કૃષ્ણ અંગે નિવેદનને લઇ મોરારિ બાપુ સામે ભારે વિરોધ જોવા મળી રહ્યો છે. વિરોધને લઇ મોરારિ બાપુ બે વાર માફી પણ માગી ચુક્યા છે. ત્યારબાદ આહીર સમાજની બેઠકમાં આ વિવાદનો અંત આવી ચૂક્યો છે. પરંતુ કાન્હા વિચાર મંચ અને અન્ય સંસ્થાઓ દ્વારા એવી માંગ કરવામાં આવી રહી હતી કે મોરારિ બાપુ દ્વારકા આવીને ભગવાનની માફી માંગે. ત્યારે આખરે કૃષ્ણ પર નિવેદનના વિવાદનો અંત આવશે. મોરારિ બાપુ આજે દ્વારકાધીશની માફી માંગશે.
ભગવાન કૃષ્ણ સંદર્ભના વિવાદનો આજે અંત આવશે
દ્વારકા જઇ કથાકાર મોરારીબાપુ માંગશે માફી
મોરારિ બાપુએ વિવાદિત નિવેદનને લઇને ફરી માગી માફી
ભગવાન કૃષ્ણ સંદર્ભના વિવાદનો આજે અંત આવશે. કથાકાર મોરારિબાપુ દેવભૂમિ દ્વારકા જઇ દ્વારકાધીશની માફી માંગશે. સાંજે 5.00 વાગ્યે શારદા પીઠમાં હાજરી આપશે. ભગવાન કૃષ્ણ પર મોરારિબાપુએ ટિપ્પણી કરી હતી. કાન્હા વિચાર મંચ અને આહીર સમાજ દ્વારા વિરોધ કરાયો હતો. ત્યારે હવે 12 દિવસથી ચાલતા વિવાદનો આજે અંત આવશે. કાન્હા વિચાર મંચે કહ્યું હતું કે, અમારી નહીં મોરારિ બાપુ દ્વારકા આવીને ભગવાન દ્વારકાધીશની માફી માગે.
આહિર સમાજના યુવાનોને શાંતિ સુલેહ રાખવા અપીલ
મોરારિબાપુના વિવાદ અંગે જૂનાગઢ ભવનાથના મંગલ ધામ ખાતે આહીર સમાજની એક બેઠક મળી હતી. જેમાં ડેમેજ કંટ્રોલ કરવા ચર્ચા વિચારણાં કરાઈ હતી. આહિર સમાજના યુવાનોને શાંતિ સુલેહ રાખવા અપીલ કરાઈ હતી. સાથે જ સોશિયલ મીડિયામાં વિવાદ નહીં વધારવા સર્વાનુમતે ઠરાવ પસાર થયો હતો. બેઠકમાં પૂર્વ મંત્રી દેવાનંદ સોલંકી, ધારાસભ્ય ભગાભાઈ બારડ, માયાભાઈ આહિર સહિત જૂનાગઢ, જામનગર અને ગીર સોમનાથ જિલ્લાના આગેવાનો હાજર રહ્યા હતા.
મોરારિ બાપુએ વિવાદિત નિવેદનને લઇને ફરી માગી માફી હતી
કૃષ્ણ અંગે આપેલા વિવાદીત નિવેદનને લઇ કથાકાર મોરારિ બાપુએ ફરી એક વાર માફી માગી હતી. મોરારિ બાપુ માફી માગતા સમયે ભાવુક થયા હતા. રડતા રડતા કહ્યું હતું કે દુનિયામાં કોઈનુ દીલ દુભાય તે પહેલા હું સમાધિ લેવાનું પસંદ કરીશ. મારા નિવેદનથી કોઈ પણને દુઃખ થયુ હોય તો માફી માગુ છુ. કોઈપણ સ્થિતિને હું પ્રભુનો કૃપાપ્રસાદ સમજુ છું. હું એ નથી ઈચ્છતો કે સમાજમાં વિવાદ થાય. સાથે જ કહ્યું કે મારા કારણે બધાયને સામાન્ય પીડા થઈ છે. પરંતુ તમે મને પોતાનો સમજો કે નહીં પરંતુ હું તમને પોતાના જ સમજુ છુ, મારા માટે કોઈ પારકો નથી. કૃષ્ણ મારો ઈષ્ટ દેવ છે, પુર્ણ પુરષોત્તમ છે. એટલે મે કૃષ્ણની આખરી સમયની પીડાઓ વ્યક્ત કરી છે. કૃષ્ણ સ્મરણ કરતા મારી આંખોમાં જેટલીવાર ભીંજાઇ છે એટલીવાર કોઇનીએ નહીં ભીંજાઇ હોય. આંખમાં જે આંસુ છે તે આંખના નહીં મારી આત્માના આંસુ છે એટલે ફરી કહું છું કે જો મારા નિવેદનથી કોઇને દુઃખ લાગ્યું હોય તો હું ફરી માફી માગું છું. ત્યારબાદ હવે આજે મોરારિ બાપુ દ્વારકાધીશની માફી માંગશે.