રોડ, રસ્તા અને પુલ એ દેશની ગતિના પાયા છે અને પાયા પર જ વિકાસની ગાડી દોડતી રહે છે.પરંતુ જ્યારે હવે દેશ વિકાસની છલાંગ મંગળ સુધી લગાવવા તૈયારી કરી રહ્યો છે ત્યારે તેનું ધ્યાન થોડું જમીન પર પણ ગયું છે સેન્ટ્રલ રોડ રિસર્ચ ઈન્સ્ટિટયૂટના એક રિપોર્ટમાં દેશના પુલની દશા વિશે જે ચિત્ર સામે આવ્યું છે તેણે એક નવી ચિંતા જન્માવી છે. દેશના વિકાસના આધાર સમાન પુલની કેવી છે અવદશા જોઈએ આ અહેવાલમાં..
ટૂંકાગાળામાં જ પુલો જર્જરિત!
વિકાસના બણગાં વચ્ચે ટકાઉ વિકાસની વાત ભૂલાઈ
ગુજરાતમાં 250 પુલ બન્યા જર્જરિત
રોડ, રસ્તા અને પુલ એ આમ આદમીને વિકાસની મંજિલ સુધી દોરી જનારા માધ્યમો છે. આપણા દેશમાં પહેલા કદીએ ન હતી તેટલી ગતિએ આજે રોડ અને પુલોનું નિર્માણ થઈ રહ્યું છે. દેશમાં આજે વિશાળ પટમાં પથરાયેલી નદી પર પુલબંધાઈ રહ્યા છે. ઊંડી ખીણ પર સેતુ નિર્માણનું કાર્ય હાથ ધરાઈ રહ્યું છે અને મહાનગરોના બે પરાં વિસ્તારને પણ વિશાળ પુલોથી જોડાઈ રહ્યા છે.
વિકાસના બણગાં વચ્ચે ટકાઉ વિકાસની વાત ભૂલાઈ
જો કે, દરેક સરકારી કાર્યોની સિદ્ધિનો જશ ખાંટવાની સત્તાપક્ષને ઉતાવળ હોય છે. વિકાસના બણગાં વચ્ચે ટકાઉ વિકાસની વાત ભૂલાઈ જાય છે. કોઈપણ વિકાસ કાર્યમાં શિલાન્યાસ અને લોકાર્પણ વચ્ચેનો ગાળો કોન્ટ્રાક્ટરોના ભ્રષ્ટાચારથી ભરેલો હોય છે. જેના કારણે આજે દેશમાં જેટલા પણ બ્રિજ બની રહ્યા છે તેની ટકાઉ ક્ષમતા વિશ્વસનીય રહી નથી.
સેન્ટ્રલ રોડ રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટ એટલે કે, (સીઆરઆરઆઈ)ના એક રિપોર્ટમાં ચોંકાવનારા આંકડા સામે આવ્યા છે. CRRI એ ઈન્સ્ટિટ્યૂટે 2018માં દેશનાં 17 રાજ્યોના 425 પુલનું નિરીક્ષણ કર્યું હતું. જેમાં લગભગ 281 પુલોના સ્ટ્રક્ચરમાં ખામી જોવા મળી હતી. સૌથી વધુ ગુજરાતના આશરે 75% પુલ ખરાબ નીકળ્યા.
ગુજરાતમાં 250 પુલ જર્જરિત હાલતમાં
બીજા ક્રમે ઝારખંડ અને ત્રીજા ક્રમે પંજાબ રહ્યું. તપાસાયેલા આ જર્જિરત પુલોના રાજ્યવાર આંકડા જોઈએ તો ગુજરાતમાં 250 પુલ, ઝારખંડમાં 50 પુલ, પંજાબમાં 40 પુલ, દિલ્હીમાં 33 પુલ, મધ્યપ્રદેશમાં 7 પુલ, રાજસ્થાનમાં 6 પુલ જોખમી હાલતમાં છે. ખરાબ પુલ અંગે સીઆરઆરઆઈનો રિપોર્ટ જાહેર થયા બાદ પરિવહન રાજ્યમંત્રી વી.કે.સિંહે ખરાબ પુલને સુધારવાની વાત કરી છે.
281માંથી 253 પુલ ટૂંક સમયમાં ધરાશાયી થવાના એંધાણ
સીઆરઆરઆઈ અનુસાર સામાન્ય પુલનું આયુષ્ય 100 વર્ષ હોય છે. પરંતુ નવાઈની વાત એ છે કે, 281માંથી 253 પુલ ફક્ત 5થી 7 વર્ષ જ જૂનાં છે. છતાં એ પુલો નજીકના ભવિષ્યમાં જ ધરાશયી થઈ જવાની તૈયારી છે. ખરાબ મટીરિયલને કારણે અનેક પુલના નીચેના તળિયાનો ભાગ ખખડી ગયો છે. કોક્રીટ પણ ખરવા લાગ્યું છે. પુલમાં નીચે તરફ કાણાં પડી રહ્યાં છે. પુલની શરૂઆતમાં અને છેડા પર તિરાડો પડી રહી છે. થાંભલા પણ નક્કી માપદંડ કરતા નબળા થઈ ગયા છે. અનેક પુલોના સાંધા ખૂલવા લાગ્યા છે. 15 પુલ પર તો તાત્કાલિક ધોરણે વાહનવ્યવહાર બંધ કરવા સૂચન કરાયું છે.
સીઆરઆરઆઈ રિપોર્ટ ચિંતાજનક
સત્તાધારી પક્ષ ચૂંટણી આવતા પહેલા લોકાર્પણની ઉતાવળમાં બ્રિજની ક્ષમતા ચકાસણી પ્રયોગો જનતા પર છોડી દે છે અને પોતે વિકાસ કાર્ય પૂરું કર્યાનો સંતોષ અનુભવી બેસી જાય છે અને બીજી તરફ કોન્ટ્રાક્ટરોને પુલનિર્માણમાં ભ્રષ્ટાચાર માટે મોકળું મેદાન મળી જાય છે. જેના કારણે દેશના અનેક પુલની આ સ્થિતિ સર્જાઈ છે. રિપોર્ટ મુજબ 2017માં દેશભરમાં 15,514 અકસ્માત પુલ પર થયા હતા. તેમાં 5542 લોકો મૃત્યુ પામ્યા અને 15893 લોકો ઘવાયા હતા. 2018માં પુલ પર 16,125 દુર્ઘટના સર્જાઈ જેમાં 5693 મૃત્યુ પામ્યા અને 16,762 ઘવાયા હતા. એટલે કે 2017ની તુલનાએ 2018માં પુલ પર વધુ 610 અકસ્માત સર્જાયા.