શ્રીલંકા આર્થિક સંકટનો સામનો કરી રહ્યું છે.તેથી તેણે ભારતની નારાજગી હોવા છતાં ચીન પર ફરીથી ધ્યાન આપ્યું છે. શ્રીલંકાએ ભારતના વાંધાઓ છતાં ચીનના ગુપ્તચર જહાજને હંબનટોટા બંદર પર આવવાની મંજૂરી આપી હતી
સંયુક્ત રાષ્ટ્ર માનવાધિકાર પરિષદમાં ભારતે પ્રથમ વખત શ્રીલંકાને ઘેરી લીધું
તમિલ લઘુમતીઓના માનવાધિકારના મુદ્દા પર સંભળાવી ખરીખોટી
ચીનના ગુપ્તચર જહાજને હંબનટોટા બંદર પર આવવાની મંજૂરી આપી
ભારતે શ્રીલંકામાં તમિલ લઘુમતીઓના મુદ્દા પર સંયુક્ત રાષ્ટ્રમાં આકરી પ્રતિક્રિયા આપી. ભારતે આ મુદ્દે વૈશ્વિક સંસ્થામાં પાડોશી દેશ શ્રીલંકા પ્રત્યે પહેલીવાર આ પ્રકારનું વલણ દેખાડ્યું. એવું માનવામાં આવે છે કે, શ્રીલંકાએ ભારતના વાંધાઓ છતાં ચીનના ગુપ્તચર જહાજને હંબનટોટા બંદર પર આવવાની મંજૂરી આપી હતી, એ પણ તે સમયે જ્યારે એક દિવસ પહેલા ભારતે તેને ડોર્નિયર એરક્રાફ્ટ આપ્યું હતું. એટલું જ નહીં જ્યારે દેશ આર્થિક સંકટના કારણે સળગી રહ્યો હતો ત્યારે ભારતે શ્રીલંકાને ઘણી મદદ કરી હતી. આવી સ્થિતિમાં ભારતની ચિંતાઓને નજરઅંદાજ કરીને ચીન તરફ ધ્યાન આપવું એ શ્રીલંકા પ્રત્યે ભારતના વલણમાં બદલાવનું કારણ હોવાનું કહેવાય છે.
સંયુક્ત રાષ્ટ્રમાં પ્રથમ વખત ઘેરાયું શ્રીલંકા
ભારતે સંયુક્ત રાષ્ટ્ર માનવાધિકાર પરિષદ (UNHRC) ના 51મા સત્રમાં શ્રીલંકામાં સમાધાન, જવાબદારી, માનવાધિકારને પ્રોત્સાહન આપવા પર સંયુક્ત રાષ્ટ્રના માનવ અધિકારો કાર્યાલય (OHCHR)ના રિપોર્ટ પર એક ચર્ચા દરમિયાન તમિલ લઘુમતીઓનો મુદ્દો ઉઠાવ્યો. ભારતે કહ્યું કે, તે હંમેશા માનવાધિકારના સંવર્ધન અને સંરક્ષણ તથા સંયુક્ત રાષ્ટ્રના સિદ્ધાંતો અનુસાર રચનાત્મક આંતરરાષ્ટ્રીય સંવાદ અને સહયોગ કરવામાં વિશ્વાસ રાખે છે. વિશેષ ક્ષેત્રના લોકોના વંશીય મુદ્દાના રાજકીય ઉકેલ માટે તેની પ્રતિબદ્ધતાઓ પર શ્રીલંકાની પ્રગતિના અભાવ અંગે ચિંતા વ્યક્ત કરતા ભારતે સોમવારે 13મા સુધારાના સંપૂર્ણ અમલીકરણ માટે તાત્કાલિક અને વિશ્વસનીય પગલાં લેવાની અપીલ કરી. સાથે જ ભારતે અભૂતપૂર્વ આર્થિક સંકટનો સામનો કરી રહેલા દેશમાં શક્ય તેટલી વહેલી તકે પ્રાંતીય ચૂંટણીઓ કરાવવાની પણ અપીલ કરી હતી.
