બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદમાં વીજ લાઇન વિવાદ, હાઇકોર્ટે કલેક્ટરનો હુકમ રદ કર્યો, ખેડૂતોને સાંભળ્યા બાદ જ લેવાશે અંતિમ નિર્ણય
Last Updated: 09:23 AM, 17 June 2026
અમદાવાદના ધોલેરા સર વિસ્તારમાં વીજ લાઇન નાખવાના મામલે ગુજરાત હાઇકોર્ટે મહત્વપૂર્ણ આદેશ આપ્યો છે. વીજ લાઇનના કારણે ખેતર અને પાકને નુકસાન થઈ રહ્યું હોવાની રજૂઆત સાથે કરવામાં આવેલી રિટ પર સુનાવણી દરમિયાન હાઇકોર્ટે અમદાવાદ કલેક્ટર દ્વારા આપવામાં આવેલા હુકમને રદ કર્યો છે.
ADVERTISEMENT

ADVERTISEMENT
મામલાની વિગતો મુજબ, કમિયાણા ગામના ખેડૂતોની રજૂઆત હતી કે તેમને યોગ્ય રીતે સાંભળ્યા વગર જ તેમના વિસ્તારમાં વીજ લાઇન નાખવાનો આદેશ આપવામાં આવ્યો હતો. ખેડૂતોનો આક્ષેપ હતો કે વીજ લાઇનના કામના કારણે તેમના ખેતર અને ઉભા પાકને નુકસાન થઈ શકે છે. તેમ છતાં તેમની રજૂઆતને પૂરતું મહત્વ આપવામાં આવ્યું નહોતું અને કંપનીઓને વીજ લાઇન નાખવાની મંજૂરી આપી દેવામાં આવી હતી.
ADVERTISEMENT
આ નિર્ણય સામે ખેડૂતો દ્વારા હાઇકોર્ટમાં પડકાર કરવામાં આવ્યો હતો. અરજીમાં જણાવાયું હતું કે ખેડૂતોના હિતોને ધ્યાનમાં લીધા વગર અને તેમની વાત સાંભળ્યા વગર કંપનીઓને વીજ લાઇનના કામ માટે મંજૂરી આપવામાં આવી છે, જે કુદરતી ન્યાયના સિદ્ધાંતો વિરુદ્ધ છે. મામલાની સુનાવણી દરમિયાન હાઇકોર્ટે નોંધ્યું કે અસરગ્રસ્ત ખેડૂતોને પોતાની વાત રજૂ કરવાની તક આપવી જરૂરી છે. આથી કોર્ટે અમદાવાદ કલેક્ટરના અગાઉના હુકમને રદ કરીને તમામ સંબંધિત ખેડૂતોને સાંભળવાનો આદેશ કર્યો છે.
ADVERTISEMENT
હાઇકોર્ટે સ્પષ્ટ જણાવ્યું છે કે કમિયાણા સહિતના અસરગ્રસ્ત તમામ ખેડૂતોને 19 જૂન સુધીમાં સાંભળવામાં આવે અને તેમની રજૂઆતો તથા વાંધાઓ પર યોગ્ય રીતે વિચાર કરવામાં આવે. ત્યારબાદ સમગ્ર મામલે કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ કરીને 23 જૂન સુધીમાં અંતિમ નિર્ણય લેવામાં આવે.
ADVERTISEMENT
ધોલેરા સર વિસ્તારમાં વીજ લાઇન પ્રોજેક્ટને લઈને ખેડૂતો અને તંત્ર વચ્ચે ચાલી રહેલા આ વિવાદમાં હાઇકોર્ટના આ આદેશને મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યો છે. હવે ખેડૂતોની રજૂઆત સાંભળ્યા બાદ જ આગામી કાર્યવાહી અને અંતિમ નિર્ણય લેવામાં આવશે. કોર્ટે ખેડૂતોના હિતોને ધ્યાનમાં રાખીને પારદર્શક અને ન્યાયસંગત પ્રક્રિયા અનુસરવા પર ભાર મૂક્યો છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.