ગુજરાતના વહીવટીતંત્રમાં વધુ એક મોટા પાયે બદલી થવાની શક્યતા
20થી 25 જેટલા DDO અને જિલ્લા કલેક્ટરોની બદલી થઈ શકે
મહેસાણા, વડોદરા અને ખેડા કલેક્ટરની જગ્યા ખાલી
ગુજરાત વિધાનસભાની ચૂંટણી અગાઉ અધિકારીઓની મોટાપાયે બદલી અને બઢતી જોવા મળી રહી છે. તો 9 જૂનના દિવસે 26 જેટલા ગુજરાતના IAS કક્ષાના અધિકારીઓની બદલી અને બઢતી કરાઈ હતી. તો હવે આગામી 2-3 દિવસમાં ગુજરાતના વહીવટીતંત્રમાં જિલ્લા સ્તરે મોટાપાયે બદલી થવાની શક્યતા છે. જેમાં આશરે 20 જેટલાં જિલ્લાઓમાં DDO અને કલેક્ટર લેવલના IAS અધિકારીઓની બદલીના સૂર સંભળાઈ રહ્યાં છે.
હવે કયા અધિકારીઓની થઈ શકે છે બદલી
ગુજરાતમાં 2022ની વિધાનસભા ચૂંટણી અગાઉ વહીવટીતંત્રમાં મોટા પ્રમાણમાં બદલી અને બઢતી થઈ રહી છે. હવે એવું સંભળાઈ રહ્યું છે કે 20થી 25 જેટલા DDO અને જિલ્લા કલેક્ટરોની બદલી થઈ શકે છે. મોટાભાગના જિલ્લા કલેક્ટરો અઢીથી ત્રણ વર્ષની સેવા પૂર્ણ કરી ચૂક્યાં છે. જેના કારણે પણ બદલી થવાની સંભાવના છે.
મહત્વનું છે કે મહેસાણા, વડોદરા અને ખેડામાં કલેક્ટરની જગ્યા હાલ ખાલી છે. જેથી આ જગ્યા પર બદલી સાથે નવી નિયુક્તી થઈ શકે છે.
મહેસાણાના કલેક્ટર એચ.કે.પટેલને ગઈકાલે ખાદ્ય અને નાગરિક પુરવઠા વિભાગમાં ખસેડયા છે જેથી અહીં જગ્યા ખાલી પડી છે. તો આ તરફ વડોદરાના કલેક્ટર શાલિની અગ્રવાલને વડોદરાના મ્યુનિસિપલ કમિશનર બનાવાયા છે. આ બંને અધિકારીઓ 1995 બૅચના છે જેમને પ્રમોશન અપાયું છે. જ્યારે ખેડાની વાત કરીએ તો કલેક્ટર I K પટેલ નિવૃત્ત થતાં હાલમાં ખેડા DDO કે.એલ બચાણીને કલેક્ટરનો વધારાનો ચાર્જ સોંપાયો છે. ઉલ્લેખનીય છે કે અગાઉ કે.એલ.બચાણી ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન ગાંધીનગરમાં જોઈન્ટ મેનેજીંગ ડાયરેક્ટર હતા.
ઉલ્લેખનીય છે કે જિલ્લા સ્તરે આ બદલીઓ પહેલા જ થવાની હતી પરંતુ કોરોનાની બીજી લહેરને કારણે લંબાવી દેવામાં આવી હતી. આવામાં હવે રાજ્યમાં કોરોના લગભગ કાબૂમાં આવી ગયો છે અને પરિસ્થિતિ સામાન્ય બની રહી છે ત્યારે આગામી દિવસોમાં આ બદલીઓની સત્તાવાર જાહેરાત કરાઈ શકે છે.
ગઈ કાલે જ 26 સિનિયર IAS અધિકારીઓની બદલી-બઢતી કરાઈ
ઉલ્લેખનીય છે કે ગઈ કાલે ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી પહેલા બ્યૂરોક્રેસીમાં મોટા ફેરફાર કરવામાં આવ્યા છે. એકી સાથે ગુજરાતના 26 IASની બદલી કરવામાં આવી છે. ગુજરાતમાં કોરોનાની બીજી લહેર શાંત પડતાની સાથે જ અધિકારીઓની બદલી કરવામાં આવી છે. VTV ન્યૂઝના અગાઉના એક્સક્લુઝિવ અહેવાલ પ્રમાણે સરકારે 18 અધિકારીઓની બદલી કરી છે જ્યારે 8 અધિકારીઓને પ્રમોશન સાથે બદલી આપવામાં આવી છે. ફરી વખત VTVની ખબર પર સરકારની મહોર લાગી હતી.