ભારતનું વલણ કેમ બદલાયું, સમજો
નિષ્ણાંતોનું માનવું છે કે, ભારતે આ પહેલું પગલું શ્રીલંકાની શિથિલતા અથવા કોઈપણ મામલામાં તેની કાર્યવાહીને નકારી કાઢવા માટે ભર્યું છે. જોકે, સત્તાવાર સૂત્રોએ જણાવ્યું હતું કે, શ્રીલંકામાં માનવાધિકાર મુદ્દે ભારતનો સામાન્ય અભિપ્રાય બદલાયો નથી. તેમના મતે શ્રીલંકાના મુદ્દે ભારતના મુખ્યત્વે બે મૂળભૂત મંતવ્યો છે. પ્રથમ એ કે, ભારત શ્રીલંકાના તમિલો માટે ન્યાય, તેમની મર્યાદા અને શાંતિની માંગ પર જોર આપતુ રહેશે અને બીજુ એ કે શ્રીલંકાની એકતા, સ્થિરતા અને પ્રાદેશિક અખંડિતતા જાળવવા માટે ભારત મદદ કરવાનું ચાલુ રાખશે. અધિકારીઓએ કહ્યું કે, ભારતની નજરમાં આ બંને એકબીજાથી અલગ નથી, પરંતુ તેને પરસ્પર સંબંધ છે.
આ તકે ભારત સરકારે ચીન પર આકરા પ્રહારો કર્યા હતા. ભારતે કહ્યું કે, હિંદ મહાસાગરના દેશોની આર્થિક કટોકટી દર્શાવે છે કે દેવા આધારિત અર્થવ્યવસ્થાની મર્યાદા શું છે અને ત્યાંના લોકોના જીવનધોરણ પર કેટલી નકારાત્મક અસર પડે છે. આ વર્ષે જ ભારતે શ્રીલંકાને સંકટમાંથી બહાર આવવા માટે 3.8 અરબ ડોલર (લગભગ 3 ખરબ રૂપિયા)ની મદદ કરી. ભારતે તાજેતરમાં જ તેના નાગરિકોને શ્રીલંકાના પ્રવાસ પર જવાને લઈને ચેતવણી આપી હતી. આ કારણે શ્રીલંકામાં ભારતીય પ્રવાસીઓની સંખ્યામાં 20 ટકાનો ઘટાડો થયો છે. આવું એવા સમયે થયું જ્યારે શ્રીલંકા પ્રવાસન આધારિત અર્થવ્યવસ્થા તરીકે ભારત પ્રત્યા આશાની નજરોથી જોઈ રહ્યું છે. નોંધનીય છે કે હંબનટોટામાં ગુપ્તચર જહાજને એન્ટ્રી કરવાની પરવાનગી શ્રીલંકાના પૂર્વ રાષ્ટ્રપતિ ગોટાબાયા રાજપક્ષેના કાર્યકાળ દરમિયાન આપવામાં આવી હતી. બંને દેશોએ આ ડીલને ખૂબ જ ગુપ્ત રાખી હતી. જ્યારે ભારતને આ વિશે ખબર પડી ત્યારે તેણે શ્રીલંકા સરકાર પાસેથી સ્પષ્ટતા માંગી અને પછી વિશ્વને તેના વિશે માહિતી મળી.
