાનમાં સવાર હતા, પરંતુ તેઓને ઉતારી લેવાયા હતા અને વિમાન લઇ લેવાયું હતું.
લીઝની શરત હેઠળ પૈસા ચૂકવવામાં ન આવતાં વિમાન કુઆલાલંપુરમાં જપ્ત કરાયું
પાકિસ્તાની અખબાર ડેઇલી ટાઇમ્સના અહેવાલ મુજબ, 'પાકિસ્તાન ઇન્ટરનેશનલ એરલાઇન્સ' પાસે કુલ 12 બોઇંગ 777 વિમાન છે. આ વિમાનોને વિવિધ કંપનીઓ દ્વારા સમય સમય પર લીઝ પર આપવામાં આવે છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે જે વિમાન મલેશિયા દ્વારા કબજે કરવામાં આવ્યું હતું તે પણ લીઝ પર હતું પરંતુ લીઝની શરત હેઠળ પૈસા ચૂકવવામાં ન આવતાં વિમાન કુઆલાલંપુરમાં જપ્ત કરાયું છે.
અગાઉ સાઉદી અરેબિયાએ ઇમરાન ખાન સરકાર પાસેથી તેના 3 અબજ ડોલર પાછા માંગી લીધા હતા. ઇમરાનની સરકારે ચીન પાસેથી લોન લઈને સાઉદી અરેબિયાની લોન ભરપાઈ કરી હતી.
PIAનો સ્ટાફ અનેક દાણચોરીમાં ઝડપાયો હોવાનું જાણવા મળ્યું
તમને જણાવી દઇએ કે ગયા વર્ષે મે મહિનામાં દેવામાં ડૂબેલા PIAનું વિમાન કરાચીમાં ક્રેશ થયું હતું. એટલું જ નહીં, 'પાકિસ્તાન ઈન્ટરનેશનલ એરલાઇન્સ'ને લઈને દેશમાં નવા ખુલાસાઓ થઈ રહ્યા છે. દેશના ઉડ્ડયન મંત્રી સરવર ખાને થોડા સમય પહેલા આરોપ લગાવ્યો હતો કે PIAના લગભગ 40% પાઇલટ્સ નકલી છે એટલે કે સર્ટિફાઇડ નથી. એટલું જ નહીં, ઇમરાન ખાનના પક્ષના પ્રવક્તાએ કહ્યું છે કે PIAનો સ્ટાફ અગાઉ પણ અનેક દાણચોરીમાં ઝડપાયો હોવાનું જાણવા મળ્યું છે.
એક ટીવી ચેનલ સાથેની વાતચીત દરમિયાન પ્રવક્તાને સવાલ કરવામાં આવ્યો હતો કે શું નકલી પાયલોટ કૌભાંડથી પાકિસ્તાન એરલાઇન્સ દુનિયામાં મજાક બની ગઈ છે. તેમણે આ મુદ્દે કહ્યું કે એવું નથી. તેમણે કહ્યું, "જ્યારે અમને વાત આવી કે અમારું ક્રૂ દાણચોરી કરનારા માફિયા સાથે સંકળાયેલું છે જેમાં ડ્રગ્સ, ચલણી નોટો, સોનાની દાણચોરી શામેલ છે, ત્યારે અમે આરોપી પાયલોટને પકડી પાડયા અને તેમની સામે ચાર્જીસ લગાવવામાં આવ્યા. પક્ષના પ્રવક્તાએ કહ્યું છે કે અગાઉ આવી ઘટનાઓ નોંધાઈ છે.
નકલી પાયલોટ એક્ઝામ નથી આપતા
કરાચી દુર્ઘટના બાદ સરવર ખાને કહ્યું કે ગયા વર્ષે તપાસમાં બહાર આવ્યું છે કે પાકિસ્તાનના 860 સક્રિય પાઇલટ્સમાંથી 262 પાઇલટ્સ પાસે કાં તો બનાવટી લાઇસન્સ છે અથવા તેઓએ પરીક્ષામાં છેતરપિંડી કરી હતી.
તેમણે કહ્યું કે આ પાઇલટ્સે ક્યારેય પરીક્ષા આપી નથી અને ન તો વિમાનને ઉડવાનો યોગ્ય અનુભવ છે. ખાને કહ્યું કે કમનસીબે, પાયોટ્સની નિમણૂક રાજકીય આધારો પર કરવામાં આવે છે. તેમણે કહ્યું કે PIAના 4 પાઇલટની ડિગ્રી નકલી હોવાનું જણાયું છે અને નિમણૂક સમયે યોગ્યતાની અવગણના કરવામાં આવી છે.