બેન્ક લોકરને લઇ રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાએ બેન્કને કેટલીક સત્તા આપી છે. જો તમે એક વર્ષ સુધી તમારું બેન્ક લોકર એક વાર પણ ખોલશો નહીં તો બેન્કને તમારું લોકર ખોલવાનો અધિકાર રહેશે. બિનવારસી લોકરની વધતી જતી સંખ્યાને જોઇ બેન્ક લાંબા સમયથી આવી માગણી કરી રહી હતી.
બેંક લોકરને લઈને થયા આ ફેરફાર
બેન્કને તમારું લોકર ખોલવાનો અધિકાર રહેશે
એક વર્ષ સુધી લોકર નહીં ખોલો તો બેન્ક કરશે આ કામ
એકલા કાનપુરમાં જ ૫,૭૦૦થી વધુ લોકર વિવિધ બેન્ક શાખામાં લાંબા સમયથી બંધ છે. આથી રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાએ ગ્રાહકો માટે વર્ષમાં ઓછામાં ઓછા એક વખત બેન્ક લોકર ખોલવાનું ફરજિયાત કર્યું છે. જો તમે એક વર્ષ સુધી બેન્ક લોકર ખોલશો નહીં તો બેન્ક તમારું લોકર ખોલી શકશે અને તેમાં શું છે તે પણ જાણી શકશે.
આ માટે બેન્ક લોકરને ત્રણ કેટેગરીમાં વિભાજિત કરાયાં છે. આ કેટેગરી ખતરાના આધારે તૈયાર કરવામાં આવી છે. ઓછા ખતરાવાળી પ્રથમ કેટેગરીમાં એક વર્ષ સુધી લોકર નહીં ખોલનાર ગ્રાહકોને મૂકવામાં આવશે અને આવા ગ્રાહકોને બેન્ક લોકર ખોલવા માટે એક તક આપશે.
બેન્ક નોટિસ મોકલશે
મધ્યમ ખતરાવાળી બીજી કેટેગરીમાં આરબીઆઇ નિયમો અનુસાર બેન્ક નોટિસ મોકલશે, જેમાં તમને લોકર ખોલવા અથવા સરેન્ડર કરવાની સૂચના આપશે અને લોકર શા માટે ખોલ્યું નહીં તેનો લેખિત ખુલાસો કરવો પડશે. જો તમારા જવાબથી બેન્કને સંતોષ થશે નહીં તો લોકર ખોલવાની એક તક આપવામાં આવશે. ત્યાર બાદ જો તમે લોકર નહીં ખોલો તો તમારું લોકર કોઇ બીજા ગ્રાહકને ફાળવી દેવામાં આવશે.
લોકર ખોલવાની મંજૂરી અપાશે
ત્રીજી કેટેગરી વધુ ખતરાવાળી હશે, જેમાં ત્રણ વર્ષથી વધુ સમય સુધી લોકર નહીં ખોલનાર ગ્રાહકોને મૂકવામાં આવશે. આ કેટેગરીમાં તપાસ અને કાનૂની પ્રક્રિયા બાદ જ લોકર ખોલવાની મંજૂરી અપાશે. ત્રણેય કેટેગરીમાં બેન્કો પાસે આ લોકર્સ ખોલવાનો અધિકાર રહેશે. અત્રે ઉલ્લેખનીય છે કે કેટલીક વીમા કંપનીઓ લોકરનો ઇન્સ્યોરન્સ પણ આપે છે.