બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 10:35 AM, 1 November 2025
Gold Mines : હાલ સોનાના ભાવ આસમાને પહોંચ્યા છે ત્યારે રાજસ્થાનથી એક મોટા સમાચાર સામે આવ્યા છે. રાજસ્થાનના દક્ષિણ ભાગમાં સ્થિત બાંસવાડા જિલ્લામાં એક વિશાળ સોનાની ખાણ મળી આવવાના સમાચારથી સમગ્ર વિસ્તાર ઉત્સાહિત છે. વાસ્તવમાં ભૂસ્તરશાસ્ત્રીય સર્વેક્ષણ (GSI) દ્વારા કરાયેલા તાજેતરના સર્વેમાં સોનાની સાથે તાંબુ અને કોબાલ્ટ જેવી કિંમતી ધાતુઓના વિશાળ ભંડાર મળ્યા હોવાનું જણાયું છે. આ શોધને રાજસ્થાનમાં ખનિજ સંપત્તિના નવા અધ્યાય તરીકે જોવામાં આવી રહી છે.
ADVERTISEMENT
ત્રણ કિલોમીટર વિસ્તારમાં ખોદકામની તૈયારીઓ
GSIના પ્રાથમિક અહેવાલ મુજબ, બાંસવાડાના કાંકરિયાગઢ બ્લોકમાં આવેલા ચાર ગામો કાંકરિયાગઢ, ડુંગરિયાપારા, દેલવારા રાવના અને દેલવારા લોકિયાના આશરે ત્રણ ચોરસ કિલોમીટરના વિસ્તારમાં હજારો કિલોગ્રામ શુદ્ધ સોનાના ભંડાર હોવાનો અંદાજ છે. સરકારે અહીં ખોદકામ અને નમૂના સંગ્રહની પ્રક્રિયા શરૂ કરી દીધી છે. કેન્દ્ર સરકારે 3 નવેમ્બર સુધીમાં ખાણકામ માટેની અરજીઓ આમંત્રિત કરી છે જેમાં સૌથી વધુ બોલી લગાવનાર કંપનીને એક્સપ્લોરેશન લાઇસન્સ આપવામાં આવશે.
ADVERTISEMENT

અગાઉના સર્વેમાં પણ મળ્યા હતા ધાતુઓના નિશાન
ADVERTISEMENT
નોંધનીય છે કે, આ વિસ્તાર કઈં નવોદિત નથી. GSIએ લગભગ 5-6 વર્ષ પહેલાં પણ અહીં સર્વે કર્યો હતો, જેમાં 600 થી 700 ફૂટની ઊંડાઈ સુધી ખોદકામ કરવામાં આવ્યું હતું. તે સમયના નમૂનાઓમાં આશરે 1.20 ટન સોનું, 1000 ટન તાંબુ તેમજ થોડા પ્રમાણમાં કોબાલ્ટ અને નિકલ મળ્યા હતા. નવા સર્વેના આધારે નિષ્કર્ષણ અને ખાણકામની પ્રક્રિયા આગામી 2-3 વર્ષમાં શરૂ થવાની સંભાવના છે.

ADVERTISEMENT
ખનિજ ભંડારનો ખજાનો છે રાજસ્થાન
રાજસ્થાનના ઘાટોલના ભુખિયા-જગપુરા વિસ્તારમાં અગાઉ પણ દેશનો સૌથી મોટો સોનાનો ભંડાર મળી આવ્યો હતો જેમાં લગભગ 115 મિલિયન ટન ખનિજ, 14,000 ટન કોબાલ્ટ અને 11,000 ટન નિકલનો સમાવેશ થતો હતો. તે ખાણકામ હાલમાં રતલામની એક ખાનગી કંપની સંભાળી રહી છે.
ADVERTISEMENT

અરવલ્લી પર્વતમાળાની ભૂસ્તરશાસ્ત્રીય વિશેષતા
ADVERTISEMENT
ભૂસ્તરશાસ્ત્રીઓ જણાવે છે કે, બાંસવાડા અરવલ્લી પર્વતોની નજીક હોવાથી અહીંનું ભૂસ્તર આશરે 5,000 વર્ષ જૂનું છે. સમયાંતરે થયેલા ભૂસ્તર પરિવર્તનના કારણે કિંમતી ધાતુઓ સપાટીની નજીક આવી ગઈ છે. તેથી અહીં સોનું, તાંબુ અને શક્ય છે કે, આરસ જેવા ખનિજો પણ મળી શકે. જો આ અનુમાન સાચું સાબિત થાય તો આ વિસ્તાર રાજસ્થાનના અર્થતંત્રને નવી દિશા આપી શકે છે.
આદિવાસી વિસ્તાર માટે નવી પડકારભરી પરિસ્થિતિ
બાંસવાડાના આ વિસ્તારોમાં આશરે 90% વસતી આદિવાસી સમુદાયની છે. માહી ડેમ અને પરમાણુ પ્લાન્ટ બાદ હવે સોનાની ખાણ મળવાથી સ્થાનિક લોકોમાં વિસ્થાપનનો ભય વ્યક્ત થઈ રહ્યો છે. સરકારને ખાણકામ સાથે સાથે સ્થાનિક વસ્તીના હિતોનું સંરક્ષણ કરવું જરૂરી બનશે. બાંસવાડામાં મળેલ સોનાની ખાણ માત્ર રાજસ્થાન જ નહીં પરંતુ સમગ્ર દેશ માટે આર્થિક સમૃદ્ધિનું દ્વાર ખોલી શકે છે. જો ખોદકામ સફળ રહે તો બાંસવાડા ખનિજ ઉદ્યોગનું નવું કેન્દ્ર બની શકે છે. હવે જોવાનું એ રહેશે કે, આ ખજાનો સ્થાનિક વિકાસ માટે આશીર્વાદ સાબિત થાય છે કે નવા પડકારોનું કારણ બને છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.