ગુજરાતી ફિલ્મ નાયિકા દેવીને રાજ્યમાં કરમુક્તિનો લાભ મળવા પાત્ર થશે. ગુજરાત સરકારે કરી જાહેરાત
ગુજરાત સરકારની મહત્વની જાહેરાત
ફિલ્મ નાયિકા દેવી જાહેર કરી કરમુક્ત
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કર્યો નિર્ણય
ગુજરાતી ફિલ્મ નાયિકા દેવી ગુજરાતના સિનેમાગૃહો દ્વારા આ ફિલ્મ પ્રદર્શિત કરવા બદલ ચૂકવાયેલા કરનું વળતર તેમને રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવશે.રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ગુજરાતી ચલચિત્ર નાયિકા દેવીને રાજ્ય સરકારની ફિલ્મ પ્રોત્સાહન નીતિના મળવાપાત્ર થતા લાભો આપવાની જાહેરાત કરી છે.
મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે પાટણના રાજમાતા નાયિકા દેવીના જીવન-કવન, સાહસ-શૌર્ય તેમજ મહમ્મદ ઘોરીને યુદ્ધમાં પરાજિત કરવાની શૂરવીરતાની ગાથાને રૂપેરી પડદે ઉજાગર કરીને ગુજરાતની સાંસ્કૃતિક ધરોહરને જીવંત રાખતી ગુજરાતી ફિલ્મ ‘નાયિકા દેવી’ ને રાજ્યમાં કરમુક્તિ આપવાનો નિર્ણય કર્યો છે.
સિનેમાગૃહ દ્વારા ચૂકવવામાં આવતા SGSTની પરત ચુકવણી કરાશે
આ ફિલ્મના પ્રદર્શન બદલ જે-તે સિનેમાગૃહ દ્વારા ચૂકવવામાં આવતા SGSTની પરત ચુકવણી તેમને રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવશે. આ માટે સિનેમાધારકે ‘આ ફિલ્મ કરમુક્ત છે’ તેવું સ્પષ્ટ દર્શાવવાનું રહેશે. તેમજ ફિલ્મના પ્રદર્શન બદલ ચૂકવાયેલા SGSTના વળતર માટે ગાંધીનગર માહિતી નિયામકની કચેરી ખાતે નિયત નમૂનામાં આવશ્યક પુરાવાઓ રજૂ કરીને ક્લેઈમ કરી શકાશે.
આ ફિલ્મમાં ખુશી શાહ મુખ્ય ભૂમિકા નિભાવવા જઈ રહી છે. તેની સાથે ચંકી પાંડે, મનોજ જોશી, ચિરાગ જાની પણ મુખ્ય ભૂમિકાઓમાં જોવા મળશે. ચંકી પાંડે આ ફિલ્મમાં મોહમ્મદ ઘોરીની ભૂમિકામાં જોવા મળશે. ફિલ્મના મ્યુઝિક કમ્પોઝર છે પાર્થ ભરત ઠક્કર, જેમના એનર્જીભર્યા મ્યુઝિકને કારણે ટ્રેલરમાં અલગ જ પ્રકારનો જુસ્સો જોવા મળી રહ્યો છે. ફિલ્મમાં ચિરાગ જાની નાયિકા દેવીનાં પતિના રોલમાં છે. નાયિકા દેવી: ધ વોરિયર ક્વીન ગુજરાતી સિનેમાની પહેલી ઈતિહાસ પર આધારિત ફિલ્મ હશે, જેને ટ્રી એન્ટરટેઈનમેંટ પ્રોડ્યુસ કરી રહ્યું છે. ફિલ્મનું નિર્દેશન નીતિન જી. દ્વારા કરવામાં આવ્યું છે.
ફિલ્મનાં પ્રોડ્યુસર ઉમેશ શાહ કહે છે કે હું આ ફિલ્મને અત્યાર સુધી જે પ્રતિસાદ મળી રહ્યો છે, તે જોઇને ખૂબ જ ખુશ છુ. આ ફિલ્મનો સૌથી મોટો પ્લસ પોઈન્ટ છે ચંકી પાંડે. તેમણે પોતાનો રોલ પરફેક્શનથી નિભાવ્યો છે અને અમે સ્ક્રીન પર મોહમ્મદ ઘોરીની ઝલક દર્શકો સુધી પહોંચાડવા માટે આતુર છીએ. જ્યારે નિર્દેશક નીતિને પણ ચંકી પાંડેનાં વખાણ કરતા કહ્યું છે કે ચંકી પાંડેએ મોહમ્મદ ઘોરીનાં પાત્ર સાથે ન્યાય કર્યો છે.
કોણ હતા રાણી નાયિકા દેવી?
ચાલુક્ય વંશનાં મહારાણી નાયિકા દેવીએ પાટણ પર વર્ષો સુધી રાજ કર્યું હતું. તેમણે 1178માં થયેલ યુદ્ધમાં મોહમ્મદ ઘોરીને પારાજીત કર્યો હતો. મોહમ્મદ ઘોરીને પૃથ્વીરાજ ચૌહાણે હરાવ્યો એ પહેલા પાટણનાં બહાદૂર મહારાણી નાયિકા દેવીએ તેને ધૂળ ચટાડી હતી. નાયિકા દેવી કદમ એટલે કે આજના ગોવાના મહામંડલેશ્વર પરમાનીનાં પુત્રી હતા. નાયિકા દેવીનાં પતિ અજયપાલ સિંહની એમના જ અંગરક્ષકોએ હત્યા કરી હતી. ત્યારે એક પુત્રનાં માતા નાયિકા દેવી પર પાટણનું રાજ સંભાળવાની જવાબદારી આવી પડી. તેઓ યુદ્ધકળામાં પણ પારંગત હતાં. એક વિધવા રાણી પોતાનો શું સામનો કરી શકશે એમ ધારી મોહમ્મદ ઘોરી પોતાના સૈન્ય સાથે ગુજરાત પર ધસી આવ્યો હતો. આબુ નજીકના સ્થળે થયેલા યુદ્ધમાં નાયિકા દેવીની આગેવાની હેઠળનાં લશ્કરે ઘોરીને હરાવ્યો હતો. ઘોરી ખરાબ રીતે ઘાયલ થઈને હાર્યો હતો. તે પછી ઘોરીએ 11 વર્ષ સુધી ભારત પર ચઢાઈ કરવાની હિંમત કરી શક્યો નહોતો.