દર વખતે કરતુ રહ્યું સમર્થન, આ વખતે સંભળાવી ખરીખોટી
તમિલનાડુના રાજકીય પક્ષોના દબાણ અને ચીનના હાથે વ્યૂહાત્મક હારના ડરથી ભારતની સરકારે અત્યાર સુધી UNHRCમાં શ્રીલંકાને સમર્થન આપ્યું હતું. આ વૈશ્વિક સંસ્થામાં જ્યારે પણ શ્રીલંકામાં યુદ્ધ અપરાધો અને માનવાધિકાર ભંગના મામલા સામે આવ્યા, ત્યારે ભારતે શ્રીલંકાના સમર્થનમાં વોટિંગ કરીને પ્રત્યક્ષ સમર્થન આપ્યું અથવા મતદાન પ્રક્રિયામાં ભાગ ન લઈને પરોક્ષ મદદ કરી. વર્ષ 2012માં ભારતે આ પ્રકારના ઠરાવ પર શ્રીલંકાની તરફેણમાં મતદાન કર્યું હતું, જ્યારે 2014માં મતદાનથી દૂર રહ્યું હતું. ગયા વર્ષે પણ ભારતે વોટિંગમાં ભાગ ન લઈને શ્રીલંકાને મદદ કરી હતી, જ્યારે ચીન અને પાકિસ્તાને તેની વિરુદ્ધ વોટિંગ કર્યું હતું. આવી સ્થિતિમાં આ પ્રશ્ન ઊભો થયો જરૂરી છે કે, શ્રીલંકા તમામ મદદ કરવા છતાં ભારતના વાંધાઓની અવગણના તે કેવી રીતે કરી શકે છે, ખાસ કરીને જેણે તેને દેવાની જાળમાં ફસાવ્યો છે અને સંયુક્ત રાષ્ટ્ર જેવા વૈશ્વિક મંચ પર તેનો ખુલ્લેઆમ વિરોધ કર્યો છે?
ચીની જાસૂસી જહાજના મુદ્દે બગડ્યું સમીકરણ
આપને જણાવી દઈએ કે, 16 ઓગસ્ટના રોજ ચીનનું ગુપ્તચર જહાજ યુઆન વાંગ 5 શ્રીલંકાના હંબનટોટા બંદર પર પહોંચ્યું હતું અને 22 ઓગસ્ટ સુધી ત્યાં રહ્યું હતું. આવું ત્યારે થયું જ્યારે ભારતે પોતાની ચિંતા વ્યક્ત કરી. ત્યારે શ્રીલંકાએ ચીનને આ કાર્યક્રમ થોડા દિવસો માટે મુલતવી રાખવા જણાવ્યું હતું. ત્યારબાદ શ્રીલંકાએ ભારત સાથે વાતચીત કરી અને જાણવા માંગ્યું કે ચીનના જહાજથી ભારતને શું ખતરો છે. ભારતે શ્રીલંકામાં ચીનના જહાજ અંગેના તેના વાંધાઓને વિગતવાર સમજાવ્યા. ભારતે જણાવ્યું કે ચીને આ જાસૂસી જહાજને આ માટે બનાવ્યું છે કે તે દરિયાઈ સર્વેક્ષણ કરી શકે છે જેથી હિંદ મહાસાગરમાં સબમરીન સંબંધિત ઓપરેશનને આગળ વધારી શકાય. 400 ડ્રાઇવરોના વિશાળ ક્રૂ સાથે યુઆન વાંગ 5માં એક વિશાળ ટ્રેકિંગ એન્ટેના અને અત્યાધુનિક સેન્સર ફીટ કરવામાં આવ્યું છે. આ સાધનોની મદદથી તે ભારતના દક્ષિણ ભાગમાં લશ્કરી ગતિવિધિઓ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સનું ખૂબ જ નજીકથી વિશ્લેષણ કરી શકે છે. એટલું જ નહીં આ ચીની રિકોનિસન્સ જહાજ ઉપગ્રહો અને ઇન્ટરકોન્ટિનેન્ટલ બેલેસ્ટિક મિસાઇલોને પણ ટ્રેક કરવામાં પણ સક્ષમ છે. હંબનટોટા પોર્ટથી ઓડિશાના કિનારે પણ મોનિટર કરી શકાય છે જ્યાં ભારતનું મિસાઇલ ટેસ્ટિંગ પ્લેટફોર્મ છે.
