બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / રાજકોટના સમાચાર / લોધિકા સંઘની ચૂંટણીમાં રાજકીય સોગઠા! રાદડિયા-કોરાટ જૂથ વચ્ચે ખેંચતાણ, 16 બેઠકો માટે 8 સપ્ટેમ્બરે મતદાન
Last Updated: 03:21 PM, 18 August 2026
રાજકોટ: લોધિકા સહકારી સંઘની સામાન્ય ચૂંટણી-2026ને લઈને રાજકોટ જિલ્લાના સહકારી અને રાજકીય ક્ષેત્રમાં ગરમાવો જોવા મળી રહ્યો છે. સંઘની ચૂંટણી માટે 8 સપ્ટેમ્બરે મતદાન યોજાવાનું જાહેર થયું છે, જ્યારે ઉમેદવારો 17થી 20 ઓગસ્ટ દરમિયાન ઉમેદવારી નોંધાવી શકશે. હરીફ ઉમેદવારોની આખરી યાદી 29 ઓગસ્ટે જાહેર કરવામાં આવશે.
ADVERTISEMENT
લોધિકા સહકારી સંઘ ભલે માત્ર બે તાલુકા પૂરતો મર્યાદિત હોય, પરંતુ આ વખતે ચૂંટણી રાજકીય સમીકરણોના કારણે મહત્વપૂર્ણ બની છે. સહકારી ક્ષેત્રમાં પ્રભુત્વ જાળવી રાખવા માટે જેતપુર-જામકંડોરણાના ધારાસભ્ય અને રાજકોટ જિલ્લા સહકારી બેંકના ચેરમેન જયેશ રાદડિયાના જૂથ સામે ભાજપ પ્રદેશ મહામંત્રી પ્રશાંત કોરાટના સમર્થિત જૂથ વચ્ચે રસાકસી જોવા મળી રહી છે.
ADVERTISEMENT
રાદડિયા સામે સહકારી ક્ષેત્રમાં પડકાર?
જયેશ રાદડિયા લાંબા સમયથી રાજકોટ જિલ્લાના સહકારી ક્ષેત્રમાં પ્રભાવશાળી નેતા તરીકે જોવા મળે છે. જોકે, સહકારી સંસ્થાઓમાં મેન્ડેટને લઈને ભાજપ દ્વારા લેવાયેલા નિર્ણય બાદ સહકારી ક્ષેત્રમાં જૂથવાદ અને નવા રાજકીય સમીકરણોની ચર્ચા તેજ બની છે.આ ચૂંટણીમાં રાદડિયા પોતાના સમર્થિત ઉમેદવારોને મજબૂત સ્થિતિમાં લાવવા માટે પ્રયત્નશીલ હોવાનું રાજકીય વર્તુળોમાં ચર્ચાઈ રહ્યું છે. બીજી તરફ, તેમના રાજકીય હરીફો પણ આ ચૂંટણીને સહકારી ક્ષેત્રમાં પ્રભાવનું સંતુલન બદલવાની તક તરીકે જોઈ રહ્યા હોવાનું માનવામાં આવે છે.
ADVERTISEMENT

અરવિંદ રૈયાણીની ચેરમેન પદ પર નજર
ADVERTISEMENT
પૂર્વ મંત્રી અરવિંદ રૈયાણીનું નામ પણ આ ચૂંટણીમાં ચર્ચાના કેન્દ્રમાં છે. અગાઉ ચેરમેન પદ મેળવવા માટે તેમણે પ્રયાસ કર્યો હતો, પરંતુ સફળતા મળી નહોતી. હવે ફરી ચૂંટણી યોજાઈ રહી છે ત્યારે તાજેતરમાં યોજાયેલી ડિરેક્ટર પદની સેન્સ પ્રક્રિયામાં રૈયાણીએ પણ સેન્સ આપી હોવાનું સામે આવ્યું છે.રૈયાણી પોતાના સમર્થિત ડિરેક્ટરોને સ્થાન મળે અને આગામી સમયમાં ચેરમેન પદ માટેનું ગણિત તેમના પક્ષમાં બને તે માટે પ્રયાસ કરી રહ્યા હોવાનું રાજકીય ચર્ચામાં કહેવાઈ રહ્યું છે.

