હા આ વાત ૧૦૦ ટકા સાચી છે. વૈજ્ઞાનિકોએ મલેરિયાથી દૂર રહેવાની એક ગજબની તરકીબ શોધી કાઢી છે. તમારા સૂવાના પલંગ પાસે મરઘી રાખીને સૂવાથી એક પણ મચ્છર કરડતું નથી!
મલેરિયા જર્નલ નામના એક મૅગેઝિન પ્રમાણે સંશોધકોને જાણવા મળ્યું છે કે મરઘીને પલંગની પાસે રાખીને સૂવાથી મચ્છરો આવતા નથી અને મચ્છરો કરડવાથી થતાં મલેરિયા અને ઝિકા જેવા જીવલેણ રોગોથી દૂર રહી શકાય છે.
સ્વીડિશ અને ઇથોપિયન વૈજ્ઞાનિકોએ શોધી કાઢ્યું છે કે જે ઘરમાં મરઘી હોય છે તે ઘરથી મચ્છરો દૂર ભાગે છે. વૈજ્ઞાનિકોએ ઇથોપિયામાં એક અભ્યાસ દરમિયાન આ શોધી કાઢ્યું હતું. સંશોધનમાં તેઓને જાણવા મળ્યું છે કે મચ્છરોને માનવીના લોહિનો સ્વાદ ખૂબ ભાવે છે. જ્યારે કે મરઘીની દુર્ગંધથી તેઓ દૂર ભાગે છે.
એનોફિલિસ એરેબિયન્સિસ નામના મચ્છરોની જાતિ મલેરિયા ફેલાવવા માટે જવાબદાર છે. અભ્યાસ દરમિયાન શોધી કાઢવામાં આવ્યું છે કે મલેરિયા ફેલાવતા આ મચ્છરો જ્યાં મરઘીની હાજરી હોય ત્યાં આસપાસ ભટકતા નથી. એ તો ઠીક મચ્છરોને તો મરઘીનાં પીછાંની વાસથી પણ જાણે તાવ ચઢી જાય છે અને તેઓ ભાગી જાય છે.
સ્વીડિશ યુનિવર્સિટી ઓફ એગ્રીકલ્ચર સાયન્સીસના પ્રોફેસર રીચર્ડ ઇગ્નેલ જણાવે છે: "અમે એ જાણીને ચોંકી ગયા હતા કે મલેરિયા ફેલાવતા મચ્છરો મરઘીની વાસથી દૂર ભાગે છે."
સંશોધકો માને છે કે મચ્છરો મરઘીને જોખમી ગણે છે કેમ કે પક્ષીઓ જીવજંતુઓને ખાઈ જતા હોય છે અને પક્ષીઓનું લોહી પોષણયુક્ત હોતું નથી કે જેને પીવા માટે મચ્છરો જોખમ ઉઠાવે.