મૂળ યુપીની પરંતુ અમદાવાદમાં સ્થાયી થયેલી જાનકી શર્માએ વિદેશમાં દેશનું વધાર્યુ ગૌરવ, રામ ચરિત માનસ પર હાથ મૂકીને લીધા જજના શપથ. પરિવાર રહે છે અમદાવાદમાં
અમદાવાદની દિકરી અમેરિકામાં બની જજ
મૂળ મુઝફ્ફરની જાનકી શર્મા અમદાવાદ પાંચ વર્ષ રહ્યા
માતા છે ગુજરાતી, પરિવાર રહે છે શાહીબાગમાં
ભારતની વધુ એક દિકરીએ વિદેશની ધરતી પર પોતાના દેશને ગૌરવ અપાવે તેવી સિદ્ધિ હાંસલ કરી છે. યુપીના મુઝફ્ફરનગરમાં જન્મેલી જાનકી વિશ્વમોહન શર્માએ સાતમા ન્યાયિક સર્કિટમાં કાયમી મેજિસ્ટ્રેટ જજ તરીકે શપથ લીધાં છે. જાનકી શર્માએ રામચરિત માનસ પર હાથ મૂકીને શપથ લઈને અમેરિકામાં દેશનું નામ રોશન કર્યુ છે. જો કે જાનકી ભલે યુપીની પરંતુ તેનો નાતો અમદાવાદ સાથે પણ ખરો.
અમદાવાદની શાળામાં ભણી છે જાનકી શર્મા
જાનકીનું બાળપણ ઉત્તરપ્રદેશના મુઝફ્ફરનગરમાં વીત્યું છે અને અહીં જ તેણે પ્રાથમિક શિક્ષણ મેળવ્યું છે, પરંતુ 1995માં તેઓ માતા પિતા સહિત ભાઇ બહેન અમદાવાદ આવી ગયા હતા. એ દરમિયાન અમદાવાદમાં જાનકીએ ધોરણ-8થી ધોરણ-12નો અભ્યાસ પૂર્ણ કર્યો હતો. એ પછી 2001માં જાનકી અમેરિકા ગઈ હતી. જો કે હાલ પણ જાનકીના માતા પિતા અહીં અમદાવાદના શાહીબાગમાં રહે છે. જાનકીની માતા અમદાવાદના જ છે. આખરે લાંબા સમયની મહેનત બાદ જાનકી અમેરિકામાં જજ બની છે.
જાનકીને રામાયણ પ્રત્યે વિશેષ લગાવ
જાનકી શર્માના પરિવાર વિશે વાત કરીએ તો તેના દાદા બ્રહ્મર્ષિ પંડિત જગમોહનજી મહારાજ એક સમર્પિત રામાયણ ગાયક હતા. મારા પિતા પંડિત વિશ્વમોહનજી મહારાજ પણ રામાયણના ગાયક હોવાના કારણે તેઓ નાનપણથી જ રામાયણના પાઠ શીખીને મોટાં થયા છે. જાનકી 1993થી રામાયણના પાઠ કરે છે. આથી તેને રામાયણ પ્રત્યે વિશેષ લગાવ હોવાથી તેણે રામાયણ પર હાથ રાખીને શપથ લીધા હતા.
અમારા ઘરમાં તહેવાર જેવો માહોલ હતો- ત્રિભુવન શર્મા
આ અંગે જાનકીના ભાઈ ત્રિભુવન શર્માએ જણાવ્યું હતું કે આ ક્ષણ દરમિયાન અમારા પરિવારમાં જાણે કોઇ તહેવાર હોય તેવો માહોલ બની ગયો હતો. આ સમયે અમારા ઘરમાં રામાયણનો અખંડ પાઠ ચાલતો હતો. જાનકી વિદેશની ધરતી પર જજ બની તે અમારા માટે જ નહીં પરંતુ પરંતુ ગુજરાત અને દેશ માટે ખૂબ જ ગૌરવપૂર્ણ છે. જાનકી અત્યારસુધી અમારા પરિવારની દીકરી અને બહેન હતી, પરંતુ હવેથી તે દેશની દીકરી અને બહેન છે.