પૂર્ણ પુરુષોત્તમ શ્રીકૃષ્ણ ભારતીય સંસ્કૃતિની આત્માનો આધાર છે, કૃષ્ણ જન્માષ્ટમીને લઈને કાયમથી જ ભક્તોમાં અનેરો ઉત્સાહ હોય છે જેને લઈને વિભિન્ન મંદિરો પણ જન્મોત્સવને લગતી ભવ્ય તૈયારીઑ કરતાં હોય છે. જો કે આ વખતે કોરોનાના કારણે ઘણા મંદિરોમાં દર્શનાર્થીઓને પ્રવેશની અનુમતિ અપાઈ નહોતી, જો કે અમુક મંદિરોમાં સોશિયલ ડિસ્ટન્સની પરમીશન સાથે લોકોને પ્રવેશ અપાયો હતો.
જન્માષ્ટમી: કોરોનાના લીધે મંદિરોમાં ભાવિકો નહિવત
ગુજરાતનાં અનેક મંદિરો રહ્યા બંધ, અમૂકમાં સોશિયલ ડિસ્ટન્સ
ભાવિકો માટે મોટા ભાગે દરેક મંદિરોએ કરી ઓનલાઈન દર્શનની સુવિધા
દ્વારકાધીશ મંદિર રહ્યું છે બંધ
દ્વારકા જિલ્લા ક્લેક્ટરના હુકમનામાને પગલે દ્વારકાના જગત મંદિરમાં આજે ભક્તોને પ્રવેશ માટેની મંજૂરી આપવામાં આવી નહોતી. કૃષ્ણ જન્મોત્સવની રંગે ચંગે થતી ઉજવણી માટે પ્રખ્યાત દ્વારકા આ વખતે ભાવિકો વિના જ કૃષ્ણ જન્મોત્સવને ઉજવશે. છેલ્લા મળેલઈ માહિતી મુજબ દ્વારકા મંદિર ટ્રસ્ટની વેબ સાઇટ પર ટ્રાફિક વધુ થઈ જતાં મંદિરની વેબ સાઇટ ક્રેશ થઈ ગઈ હતી.
શું રહ્યા ડાકોરના હાલ
આજે દેશભરમાં જન્માષ્ટમીની ઉજવણી કરવામાં આવી છે. ડાકોરના રણછોડરાય મંદિરને પણ શણગારવામાં આવ્યું છે.આસોપાલવના તોરણ, ફુગ્ગા અને રોશનીની સીરીઝ લગાવવામાં આવી છે.સમગ્ર દિવસ દરમિયાન ચાલેલા શણગાર બાદ મંદિર જાણે કે દીપી ઉઠ્યું હતું. જન્મોત્સવના સમયે રાત્રે હજારો દીવડા અને રોશનીથી મંદિર ઝળહળી ઉઠશે. લોકો રાત્રે 7:45 વાગે ઠાકોરજીના દર્શન કર્યા હતા.
જાણો સુરેન્દ્રનગરના વડવાળા મંદિરનો હાલ
સુરેન્દ્રનગરના વડવાળા મંદિરમાં જન્માષ્ટમીમાં આ વર્ષે કૃષ્ણભક્તો મંદિરમાં પ્રવેશીને પ્રત્યક્ષ દર્શન કરવાની અનુમતિ અપાઈ નહોતી. જેને લઈને કૃષ્ણજન્મની ઝાંખીના દર્શન ઘરે બેઠા ઓનલાઇન કરીને જ સંતોષ માનવો પડશે. કોરોના વાયરસના કારણે મંદિર સંચાલકો દ્વારા 11 થી 13 ઓગષ્ટ સુધી મંદિર દર્શનાર્થીઓ માટે બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે.
કેવા રહ્યા ભાડજના હરેકૃષ્ણ મંદિરના હાલ ?
આ મંદિરમાં પણ કોરોણને કારણે ભક્તોને પ્રવેશની અનુમતિ અપાઈ નહોતી. જન્માષ્ટમી, પારણા અને નોમ સુધી મંદિર બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. જો કે આ મામલે ભક્તો શ્રીજી ઠાકોરના ઘરે બેઠા દર્શન કરી શકે તે માટે ઓનલાઈન દર્શનની વ્યવસ્થા મંદિર દ્વારા કરવામાં આવી છે. ભગવાનની પૂજા માટે સવારે 8 થી રાત્રે 12 સુધી વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું. મંદિરમાં વિવિધ રીતે દિવસ દરમિયાન ભગવાનનું પૂજન કરાયું હતું.
