દિલ્હી: શાળાના વિદ્યાર્થીઓને લઇને કેન્દ્રીય માનવ સંસાધન મંત્રાલય મોટો નિર્ણય લેશે. પ્રકાશ જાવડેકરે જણાવ્યું કે NCERTના અભ્યાસક્રમને અડધો કરવામાં આવશે સાથે જ શાળામાંથી વિદ્યાર્થીઓને હોમવર્ક ન આપવા માટે નિયમ લાવવામાં આવશે. જેને લઇને સરકાર ચોમાસુ સત્ર દરમિયાન સંસદમાં નો હોમવર્ક વિધેયક લાવશે.
આ સાથે જ મદ્રાસ હાઇકોર્ટના ચુકાદા અંગે જાવડેકરે કહ્યું કે કોર્ટના ચુકાદા પર અમે અધ્યયન કરી રહ્યા છીએ. મદ્રાસ હાઇકોર્ટે કહ્યું હતું કે શાળાએ જતા વિદ્યાર્થીઓના દફ્તરનું વજન વિદ્યાર્થીના વજન કરતા 10 ટકાથી વધુ ન હોવું જોઇએ. કોર્ટે સરકારને ટકોર કરી હતી કે આ મામલે યોગ્ય નિયમ બનાવવામાં આવે.
ઉલ્લેખનીય છે કે શિક્ષાની સાથે-સાથે એક બાળકને શારિરીક એજ્યુકેશન અને મૂલ્યપર શિક્ષાની ખાસ આવશ્યકતા હોય છે. શિક્ષાનો અર્થ માત્ર યાદ કરવું અને ઉત્તર પુસ્તિકામાં લખવું એ જ જરૂરી નથી.
શિક્ષણ વ્યાપક છે. NCERTનો પાઠ્યક્રમ ઘણો જટિલ છે જેથી અમે તેને ઘટાડીને અડધો કરવાનો નિર્ણય કરી લીધો છે.આવી વાત કેન્દ્રના મંત્રી પ્રકાશ જાવડેકરે આજરોજ કરી હતી.