બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 01:40 PM, 18 November 2025
બાંગ્લાદેશના પદભ્રષ્ટ PM શેખ હસીનાને આંતરરાષ્ટ્રીય ગુના ટ્રિબ્યુનલ (ICT) એ માનવતા વિરુદ્ધના ગુનાઓ માટે મૃત્યુદંડની સજા ફટકારી છે. ગયા વર્ષે જુલાઈમાં વિદ્યાર્થીઓના વ્યાપક અને હિંસક વિરોધ પ્રદર્શન દરમિયાન થયેલા અત્યાચાર માટે આ સજા આપવામાં આવી છે. ટ્રિબ્યુનલએ સોમવારે ભારે સુરક્ષા વચ્ચે આ ઐતિહાસિક અને અત્યાર સુધીની સૌથી કઠોર સજા જાહેર કરી હતી. માત્ર હસીના જ નહીં, પણ તે સમયના ગૃહ પ્રધાન અસદુઝમાન ખાન કમાલને પણ મોતની સજા અને પોલીસના ભૂતપૂર્વ મહાનિરીક્ષક ચૌધરી અબ્દુલ્લા અલ-મામુનને પાંચ વર્ષની કેદની સજા આપવામાં આવી છે. મામુને પોતાનો ગુનો કબૂલી લીધો હોવાથી તે સાક્ષી બન્યો હતો, જ્યારે હસીના અને અસદુઝમાનની સમગ્ર સંપત્તિ જપ્ત કરવાનો પણ આદેશ જારી થયો છે.
ADVERTISEMENT

આ કેસ હસીનાની ગેરહાજરીમાં ચાલ્યો હતો, કારણ કે તેઓ હાલમાં ભારતમાં રહે છે. અસદુઝમાન ક્યાં છે તે હજુ સુધી અજાણ છે, જ્યારે મામુન કસ્ટડીમાં જ છે. આ વચ્ચે, બાંગ્લાદેશની વચગાળાની સરકારે ભારતને શેખ હસીના અને અસદુઝમાનને તરત જ પ્રત્યાર્પણ કરવાની સત્તાવાર વિનંતી કરી છે. પરંતુ ભારતે હજુ સુધી આ મુદ્દે કોઈ પ્રતિસાદ આપ્યો નથી. આ મૌન આગામી રાજકીય પરિસ્થિતિને વધુ જટિલ બનાવે છે અને હસીનાના ભવિષ્ય પર મોટા પ્રશ્નચિહ્ન ઊભા કરે છે.
ADVERTISEMENT

ADVERTISEMENT
નિષ્ણાતો કહે છે કે શેખ હસીના પાસે હવે માત્ર બે વિકલ્પો જ બાકી છે. પ્રથમ વિકલ્પ એ છે કે તેઓ તેમની સજા સામે બાંગ્લાદેશ સુપ્રીમ કોર્ટમાં અપીલ કરે. પરંતુ ICT ની કલમ 21 મુજબ આ કાર્યવાહી માટે એક મહત્વપૂર્ણ શરત છે—હસીનાએ પહેલા બાંગ્લાદેશની કોઈ કોર્ટમાં આત્મસમર્પણ કરવું પડશે. તેના પછી જ તેઓ સુપ્રીમ કોર્ટના અપીલ વિભાગમાં અરજી કરી શકે છે. અપીલ કરવાની અંતિમ તારીખ 17 ડિસેમ્બર 2025 નક્કી કરવામાં આવી છે. જો અપીલ થાય તો સુપ્રીમ કોર્ટે 60 દિવસની અંદર ચુકાદો આપવો પડે છે. પરંતુ હસીનાએ આ ચુકાદાને રાજકીય બદલો ગણાવીને પહેલેથી જ નકારી નાખ્યો છે, તેથી તેઓ આત્મસમર્પણ કરશે તેવી શક્યતા અત્યંત ઓછી છે.
ADVERTISEMENT
બીજો વિકલ્પ વધુ રાજકીય છે હસીના ભારતમાં જ રહે અને વતન ન ફરે. પરંતુ આ માટે તેમને અનિશ્ચિત સમય સુધી ભારતની મંજૂરી મળવી જરૂરી છે. ભારતે તેમની પ્રત્યાર્પણ વિનંતી પર મૌન જાળવ્યું હોવાથી, સ્થિતિ વધુ જટિલ બની ગઈ છે. જો હસીના શરણાગતિ નહીં આપે તો મૃત્યુદંડ અંતિમ થઈ જશે અને તેમની પાર્ટી અવામી લીગ પર પણ પ્રતિબંધ મૂકાઈ શકે છે. પરંતુ જો પ્રતિબંધ લાગશે તો તેને પડકારવાની ક્ષમતા પણ હસીના પાસે નહીં રહે. આ સમગ્ર પરિસ્થિતિ દર્શાવે છે કે બાંગ્લાદેશનું રાજકીય ભાવિ, શેખ હસીનાનું ભવિષ્ય અને ભારતનો નિર્ણય—આગામી દિવસોમાં દક્ષિણ એશિયાના રાજકારણને નક્કી કરશે.
સંકળાયેલા મુદ્દાઓ
Nidhi Panchal, I am having 8 years of experience in Media Industry & also work as field reporting. Working as Sub-Editor at VTVGujarati Digital
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.