શું કહે છે અરવલ્લીના ગદાધારી શામળાજી..
શ્રીકૃષ્ણનુયાની એક બહુ જ મહત્વપૂર્ણ મંદિર જએ ગુજરાતની પુનિત પવન ધાર પર આવેલું છે, તે અરવલ્લી જિલ્લામાં આવેલુ શામળાજી છે. 3 અઠવાડિયા લાંબા વિશિષ્ટ મેળા માટે પ્રસિદ્ધ આ યાત્રાધામમાં જન્માષ્ટમી સમયે પણ ખૂબ જ વિશિષ્ટ આયોજન હોય છે. લાખો ભક્તઓની ભીડ ધરાવતા મંદિરમાં આ વખતે કોરોનને કારણે ભાવિકોની સંખ્યા જો કે ઓછી રહી હતી, અને ભક્તોને સોશ્યલ ડિસ્ટન્સના પાલન સાથે મંદિર પ્રવેશની અનુમતિ અપાઈ હતી.
વડોદરાના ઇસ્કોન મંદિરમાં થઈ જન્માષ્ટમીની ઉજવણી
વડોદરાના ઇસ્કોન મંદિરમાં પણ સામાજિક અંતરના નિયમોનું ચોકસાઇથી પાલન કરાયું હતું. અન્ય કૃષ્ણ મંદિરોની જેમ ભક્તો માટે પ્રવેશ બાંધી તો લાગુ નહોતી કરાઇ, પણ દર જન્માષ્ટમીએ કરવામાં આવતા વિશિષ્ટ પ્રસાદને આ વખતે કોરોનાના કારણે ભક્તોને ન આપવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. જન્માષ્ટમીના પાવન પર્વને પ્રસંગે મંદિરમાં સવારે 8 થી 1 અને બપોરે 4 થી રાત્રે 11 સુધી દર્શનની અનુમતિ આપવામાં આવી છે.
શ્રાવણ માસ અને જન્માષ્ટમીનો પર્વ છતાં સોમનાથના આંગણા સૂના
ભક્તોના ઘોડાપૂરથી બારેમાસ ખદબદ થતાં સોમનાથ મહાદેવના આંગણે આ વખતે શ્રાવણ માસ જેવો મહિનો અને જન્માષ્ટમી જેવો પાવન પર્વ છતાં ય ભક્તોની ખૂબ જ પાંખી હાજરી જોવા મળી હતી. ઉલ્લેખનીય છે કે પ્રભાસ પાટણ તીર્થક્ષેત્ર એ શિવ અને કૃષ્ણના સંગમનું ધામ છે, ભગવાન દ્વારકાધીશને હાથે જ્યાં મહાદેવ પોતે પૂજા પામ્યા હતા ત્યાં એ જ ધરતી પર પૂર્ણ પરૂષોત્તમ શ્રીકૃષ્ણે પોતાની જીવનલીલા સંકેલી હતી. સોમનાથ ત્રિવેણીથી સહેજ દૂર જ ભાલકા ધામ છે જ્યાંથી કૃષ્ણ નિર્વાણ પામેલા. જો કે કોરોનાના પગલે અહી પણ ભક્તોની ખૂબ જ પાંખી હાજરી જોવા મળી હતી.
અને છેલ્લે અમદાવાદના ઇસ્કોન મંદિરના હાલ...
કોરોના વાયરસની અસર જન્માષ્ટમીના પાવન અવસર પર પણ જોવા મળી છે. આ મહામારીમાં સંક્રમણ વધે નહી દેશના મોટાભાગના મંદિરો બંધ છે,અને મંદિરોમાં સરકારની ગાઈડ લાઈન મુજબ જન્માષ્ટમીની ઉજવણી કરવામાં આવી હતી, ત્યારે અમદાવાદમાં આવેલા ઇસ્કોનમંદિર ખાતે પણ ભક્તો માટે ઓનલાઈન દર્શનની વ્યવસ્થાનું આયોજન કરવામાં આવ્યું હતું. મંદિરના ગર્ભદ્વાર ખાતે પૂજન વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી, અને સામાજિક અંતર સાથે ભક્તો દર્શન કરી શકે તે માટે ખાસ વ્યવસ્થા કરાઈ હતી. ઈસ્કોન મંદિરમાં ભગવાનને 108 વ્યંજનોનો અન્નકુટ થાળ ધરાવવામાં આવ્યો હતો. આ ઉપરાંત અખંડ કિર્તન, સંધ્યા આરતી અને મધ્યરાત્રીએ અભિષેક અને કૃષ્ણ જન્મોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે.