મોદી સરકારના કેબિનેટ મંત્રી નિતિન ગડકરી હંમેશા પોતાના નિવેદનોનાં કારણે ચર્ચામાં રહેતા હોય છે. તેમનું નિવેદન ભલે સરકારના હિતમાં હોય કે નાગરિકોના હિતમાં હોય. પરંતુ તેમના નિવેદનથી સરકારને નુકસાન થઈ રહ્યું હોવાનો ભાવ કેટલાંક નેતાઓ અનુભવતા હોય છે. ત્યારે એ બધી બાબતોની ચિંતા ફગાવીને નીતિન ગડકરીએ ફરી એક વખત પોતાના મતક્ષેત્રમાં એવું નિવેદન આપી દીધું છે. જેનાં કારણે સરકારી અધિકારીઓમાં નારાજગી જોવા મળી રહી છે.
પોતાના નિર્ભિક અને સ્પષ્ટ નિવેદનોથી સમયાંતરે વિવાદ ઊભો કરનારા ભાજપના કદાવર નેતા નીતિન ગડકરીનું વધુ એક મોટું નિવેદન સામે આવ્યું છે. નીતિન ગડકરીએ કામ ન કરનારા અધિકારીઓની ધોલાઈ કરવાની વાત કરી નાખી છે. કેન્દ્રીય મંત્રી નિતીન ગડકરી પોતાના મતક્ષેત્રમાં મધ્યમ, સૂક્ષ્મ અને લઘુ ઉદ્યોગ સાથે જોડાયેલા લઘુ ઉદ્યોગ ભારતી સંમેલનને સંબોધિત કરી રહ્યાં હતાં.
આ સંમેલનમાં ઉપસ્થિત ઉદ્યોગકારોને ગડકરીએ નિડર બનીને પોતાના વ્યસાયને વિસ્તારવાની વાત કરી. તે એ વિષય પર પણ બોલ્યા કે કેવી રીતે અધિકારીઓ દ્વારા વ્યવસાયકારોને પરેશાન કરવામાં આવે છે. નિતિન ગડકરીએ એ પહેલા આરટીઓ કાર્યાલયમાં એક બેઠક કરી હતી જ્યાં તેમણે અધિકારીઓને ચેતવણી આપતાં કહ્યું હતું કે, 'સમસ્યાનું જલ્દી નિરાકરણ લાવો નહીં તો જનતાને કહીશ કે કાયદો હાથમાં લે અને તમારી ધોલાઈ કરે.'
#WATCH Nitin Gadkari at Laghu Udyog Bharti convention in Nagpur y'day: Aaj mere yahan RTO office ki meeting huyi, aise hi gadbadiyan karte hain, maine kaha ye 8 din mein suljhao nahi to main logon ko kahoonga kayeda haath mein lo aur dhulai karo..logon ko taklif nahi honi chahiye pic.twitter.com/yAoRDqko0V
નિતીન ગડકરીનું આ નિવેદન કેટલાંકને જરૂર ખૂંચતું હશે અને તેઓ આ નિવેદનને વિરોધાભાષી સંદર્ભમાં જ મૂલવી રહ્યાં હશે પરંતુ નિતિન ગડકરીની આ વાતમાં સચ્ચાઈનો રણકો છે. તેમની વાતમાં અમલદારશાહીથી પરેશાન નાગરિકોનો અવાજ છે. હકીકતમાં ગડકરી એવા અધિકારીઓ વિશે વાત કરી રહ્યાં હતા કે જે કામ નથી કરતા. તેઓ નાના ઉદ્યોગકારોના હિતમાં વાત કરી રહ્યાં હતાં. કેમ કે, લોકો સરકારી તુમારશાહીનો ભોગ બની રહ્યાં છે. કેટલાંક અધિકારીઓ સામાન્ય નાગરિકોને નિયમો બતાવી પરેશાન કરે છે.
કેટલાંક અધિકારીઓ તો નિરાકરણના બદલે સમસ્યા લંબાવતા હોય છે. અધિકારીઓ ઈરાદાપૂર્વક બિલ અટકાવી રાખે છે. બિલના નિકાલ માટે હપ્તાની સિસ્સ્ટમ ઊભી કરે છે. જેના કારણે નાના વેપારીઓ અને વ્યવસાયકારો પરેશાન થઈ જાય છે. નીતિન ગડકરી આ વેદનાની વાત કરી રહ્યાં હતાં. કેમ કે, ગડકરી લોકોની વચ્ચે કામ કરતા નેતા છે અને તેમને મુશ્કેલીની ખબર છે.
આજે જ્યારે મોદી કેબિનેટમાં તમામ મંત્રીઓ પર કામનું એટલું દબાણ છે કે, કોઈ મંત્રી નિર્ભિક રીતે સરકારી અધિકારીઓને રોકડું પરખાવી શકતા નથી ત્યારે નીતિન ગડગરીએ કામ ન કરનારા અને નિયમો દેખાડી લોકોને હેરાન કરનારા અધિકારીઓને જાહેરમાં અરીસો દેખાડી દીધો છે. એટલું જ નહીં તેમણે કામ ન કરનારા અધિકારીઓની ધોલાઈ કરવાની પણ ચેતવણી આપી દીધી છે. એ વાત અંતે તો લોકોનો જ અવાજ છે.