ભારતમાં કોરોના વાયરસના કેસમાં ફરીવાર વધારો જોવા મળી રહ્યો છે ત્યારે મહારાષ્ટ્ર અને પંજાબમાં ફરીવાર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યા છે.
ભારતમાં કોરોના વાયરસનું કમબેક
બે રાજ્યોમાં તાળાબંધી શરૂ
પરિસ્થિતિ બગડે તો હજુ ઘણા શહેરોમાં પ્રતિબંધોની આશંકા
મહારાષ્ટ્રમાં કોરોના વાયરસના કેસમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. એક જ દિવસમાં ગઇકાલે 16 હજારની આસપાસ નવા કોરોના વાયરસના કેસ સામે આવ્યા છે અને પરિસ્થિતિ નિયંત્રણમાંથી બહાર જઈ રહી હોય તેવું લાગી રહ્યું છે ત્યારે લોકડાઉન લાગુ કરવાની ફરજ પડી રહી છે.
અંતિમ ચેતવણી અપાઈ
મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ લોકડાઉનને લઈને અંતિમ ચેતવણી આપી દીધી છે. તેમણે લોકોને કોરોના વાયરસના નિયમોનું કડકાઇથી પાલન કરવા સૂચના આપી છે. સરકાર દ્વારા કહેવામાં આવ્યું છે કે લોકડાઉન જેવા કઠોર ઉપાય લાગુ કરવા માટે સરકારને મજબૂર ન કરશો. નોંધનીય છે કે મહારાષ્ટ્રમાં હાલમાં નાગપુર, અકોલા અને ઔરંગાબાદ સહિત ઘણા બધા વિસ્તારોમાં લોકડાઉન લગાવી દેવામાં આવ્યું છે. એવામાં વધુ બેદરકારી દાખવવામાં આવશે તો મહારાષ્ટ્ર સરકાર કડક નિર્ણય લઈ શકે છે.
દેશમાં ક્યાં ક્યાં છે લોકડાઉન
અત્યારે નાગપુર, અકોલા અને પરભણીમાં લોકડાઉન લાગુ છે. ઔરંગાબાદમાં વીકેન્ડ લોકડાઉન લગાવવામાં આવ્યું છે. આ સિવાય પૂણેમાં નાઈટ કર્ફ્યૂ તથા આમરાવતી, થાણે, નાસિક જેવા શહેરોમાં શાળાઑ બંધ કરી દેવાના આદેશ આપવામાં આવ્યા છે. મુંબઈમાં કોરોના નિયમોનું પાલન કરાવવામાં આવી રહ્યું છે.
પંજાબમાં લુધિયાણા, મોહાલી, પટિયાલા સહિત આઠ જિલ્લામાં નાઈટ કર્ફ્યૂ લગાવી દેવામાં આવ્યું છે. આ કર્ફ્યૂ રાતના 11 વાગ્યાથી સવારના પાંચ વાગ્યા સુધી લાગુ રહેશે. પંજાબમાં શાળાઓ બંધ કરી દેવાના આદેશ આપવામાં આવ્યા છે.
આ સિવાય મધ્યપ્રદેશના ભોપાલ અને ઈન્દોરમાં નાઈટ કર્ફ્યૂ લગાવવામાં આવી શકે છે. રવિવાર અથવા સોમવારે તેની જાહેરાત પણ થઈ શકે છે.
કોરોના વાયરસ કેસ અપડેટ :
સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા અનુસાર ભારતમાં એક જ દિવસમાં કોરોના વાયરસના નવા 25,317 કેસ સામે આવ્યા છે. 158 દર્દીઓએ કોરોના સામે લડતા લડતા જીવ ગુમાવ્યો છે. 16,637 દર્દીઓએ કોરોના વાયરસને મ્હાત આપી છે. આ પહેલા 16 ડિસેમ્બરે 26,624 કેસ નોંધાયા હતા. દેશમાં કોરોના વાયરસના કુલ કેસની સંખ્યા વધીને એક કરોડ 13 લાખ 59 હજાર થઈ ગઈ છે. અત્યાર સુધીમાં 1 લાખ 58 હજાર લોકોએ કોરોના વાયરસના કારણે પોતાના જીવ ગુમાવ્યા છે. દેશમાં એક્ટિવ કેસની સંખ્યા પણ વધીને બે લાખ દસ હજારને પાર થઈ ગઈ છે.
મહારાષ્ટ્રમાં મહામારી વિફરી
ભારતમાં કોરોના વાયરસનો સૌથી વધુ કહેર મહારાષ્ટ્રમાં જોવા મળી રહ્યો છે. મહારાષ્ટ્રમાં કોરોના વાયરસના એક જ દિવસમાં 15,602 કેસ સામે આવ્યા છે. દેશમાં કોરોના વાયરસના કારણે સૌથી વધારે મોત પણ મહારાષ્ટ્રમાં જ થઈ છે. દુનિયામાં કોરોના વાયરસના વધતાં કેસને જોતાં ભારત અત્યારે ત્રીજા નંબરનો સૌથી પ્રભાવિત દેશ છે અને રિકવરીના મામલે અમેરિકા બાદ ભારતમાં સૌથી વધારે રિકવરી થઈ છે. કોરોના વાયરસના કારણે મોતના મામલે ભારત દુનિયામાં ચોથા સ્થાન પર છે.