ADVERTISEMENT
રાદડિયા અને રૈયાણી વચ્ચે જૂથોની રસાકસી
આ વખતની ચૂંટણીમાં રાદડિયા સમર્થિત ઉમેદવાર સામે રૈયાણી જૂથના ઉમેદવારની શક્યતાને લઈને પણ ચર્ચા ચાલી રહી છે. એક સમયે રાદડિયા વિરોધી ગણાતા લોધિકા સંઘના પૂર્વ ચેરમેન નિતીન ઢાંકેચા હવે રાદડિયા જૂથની નજીક હોવાનું રાજકીય વર્તુળોમાં માનવામાં આવે છે.બીજી તરફ, અરવિંદ રૈયાણી માટે પ્રદેશ સ્તરેથી પ્રશાંત કોરાટનું સમર્થન હોવાની ચર્ચા છે. આમ, ચૂંટણીમાં ઉમેદવારોની પસંદગીથી લઈને સંઘના આગામી ચેરમેન સુધીના નિર્ણયમાં બે અલગ રાજકીય જૂથોની ભૂમિકા મહત્વપૂર્ણ બની શકે છે.
ADVERTISEMENT
સહકારી ક્ષેત્રમાં રાજકારણ નહીં હોવું જોઈએ: રાદડિયા
સહકારી ક્ષેત્રમાં રાજકીય મેન્ડેટના મુદ્દે અનેક સહકારી આગેવાનો અગાઉ વિરોધ નોંધાવી ચૂક્યા છે. આ દરમિયાન 15 ઓગસ્ટે રાજકોટ ડેરીના એક કાર્યક્રમમાં જયેશ રાદડિયાએ સહકારી ક્ષેત્રમાં ખેડૂતો અને પશુપાલકોના હિતને સર્વોચ્ચ ગણાવતું નિવેદન આપ્યું હતું.રાદડિયાએ સહકારી ક્ષેત્રમાં રાજકારણ ન હોવું જોઈએ અને તેનું નેતૃત્વ ખેડૂતો તથા પશુપાલકો સાથે જોડાયેલા લોકોને મળવું જોઈએ તેવો મત વ્યક્ત કર્યો હતો. ચૂંટણીની રાજકીય ગરમાગરમી વચ્ચે તેમના આ નિવેદનને પણ મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યું છે.

કોરાટ પરિવારની ગણાતી બેઠકમાં બદલાયેલા સમીકરણો
પ્રશાંત કોરાટ અને જયેશ રાદડિયા બંને રાજકોટ જિલ્લાના એક જ રાજકીય વિસ્તાર સાથે જોડાયેલા છે. જે વિધાનસભા બેઠક પરથી હાલ રાદડિયા ધારાસભ્ય છે, ત્યાં ભૂતકાળમાં પ્રશાંત કોરાટના માતા અને પિતા બંને ધારાસભ્ય રહી ચૂક્યા છે.સમય સાથે બદલાયેલા રાજકીય સમીકરણોના પરિણામે આ બેઠક પર રાદડિયાનું પ્રભુત્વ જોવા મળે છે, જ્યારે પ્રશાંત કોરાટ ભાજપ સંગઠનમાં મહત્વપૂર્ણ જવાબદારી સંભાળી રહ્યા છે. લોધિકા સહકારી સંઘની ચૂંટણીમાં બંને જૂથોની સક્રિયતા આ બદલાયેલા સમીકરણોની વધુ એક કસોટી બની શકે છે.
16 બેઠકો માટે યોજાશે ચૂંટણી
રાજકોટ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા લોધિકા સહકારી સંઘ લી.ની ચૂંટણી-2026નો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે. સંઘની કુલ 16 બેઠકો માટે ચૂંટણી યોજાશે. તેમાં મતજૂથની 15 અને વ્યક્તિગત જૂથની 1 બેઠકનો સમાવેશ થાય છે.ઉમેદવારીપત્રો 17થી 20 ઓગસ્ટ દરમિયાન સવારે 11થી બપોરે 3 વાગ્યા સુધી મેળવી અને ભરી શકાશે. 21 ઓગસ્ટે ઉમેદવારીપત્રોની ચકાસણી થશે અને 22 ઓગસ્ટે ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવશે.ઉમેદવારીપત્રો પરત ખેંચવાની અંતિમ તારીખ 27 ઓગસ્ટ છે. ત્યારબાદ 29 ઓગસ્ટે સવારે 11 વાગ્યે હરીફ ઉમેદવારોની આખરી યાદી પ્રસિદ્ધ કરવામાં આવશે.
આ પણ વાંચોઃ 21900 OTP પાકિસ્તાન મોકલ્યા, 1000 ડિવાઇસ હેક કર્યા, BOSS સ્કેમમાં મોટો ખુલાસો
8 સપ્ટેમ્બરે મતદાન, 9 સપ્ટેમ્બરે મતગણતરી
જો જરૂરી બનશે તો 8 સપ્ટેમ્બરે સવારે 9થી બપોરે 2 વાગ્યા સુધી મતદાન યોજાશે. ત્યારબાદ 9 સપ્ટેમ્બરે સવારે 9 વાગ્યાથી મતગણતરી શરૂ કરી પરિણામ જાહેર કરવામાં આવશે.આ ચૂંટણીમાં કોને ભાજપનું સમર્થન અથવા મેન્ડેટ મળે છે, કયા જૂથના ઉમેદવારો મેદાનમાં ઉતરે છે અને અંતે ચેરમેન પદનું ગણિત કોના પક્ષમાં જાય છે તેના પર સહકારી તેમજ રાજકીય વર્તુળોની નજર રહેશે. વર્ષ 2027ની વિધાનસભા ચૂંટણી પૂર્વે લોધિકા સંઘની આ ચૂંટણી સ્થાનિક સહકારી રાજકારણમાં શક્તિ સંતુલનનો મહત્વપૂર્ણ સંકેત બની શકે છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.