ભારતની સૂર સામ્રાજ્ઞી લતા મંગેશકર છેલ્લા 2 દિવસથી મુંબઈની બ્રિચ કેન્ડી હોસ્પિટલમાં આઈસીયૂમાં છે. શ્વાસ લેવામાં પરેશાની થવાને કારણે તેમને સોમવારે રાતે હોસ્પિટલ ખસેડાયા હતા. જોકે તેમની હાલત હાલ નાજુક છે. દેશ અને દુનિયાભરના તેમના ચાહકો ચિંતિત છે. લગભગ ત્રણ પેઢી તેમના ગીતો સાંભળીને મોટી થઈ છે. લતાજીના અવાજના લોકો દીવાના છે. લતાજી ભલે હવે નિયમિત રીતે ગીતો ગાતા નથી, પરંતુ ટ્વિટર પર તેઓ હમેશાં તેમના ફેન્સ સાથે કનેક્ટ રહે છે. તેમના ટ્વિટ મોટાભાગે આવતા હોય છે જોકે, 10 નવેમ્બરથી તેમના ટ્વિટર હેન્ડલથી કોઈ જ ટ્વિટ આવી નથી. દેશભરના લોકો તેઓ જલ્દી સ્વસ્થ થઈ જાય તે માટે પ્રાર્થના કરી રહ્યાં છે. હાલ આઈસીયૂમાં જીવન સામે સંઘર્ષ કરી રહેલાં લતાજીની સૌથી મોટી તાકાત તેમના ગીતો જ છે.
લતાજીની હાલત નાજુક
તેમના ગીતો જ તેમની સૌથી મોટી તાકાત
70 વર્ષના કરિયરમાં હજારો ગીતો ગાયા છે
પરિવારે કહ્યું લતાજી યોદ્ધા છે
લતા મંગેશકરને ફેફસામાં ઈન્ફેક્શન છે અને ડોકટરો તેને ફેલાતા અટકાવવા માટે સતત પ્રયાસ કરી રહ્યા છે. સારી વાત એ છે કે સિંગર હોવાને કારણે તેમના ફેફસાં મજબૂત છે અને આ જ કારણથી તેઓ આ બીમારી સામે લડી રહ્યાં છે. તેમણે તેમના 70 વર્ષના કરિયરમાં હજારો ગીતો ગાયા છે. પરિવારના લોકો પણ કહી રહ્યાં છે કે તેઓ એક યોદ્ધા છે અને જલ્દી જ સ્વસ્થ થઈને ઘરે પાછાં આવશે. સમગ્ર દેશ પ્રાર્થના કરી રહ્યો છે કે લતા મંગેશકર ઝડપથી સ્વસ્થ થાય અને ઘરે પરત આવે.
ઇન્ટર્નલ મેડિસિન ફિઝિશિયન ડોક્ટર પ્રતિત સમદાનીએ મીડિયા રિપોર્ટ્સમાં જણાવ્યું હતું કે લતા મંગેશકરના લેફ્ટ વેન્ટ્રિક્યુલરમાં સમસ્યા છે અને તેઓ ન્યૂમોનિયાથી પણ પીડિત છે. તેમની હાલત નાજુક છે, પરંતુ સ્વાસ્થ્યમાં સુધારો થયો છે. ડોક્ટર્સ મુજબ લેફ્ટ વેન્ટ્રિક્યુલર સૌથી વધારે હાર્ટની પંપિન્ગ પાવર સપ્લાયમાં મદદ કરે છે અને તે નોર્મલ ફંક્શન માટે સૌથી જરૂરી છે. આ સ્થિતિમાં હાર્ટના લેફ્ટ ભાગને વધુ કામ કરવું પડે છે.
જ્યારે મોદીએ લતાજીને કર્યો ફોન
તમને જણાવી દઇએ કે હિન્દી, પ્રાદેશિક અને વિદેશી ભાષાઓના હજારો ગીતોને અવાજ આપનાર લતા મંગેશકરે આ વર્ષે તેમનું છેલ્લું ગીત 'સૌગંધ મુઝે ઇસ મીટ્ટી કી' રેકોર્ડ કર્યો હતો. જે 30 માર્ચે રિલીઝ થયો હતો. તેમને 2001માં સર્વોચ્ચ નાગરિક સન્માન ભારત રત્નથી સન્માનિત કરવામાં આવ્યા હતા. તાજેતરમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીના 'મન કી બાત' કાર્યક્રમમાં લતાજીનો અવાજ દુનિયાભરના લોકોએ સાંભળ્યો હતો. હકીકતમાં, વડા પ્રધાને તેમને તેમના જન્મદિવસ પર ફોન કરીને શુભેચ્છા પાઠવી હતી અને આ સમગ્ર વાતચીત આ કાર્યક્રમમાં સામેલ કરવામાં આવી હતી.