બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / ગામમાં એક પણ દૂધાળું પશુ નથી તો દૂધ આવ્યું ક્યાંથી? જૂનાગઢ વંથલી પાસે 5,400 લીટર શંકાસ્પદ દૂધ ઝડપાયું
Last Updated: 02:59 PM, 5 August 2026
જૂનાગઢ જિલ્લાના વંથલી તાલુકાના ઝાપોદર ગામમાં સફેદ દૂધના કાળા કારોબારનો મોટો પર્દાફાશ થતાં સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઈ છે. ગામમાં ગાય કે ભેંસ જેવા દુધાળા પશુઓનું નામોનિશાન નથી અને ગ્રામજનો પણ આ ડેરીમાં દૂધ આપવા જતા નથી, તેમ છતાં હજારો લીટર દૂધનો કારોબાર ચાલતો હોવાના આક્ષેપો વચ્ચે રાજકોટ ગ્રામ્ય પોલીસે LCB અને SOGની સંયુક્ત કાર્યવાહીમાં 5,400 લીટર શંકાસ્પદ દૂધ ભરેલું ટેન્કર ઝડપી પાડ્યું છે. સમગ્ર ઘટનાએ ભેળસેળના સંગઠિત કાળા કારોબાર અંગે અનેક સવાલો ઊભા કર્યા છે.
ADVERTISEMENT

રાજકોટ ગ્રામ્ય જિલ્લાના જેતપુર પંથકમાં પેટ્રોલિંગ દરમિયાન LCB અને SOGની ટીમને બાતમી મળી હતી કે ઝાપોદર ગામમાંથી દૂધ ભરેલું એક ટેન્કર સુરેન્દ્રનગર તરફ જઈ રહ્યું છે. મળેલી માહિતીના આધારે હાઈવે પર ટેન્કરને રોકીને તપાસ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન ટેન્કરમાં અંદાજે 5,400 લીટર શંકાસ્પદ દૂધ મળી આવ્યું હતું, જેની અંદાજિત કિંમત રૂ. 2.70 લાખ હોવાનું સામે આવ્યું છે. પ્રાથમિક તપાસમાં દૂધમાં ભેળસેળ હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવતા સમગ્ર જથ્થો કબજે લેવામાં આવ્યો હતો.
ADVERTISEMENT

ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને ફૂડ સેફ્ટી વિભાગની ટીમને સ્થળ પર બોલાવવામાં આવી હતી. અધિકારીઓએ દૂધના નમૂનાઓ લઈને સેમ્પલિંગ કર્યું હતું. ત્યારબાદ સમગ્ર શંકાસ્પદ જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો. હાલ સમગ્ર મામલે જાણવા જોગ નોંધ કરીને સેમ્પલ લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે. હવે લેબોરેટરીના રિપોર્ટના આધારે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
ADVERTISEMENT
આ સમગ્ર ઘટનાને લઈને સ્થાનિક ગ્રામજનોએ ભારે રોષ વ્યક્ત કર્યો છે. ગ્રામજનોના જણાવ્યા મુજબ અગાઉ પણ આવી જ પ્રકારની શંકાસ્પદ પ્રવૃત્તિઓ સામે આવી ચૂકી છે. તેમનો દાવો છે કે ગામમાં એક પણ દુધાળું પશુ નથી અને ગામમાંથી કોઈ વ્યક્તિ આ ડેરીમાં દૂધ આપવા જતી નથી. ત્યારે સૌથી મોટો સવાલ એ ઊભો થયો છે કે આખરે હજારો લીટર દૂધ આવ્યું ક્યાંથી? ગ્રામજનોએ સમગ્ર મામલાની ઊંડાણપૂર્વક તપાસ કરીને જવાબદાર લોકો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે.
ADVERTISEMENT
બીજી તરફ આ ઘટનાએ રાજકીય રંગ પણ ધારણ કર્યો છે. વિરોધ પક્ષે સમગ્ર ઘટનાને ગંભીર ગણાવી રાજ્યસ્તરની તપાસની માંગ કરી છે. સાથે જ આ કથિત કાળા કારોબારના મૂળ સુધી પહોંચવા માટે વિશેષ તપાસ ટીમ (SIT) રચવાની માંગ કરવામાં આવી છે. ભેળસેળખોરો સામે કડક અને બિનજામીનપાત્ર કાયદા હેઠળ કાર્યવાહી કરવામાં આવે તેવી પણ અપીલ કરવામાં આવી છે.
ADVERTISEMENT
ભેળસેળયુક્ત દૂધનો આટલો મોટો જથ્થો ઝડપાતા હવે સવાલ એ ઊભો થયો છે કે શું આ કાળો કારોબાર માત્ર ઝાપોદર ગામ કે એક વિસ્તાર પૂરતો મર્યાદિત છે કે પછી તેની કડીઓ રાજ્યના અન્ય વિસ્તારો સુધી પણ ફેલાયેલી છે? હાલ સમગ્ર મામલે સૌની નજર તપાસ એજન્સીઓની આગામી કાર્યવાહી અને લેબોરેટરીના રિપોર્ટ પર ટકેલી છે. જો રિપોર્ટમાં ભેળસેળની પુષ્ટિ થશે તો આ કેસમાં વધુ મોટા ખુલાસા થવાની શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી રહી છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.