ભારતીય ક્રિકેટમાં ટી-20 વર્લ્ડ કપ બાદ મોટા ફેરફારોની સંભાવના છે. સ્ટાફ સહિત ઘણા લોકો ટીમ સાથે છેડો ફાડે તેવી સંભાવના છે.
ટી-20 વર્લ્ડ કપ બાદ ભારતીય ક્રિકેટમાં મોટા ફેરફારની સંભાવના છે. યુએઇમાં ઓકટોબર નવેમ્બરમાં યોજાનાર વર્લ્ડ કપ બાદ હેડ કોચ રવિ શાસ્ત્રી, બોલિંગ કોચ અરુણ, ફિલ્ડિંગ કોચ આર. શ્રીધર અને બેટિંગ કોચ વિક્રમ રાઠોર સહિત તમામ લોકો ભારતીય ટીમ થી અલગ થઈ જાય તેવી સંભાવના છે.
શાસ્ત્રીનો કોન્ટ્રેક્ટ થશે પૂરો
ભારતીય ટીમ સાથે હેડ કોચ તરીકે જોડાયેલા પૂર્વ ક્રિકેટર રવિ શાસ્ત્રીનો કોન્ટ્રાક્ટ પૂરો થવા જય રહ્યો છે. ભારતીય ટીમ સાથે પ્રથમ વખત 2014 થી 2016 માં ટ્વેન્ટી ટ્વેન્ટી વર્લ્ડકપ સુધી નિર્દેશક ના સ્વરૂપે ટીમ સાથે જોડાયેલા શાસ્ત્રી હવે ભારતીય ટીમના કોચ તરીકે રાજીનામું આપે તેવી સંભાવના છે. ઉલ્લેખનીય છે કે વચ્ચે એક વર્ષ માટે અનિલ કુંબલે પણ કોચ તરીકે જોડાયાં હતા. 2017 માં અનિલ કુંબલે રાજીનામું આપ્યા બાદ રવિ શાસ્ત્રીને ફરી ભારતીય ક્રિકેટ ટીમના કોચ બનાવી દેવામાં આવ્યા હતા.
બોલિંગ કોચ અરુણનો મોટો ફાળો
ભારતીય બોલિંગ લાઇન અપ અત્યારે વિશ્વની સૌથી ઘાતક બોલિંગ લાઇન અપ પૈકીની એક ગણાય છે. આના પાછળ બોલિંગ કોચ અરુણ નો પણ મોટો ફાળો છે. આ સિવાય અરુણ શ્રીધરનો ટીમના ફિલ્ડિંગ કોચ તરીકે મોટો ફાળો રહ્યો છે. ટીમમાં સ્ફૂર્તિ અને ફિટનેસનું મહત્વ પણ વધ્યું હતું.
મોટી ટુર્નામેન્ટ્સમાં હાર
રવિ શાસ્ત્રીનાં કોચપદે ભારતીય ટીમ 2019 માં વન-ડે વર્લ્ડ કપની સેમી ફાયનલ અને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપની ફાઇનલ હારી હતી. આજ સુધી રવિ શાસ્ત્રીના કોચ પદ હેઠળ ભારતીય ટીમ એકપણ મોટી ટુર્નામેન્ટ જીતી શકી નથી. છેલ્લે ભારતે ઓસ્ટ્રેલીયાને તેના જ ઘરઆંગણે ટેસ્ટ શ્રેણીમાં સજ્જડ પરાજય આપ્યો હતો. ભારતીય કપ્તાન વિરાટ કોહલીને પણ રવિ શાસ્ત્રી સાથે સારું બનતું હોવાના સમાચાર છે માટે નવા કોચ ટીમ સાથે કયા પ્રકારની કેમેસ્ટ્રી ઊભી કરી શકે છે તે જોવું રહ્યું.
આઇપીએલ અગાઉથી ચાલે છે ચર્ચા
અમુક સ્ટાફ તો બીસીસીઆઈ સાથે આઈપીએલ અગાઉથી જ ચર્ચા કરી ચૂક્યો હતો જ્યારે હવે સાચા સમયની રાહ જોઈ રહ્યો હતો. તેમણે બીસીસીઆઈના અમુક સદસ્યોને આ અંગે જણાવી રાખ્યું હોવાનું મનાય છે. નવેમ્બરમાં રવિ શાસ્ત્રી પણ ટીમ સાથે છેડો ફાડે તેવી સંભાવના છે.