બીજી તરફ અમેરિકાએ પણ કહ્યું કે, ચીનનું આ જહાજ ઈન્ટેલિજન્સ ટેક્નોલોજીથી સજ્જ છે અને તે અન્ય દેશોમાં ગેરકાયદેસર રીતે હસ્તક્ષેપ કરે છે. અમેરિકાએ કહ્યું કે, યુઆન વાંગ 5 હિંદ મહાસાગરના મોટા વિસ્તાર પર મિસાઇલ અને સેટેલાઇટની ગતિવિધિઓ પર નજર રાખવામાં સક્ષમ છે, તેથી તેને હંબનટોટામાં રહેવાની મંજૂરી આપવી જોઈએ નહીં. શ્રીલંકાના સંરક્ષણ મંત્રાલયના પ્રવક્તા કર્નલ નલિન હેરાથે કહ્યું હતું કે, ચીની જહાજ હમ્બનટોટા બંદર પર તેલ ભરવા માટે રોકાશે અને પછી હિંદ મહાસાગર તરફ જવા રવાના થશે. તો ચીન તરફથી પણ પ્રતિક્રિયા આવી હતી અને તેણે કહ્યું હતું કે હંબનટોટામાં તેના જહાજને પડાવ કરવો એક સામાન્ય પ્રક્રિયા છે. આના દ્વારા અન્ય દેશોની ગુપ્ત માહિતી એકત્ર કરવાનો તેનો કોઈ ઈરાદો નથી.
8 વર્ષ બાદ શ્રીલંકા આવ્યું હતું ચીની જહાજ
આ પહેલા 8 વર્ષ પહેલા 2014માં ચીનના કેટલાક જાસૂસી સાધનો શ્રીલંકાના બંદરમાં આવ્યા હતા. તે સબમરીન હતી, જહાજ નહીં. તેના બદલામાં ચીને શ્રીલંકાને ઘણી ભેટ આપી. શ્રીલંકા ફરીથી આર્થિક સંકટનો સામનો કરી રહ્યું છે, તેથી તેણે ભારતની નારાજગીના ડર છતાં ચીન પર ફરીથી ધ્યાન આપ્યું છે. એ અલગ વાત છે કે તેણે દુનિયાને કહ્યું કે હંબનટોટામાં ચીનના જહાજને ખુલી છૂટ નહીં મળે. ત્યારે તેણે કહ્યું હતું કે, ચીની રિકોનિસન્સ જહાજ યુઆન વાંગ 5 હંબનટોટાથી કોઈ સંશોધન કાર્ય કરશે નહીં.
હકીકતમાં, શ્રીલંકાના આ વલણથી ભારત હચમચી ગયું છે કારણ કે તેણે 15 ઓગસ્ટે જ તેનું જાસૂસી વિમાન ડોર્નિયર શ્રીલંકાને સોંપ્યું હતું. ભારતે છેલ્લા કેટલાક મહિનામાં પાડોશી દેશને સૌથી વધુ મદદ કરી છે. બીજી તરફ શ્રીલંકાએ પણ અમેરિકાના વાંધાને નજરઅંદાજ કર્યો હતો. આશ્ચર્યજનક રીતે શ્રીલંકાને ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ (IMF) પાસેથી લોન માટે યુએસની મદદની જરૂર છે. પરંતુ તસ્વીરની બીજી બાજુ એ છે કે શ્રીલંકા ચીનના દેવાની જાળમાં ખરાબ રીતે ફસાઈ ગયું છે. ઉપરથી ચીન તરફથી પણ ઘણું દબાણ છે. આમ પણ હંબનટોટા બંદર 99 વર્ષના લીઝ પર ચીન હેઠળ છે. આવી સ્થિતિમાં શ્રીલંકા પોતાને બે ધ્રુવોમાં ફસાવે છે અને તે એ પ્રયાસમાં છે છે બે વિરોધી ધ્રુવો વચ્ચે સંતુલન સાધતું રહે.