ગુજરાતમાં IAS અધિકારીઓની મોટાપાયે બદલી કરી દેવાઈ છે. એક સાથે 18 IASની બદલી કરી દેવાઈ છે. જેમાં સૌથી વધુ ચર્ચિત અધિકારીઓની પણ બદલી કરવામાં આવી છે. જેમાં જયંતી રવિ, પંકજ કુમાર, રાજીવ ગુપ્તા, વિજય નહેરા, સુનૈના તોમર, કમલ દયાણી સહિતના 26 IASની બદલી અને બઢતી કરાઈ છે.
IAS રાજીવ ગુપ્તાની બદલી
રાજીવ ગુપ્તાની ગાંધીનગર ખાતે બદલી કરી દેવાઈ છે. ગુજરાતમાં ચર્ચીત IAS રાજીવ ગુપ્તાને ગાંધીનગર ખાતે ઇન્ડસ્ટ્રીઝ અને માઇન્સ વિભાગની જવાબદારી સોંપાઈ છે. જે અગાઉ વન વિભાગની જવાબદારી નિભાવી રહ્યા હતા. આ દરમિયાન તેમનું એક ટ્વીટ બહુ ચર્ચામાં આવ્યું હતું. આફ્રિકાના સિંહોનો વીડિયો પોસ્ટ કરીને ગીરના સિંહો હોવાનું દર્શાવ્યું હતું. જેને લઈ આ વીડિયો ફેક હોવાથી લોકોએ ખૂબ ટ્રોલ કર્યા હતો. રાજીવ ગુપ્તાને જે માઇન્સ વિભાગની જવાબદારી આપી છે તે જગ્યા પર અગાઉ મનોજ કુમાર દાસને વધારાનો ચાર્જ સોંપાયો હતો.
IAS વિજય નેહરાની પણ બદલી
IAS વિજય નેહરાની પણ બદલી કરવામાં આવી છે. વિજય નહેરાને ગાંધીનગર ગ્રામીણ વિભાગમાંથી ખસેડીને વિજ્ઞાન વિભાગમાં મૂકાયા છે. તો વિજ્ઞાન વિભાગમાંથી હરીત શુક્લાને ખસેડીને ઉદ્યોગ વિભાગમાં મૂકાયા છે. વિજય નેહરા અમદાવાદમાં લોકો વચ્ચે જે IASની છબી બની હતી. એ વિજય નેહરા પણ કોરોનાકાળ દરમિયાન ચર્ચામાં રહ્યા હતા. અમદાવાદ મનપાના કમિશનર વિજય નેહરાની કામગીરીને લઈ તેઓ સતત ચર્ચામાં રહેતા હતા. પરંતુ વિજય નેહરાના એક નિવેદન પછી તેની મુશ્કેલી પણ વધી હતી. વિજય નેહરાનું નિવેદન નેશનલ લેવલે ગાજ્યું હતું જેમાં તેમણે અમદાવાદમાં 15 મે 2020 સુધી 50,000 કોરોનાના કેસ થવાની શક્યતા દર્શાવી હતી. કહેવાય છે કે આ નિવેદનથી અને તેમની કામગીરીમાં પણ કોઈ સુધારો ન દેખાતા રૂપાણી સરકાર નારાજ થઈ હતી.
જયંતિ રવિએ કેન્દ્ર સરકારને અરજી કરી હતી
ગુજરાતમાં કોરોના વાયરસ મહામારીમાં ગુજરાતમાં સૌથી વધારે ચર્ચામાં રહેનાર અધિકારીઓમાં જયંતી રવિનું નામ સૌથી ઉપર આવે છે. ગુજરાત રાજ્યના આરોગ્ય અગ્રસચિવ હોવાના નાતે સ્વાસ્થ્યની જવાબદારીઑ તેમના શિરે હતી. જોકે મહામારીમાં રૂપાણી સરકાર તેમનાથી નારાજ થઈ હોવાનું પણ વચ્ચે સામે આવ્યું હતું ત્યારે મૂળ તમિળનાડુના IAS અધિકારીએ પ્રતિનયુક્તિ માંગી હતી.
જયંતી રવિ દ્વારા કરવામાં આવેલ માંગ બાદ કેન્દ્ર દ્વારા પ્રતિનયુક્તિ પર આદેશ આપી દેવામાં આવ્યા છે. 1991ની બેચના IAS જયંતી રવિની હવે ગુજરાતમાંથી તમિલનાડુમાં બદલી કરવામાં આવી છે. જયંતી રવિને હવે એરોવિલ ફાઉન્ડેશનના સેક્રેટરી બનાવાયા છે. ઉલ્લેખનીય છે કે વિખ્યાત ઓરોવિલા ફાઉન્ડેશન મહર્ષિ અને આઝાદીના લડવૈયા મહર્ષિ અરવિદ દ્વારા સ્થપાયેલા ઐતિહાસિક આશ્રમનું સંચાલન કરે છે.