ઘડતરના પાઠ તો ઈમાનદારીથી શીખવા દો: ભાવનગરના નેસવડમાં પેપર ચોરી મામલે પોલીસે મહત્વના ખુલાસાઓ કર્યા
ભાવનગરના નેસવડમાં પેપર ચોરી મામલો
સ્કૂલના બે કિશોરોએ કરી હતી પેપરની ચોરી
પેપરની ચોરીમાં કિશોરોની સંડોવણી
ગુજરાતમાં સ્પર્ધાત્મક પરીક્ષાના પેપરો ફૂટવાની ઘટના તો બનતી રહી છે પરંતુ હવે તો શિક્ષણનો પાયો કહી શકાય તેવા પ્રાથમિક શિક્ષણના પેપરોની ચોરી થવાના બનાવે ચકચાર મચાવી છે જેમાં ભાવનગરના નેસવડ ગામે કબાટમાં રખાયેલા પેપરોની ચોરી થતા સમગ્ર પોલીસ બેડુ અને શિક્ષણ વભાગ દોડતું થયું હતું. જો કે પોલીસે હાલ ૩ શંકાસ્પદ યુવકોને ઝડપી લઇ ને પૂછપરછ હાથ ધરતા મોટા ખુલાસા થયા છે.
શાળાના જ 2 વિદ્યાર્થીઓએ ચોરી કરી હતી: ASP સફીન હસન
ભાવનગર ASP સફીન હસને સમગ્ર બાબતે પત્રકાર પરિષદ યોજી હતી અને તપાસની વિગતો આપતા જણાવ્યું હતું કે ધોરણ 7ના પેપરોની ચોરીમાં 2 કિશોરોની સંડોવણી બહાર આવી છે.
શાળાના જ 2 વિદ્યાર્થીઓએ તાળા તોડીને સીલબંધ પેપરોની ચોરી કરી હતી. હાલ પોલીસ ચોરાયેલા પેપર રિકવર કરવા કામગીરી કરી રહી છે
શું છે સમગ્ર કેસ?
ભાવનગર તળાજાના નેસવડ ગામની સરકારી પ્રાથમિક શાળામાંથી પેપર ચોરાયા હોવાની ઘટના સામે આવી છે. ગત 20 એપ્રિલની રાત્રે અજાણ્યા શખ્સોએ સરકારી પ્રાથમિક શાળાના કાર્યાલયના દરવાજાનું તાળું તોડી કાર્યાલયમાં પ્રવેશ્યા અને કાર્યાલયમાં રહેલા કબાટનું તાળું તોડી તેમાં રહેલા પરીક્ષાના પેપરની ચોરી કરી હતી. અજાણ્યા શખ્સોએ ધોરણ-7ના તમામ વિષયોના ત્રણ-ત્રણ પેપરો, ધોરણ-8ના ગુજરાતીના એક પેપર મળી કુલ 22 પેપરોની ચોરી કરી છે. ઉલ્લેખનીય છે કે, દીહોર કેન્દ્રવર્તી શાળામાંથી નેસવડ ગામની સરકારી પ્રાથમિક શાળામાં પેપર લાવવામાં આવ્યા હતાં. શાળામાં પેપરોની ચોરી થઈ હોવાનું પ્રાથમિક શાળાના શિક્ષક દેવરાજ ધાધલા જાણ થતાં તેઓએ આ મામલે પોલીસ ફરિયાદ કરી હતી. પેપર લેવાતા ચોરી થઈ જતાં ભાવનગર-રાજકોટ જિલ્લામાં 22થી 23 એપ્રિલે યોજાનારી પરીક્ષા રદ કરવામાં આવી છે. સોમવારથી પરીક્ષા રાબેતા મુજબ લેવામાં આવશે.
પેપરકાંડ કયા અટકશે?
સવાલ અહીં એ થાય છે કે, શા માટે ગુજરાતમાં વારંવાર પેપર ફૂટવાની કે પેપર ચોરીની ઘટના બની રહી છે? કેમ તંત્ર પેપર ચોરીની ઘટનાને અટકાવી શકતુ નથી? કેમ પેપરની યોગ્ય સુરક્ષા વ્યવસ્થા કરવામા નથી આવતી? વારંવાર પેપરકાંડ થશે તો કેવી રીતે ગુજરાતના વિદ્યાર્થીઓને સિસ્ટમ પર ભરોસો બેસશે? પેપર ચોરીની ઘટનાનો આ સિલસિલો ક્યારે અટકશે? સવાલો અનેક છે. તેવામાં આશા રાખીએ કે, આ પેપર ચોરીકાંડમાં આરોપીઓને વહેલી તકે ઝડપી સરકાર દાખલા રૂપ કાર્યવાહી કરે જેથી આવા કાંડ ગુજરાતમાં ઘટવાનું બંધ થાય.