બ્રેકિંગ ન્યુઝ
VTV / ભારત / Politics / રાજનાથ સિંહ બનશે આગામી રાષ્ટ્રપતિ? અમિત શાહના રોલમાં પણ થઈ શકે મોટો ફેરફાર, મોદી કેબિનેટને લઈને અટકળો તેજ
Last Updated: 11:39 PM, 2 July 2026
નવી દિલ્હી: કેન્દ્ર સરકારના સંભવિત કેબિનેટ ફેરબદલને લઈને દેશના રાજકીય વર્તુળોમાં ચર્ચાનો માહોલ ગરમાયો છે. સંસદના ચોમાસુ સત્ર પહેલાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની કેબિનેટમાં મોટા ફેરફારો થઈ શકે તેવી અટકળો ચાલી રહી છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ ભાજપની નવી સંગઠનાત્મક ટીમ લગભગ તૈયાર છે અને હવે સૌની નજર સંભવિત કેબિનેટ વિસ્તરણ અને વિભાગોની પુનઃવહેંચણી પર છે.
ADVERTISEMENT
ચર્ચા એવી પણ છે કે શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન, પેટ્રોલિયમ મંત્રી હરદીપ સિંહ પુરી સહિત કેટલાક કેન્દ્રીય મંત્રીઓના વિભાગોમાં ફેરફાર થઈ શકે છે અથવા તેમને નવી જવાબદારીઓ સોંપવામાં આવી શકે છે. જોકે કેન્દ્ર સરકાર તરફથી આ અંગે કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.
ADVERTISEMENT
રાજકીય નિષ્ણાતોએ દાવો કર્યો છે કે વર્ષ 2027માં વર્તમાન રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂનો કાર્યકાળ પૂર્ણ થયા બાદ ભાજપ રાજનાથ સિંહને દેશના આગામી રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર તરીકે આગળ ધપાવી શકે છે.
રાજનાથ સિંહ ભાજપના સૌથી અનુભવી અને સર્વસ્વીકાર્ય નેતાઓમાં ગણાય છે. ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રીથી લઈને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ, કેન્દ્રીય ગૃહમંત્રી અને હાલના રક્ષા પ્રધાન સુધીની તેમની રાજકીય સફર તેમને દેશના સર્વોચ્ચ બંધારણીય પદ માટે મજબૂત દાવેદાર તરીકે રજૂ કરે છે.
ADVERTISEMENT
રાજકીય વર્તુળોમાં એવી પણ ચર્ચા છે કે જો રાજનાથ સિંહ રાષ્ટ્રપતિ પદ માટે પસંદ થાય તો તેમની પરંપરાગત લખનૌ લોકસભા બેઠક ખાલી થઈ શકે છે. કેટલાક અહેવાલોમાં દાવો કરવામાં આવ્યો છે કે આ બેઠક પરથી તેમના પુત્ર નીરજ સિંહને ચૂંટણી લડાવવાની શક્યતા પર પણ ચર્ચા થઈ રહી છે. જોકે આ અંગે કોઈ સત્તાવાર માહિતી ઉપલબ્ધ નથી.
ADVERTISEMENT
આ દરમિયાન કોંગ્રેસે રક્ષા પ્રધાન રાજનાથ સિંહ સામે મોરચો ખોલ્યો છે. કોંગ્રેસના પૂર્વ સૈનિક વિભાગના નેતાઓએ આરોપ લગાવ્યો છે કે 'ઓપરેશન સિંદૂર'માં શહીદ થયેલા જવાનો અંગે સંસદ અને દેશને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. કોંગ્રેસે આ મુદ્દે વિશેષાધિકાર હનનનો પ્રસ્તાવ લાવવાની અને રાજનાથ સિંહના રાજીનામાની માંગ કરવાની પણ તૈયારી દર્શાવી છે.
ADVERTISEMENT
રાજકીય વિશ્લેષકોમાં બીજી સૌથી મોટી ચર્ચા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને લઈને ચાલી રહી છે. કેટલાક નિષ્ણાતોનું માનવું છે કે આગામી ફેરબદલમાં તેમને ઉપપ્રધાનમંત્રી બનાવવામાં આવી શકે છે.
ADVERTISEMENT
જોકે કેટલાક રાજકીય નિરીક્ષકોનું કહેવું છે કે અમિત શાહ હાલમાં પણ સરકાર, સંગઠન અને વહીવટી નિર્ણયો પર અત્યંત પ્રભાવશાળી ભૂમિકા ભજવી રહ્યા છે. તેથી તેમને ઉપપ્રધાનમંત્રી બનાવવામાં આવે કે નહીં, તેમની વાસ્તવિક રાજકીય અસર પર ખાસ કોઈ ફરક નહીં પડે.
વિશ્લેષકોનું માનવું છે કે જો અમિત શાહને ઉપપ્રધાનમંત્રી બનાવવામાં આવે તો તે ભાજપ તરફથી ભવિષ્યના નેતૃત્વ અંગેનો મહત્વપૂર્ણ રાજકીય સંકેત ગણાશે. બીજી તરફ, આવી જાહેરાત વિરોધ પક્ષોને વધુ આક્રમક બનાવવાની સાથે ભાજપની આંતરિક રાજનીતિ પર પણ અસર કરી શકે છે.
જો હાલની અટકળો સાચી સાબિત થાય તો મોદી સરકારમાં માત્ર વિભાગોની અદલાબદલી નહીં, પરંતુ સત્તાના સંતુલનમાં પણ મોટા ફેરફારો જોવા મળી શકે છે. રક્ષા મંત્રાલય સહિત અનેક મહત્વપૂર્ણ વિભાગોમાં નવા ચહેરાઓને જવાબદારી સોંપવામાં આવી શકે છે.
જોકે અત્યાર સુધી કેન્દ્ર સરકાર અથવા ભાજપ દ્વારા આ તમામ અટકળોને લઈને કોઈ સત્તાવાર નિવેદન આપવામાં આવ્યું નથી.
Disclaimer: આ સમાચાર રાજકીય વિશ્લેષકોના દાવા, મીડિયા રિપોર્ટ્સ અને ચાલી રહેલી રાજકીય અટકળોના આધારે તૈયાર કરવામાં આવ્યા છે. રાજનાથ સિંહને રાષ્ટ્રપતિ બનાવવાની અથવા અમિત શાહની ભૂમિકામાં ફેરફાર અંગે કેન્દ્ર સરકાર કે ભાજપ તરફથી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.