કહેવાય છે કે ધરતી પર સ્વર્ગ જોવું હોય તો પ્રકૃતિનાં સુંદર દ્રશ્યોથી ઉત્તમ તો જીવનમાં કંઇ નથી. ત્યારે એવું કહેવાય છે કે દેશમાં એટલે કે ભારતમાં કાશ્મીરને આ પૃથ્વી પરનું સ્વર્ગ કહેવામાં આવે છે. ત્યારે તમને જણાવી દઇએ કે આજે અમે તમને ભારતની જ એક એવી જગ્યા વિશે કહેવા જઇ રહ્યાં છીએ કે જેને ભારતનું 'મીની સ્વિટ્ઝર્લેન્ડ' પણ કહી શકાય. જે દિલ્હીથી 10 કલાકનાં અંતર પર આવેલ છે. આ અદભુત જગ્યાએ જઇને આપ પણ કહી ઉઠશો કે આ છે ભારતનું 'મીની સ્વિટ્ઝર્લેન્ડ'.
ભારતનાં 'મીની સ્વિટ્ઝર્લેન્ડ' તરીકે કહેવાતા ખજિયાર (Khajjiar) ડલહૌઝી પાસે એક નાનું શહેર છે કે જે પ્રવાસીઓને જંગલો, ઝીલો અને પ્રાકૃતિક સુંદરતાનું એક અદભુત સંયોજન પ્રદાન કરે છે. આ સ્થળની સુંદરતાએ રાજપૂતો અને મુઘલો સહિત અનેક સામ્રાજ્યોને ખૂબ પ્રભાવિત કરે છે. 6,500 ફીટની ઉંચાઇ પર સ્થિત ખાજિયાર એ હરિયાળી અને આહલાદક વાતાવરણ માટે ખૂબ જ સુપ્રસિદ્ધ છે.
અહીં બારે માસ તેની સુંદરતાને નિહાળવા માટે પર્યટકોની ભીડ લાગી રહેતી હોય છે. બરફની સફેદ ચાદર ઓઢેલા પહાડો પર સૂર્યોદયથી લઈ સુર્યાસ્તનો નજારો અહીં અદભુત જોવાલાયક હોય છે.
ખજિયાર ઝીલઃ
લીલાછમ દેવદારનાં જંગલોથી ઘેરાયેલ ખજિયાર ઝીલ એક પ્રાકૃતિક ભવ્યતાથી પરિપૂર્ણ છે. જે 1920 મીટરની ઉંચાઇ પર આવેલ છે. હિમાચલ પ્રદેશમાં ફરવા માટેની સૌથી સુંદર જગ્યાઓમાંની આ એક જગ્યા છે. અહીં આવતાની સાથે મનને પણ એક અનોખી શાંતિ મળે છે.
પંચ પાંડવ વૃક્ષઃ
ખજિયાર તળાવની આજુબાજુના ઘટાદાર જંગલોની અંદર, પંચ પાંડવ વૃક્ષ જોવા માટેનું એક વિશિષ્ટ સ્થાન છે. આ ઝાડમાં 6 ડાળીઓ છે અને સ્થાનિકો એવું માને છે કે તે 5 પાંડવો અને દ્રૌપદીનું પ્રતિનિધિત્વ કરે છે. પંચ પાંડવ વૃક્ષ એક ગેસ્ટ હાઉસની નજીક સ્થિત છે, જે દૂરનાં ગામો તરફ છે.
સુભાષ બાઓલીઃ
ડલહૌઝીથી માત્ર 1 કિમી અને ખજિયારથી આશરે 32 કિમી દૂર સુભાષ બાઓલી ઉંચા દેવદારના વૃક્ષો વચ્ચે એક સુંદર સ્થળ છે. તેનું નામ પ્રખ્યાત સ્વાતંત્ર્ય સેનાની સુભાષચંદ્ર બોઝના નામ પર રાખવામાં આવ્યું છે. બરફથી ઢંકાયેલ હિમાલય અને અન્ય પર્વતમાળાઓના મનોહર દૃશ્યોને અહીં આપ અદભુત રીતે નિહાળી શકો છો.