છેલ્લા 2 દિવસથી રેલવે ટ્રેક પર અકસ્માતની ઘટનાઓ પ્રકાશમાં આવી રહી છે, ત્યારે આજ રોજ આણંદથી નડિયાદ તરફ જતી ગુજરાત સુપરફાસ્ટ ટ્રેનની વચ્ચે ઢોર આવતા મુસાફરોના જીવ તાળવો ચોંટ્યા છે.
આણંદથી નડિયાદ તરફ જતી ટ્રેનનો અકસ્માત
ગુજરાત સુપરફાસ્ટ ટ્રેનની વચ્ચે ઢોર આવ્યું
મુંબઈ થી અમદાવાદ જઈ રહી હતી ટ્રેન
ગઇકાલની જેમ જ જે ટ્રેક પર ગુજરાતના મુંબઈ સેન્ટ્રલ અને ગાંધીનગર વચ્ચે દોડતી વંદે ભારત એક્સપ્રેસનો અકસ્માત થયો હતો એ જ ટ્રેક પર આજે આણંદથી નડિયાદ તરફ જતી 'ગુજરાત સુપરફાસ્ટ ટ્રેન'નો અકસ્માત સર્જાયો છે. ટ્રેન સાથે ઢોર અથડાતા મુસાફરો ચિંતામાં મુકાયા હતા. સાથે વંદે ભારત ટ્રેનની જેમ જ ઢોર ટ્રેન નીચે આવતા આજે પણ રેલ વ્યવહારને માઠી અસર થઇ છે.
મુસાફરોના જીવ પડીકે બંધાયા
ગુજરાતમાં છેલ્લા ત્રણ દિવસથી રેલવે ટ્રેક પર ઢોર આવી ચડવાની ઘટના પ્રકાશમાં આવી રહી છે. ત્યારે આજે 'ગુજરાત સુપરફાસ્ટ ટ્રેન' સાથે ઢોર અથડાતા મુસાફરોના જીવ પડીકે બંધાયા હતા. પુરપાટ ઝડપે જતી ટ્રેન વચ્ચે ઢોર આવી જતાં રેલ વ્યવહારને માઠી અસર પહોંચી હતી.
ગુરુવારે અને શુક્રવારે વંદે ભારત એક્સપ્રેસને નડ્યો હતો અકસ્માત
ગુજરાતના મુંબઈ સેન્ટ્રલ અને ગાંધીનગર વચ્ચે દોડતી વંદે ભારત એક્સપ્રેસને ગુરુવારે અકસ્માત નડ્યા બાદ શુક્રવારે પણ અકસ્માત નડ્યો છે. વંદે ભારત ટ્રેનની જ્યારે માઠી બેઠી હોય તેવુ લાગી રહ્યું છે. આ વખતે ગાય સાથે ટ્રેનની ટક્કર થઈ છે. પુરપાટ ઝડપે આવી રહેલી વંદે ભારત ટ્રેન આણંદ સ્ટેશન ખાતે ગાય સાથે અથડાઇ હતી. સાવચેતીના ભાગ રૂપે એન્જિન ડ્રાઇવરે સ્પીડ કંટ્રોલમાં લેવાનો પ્રયાસ કર્યો હતો. પણ ગાય ખૂબ નજીક હોવાથી ટ્રેન સાથે ટક્કર થઈ ગઈ હતી. સદનસીબે મોટી જાનહાનિ ટળી હતી. ટ્રેનના આગળના ભાગને સામાન્ય નુકસાન થયું છે.
ગુરુવારે 4 ભેંસો વંદે ભારત ટ્રેન સાથે અથડાઇ હતી, પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી
પશુઓનો ત્રાસ રોડ અને રન-વે પર જ નહીં પણ હવે રેલવે ટ્રેક પર પણ જોવા મળ્યો. વંદે ભારત ટ્રેન જે હાઈસ્પીડ ટ્રેન છે અને આ ટ્રેન વચ્ચે ભેંસો આવી જતાં અકસ્માત થયો હતો. ગાંધીનગર-મુંબઈ વચ્ચે દોડતી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનના ટ્રેક પર વટવા નજીક 4 ભેંસો આવી જતાં અકસ્માત થયો હતો. જેમાં 4 ભેંસોના મોત થયા હતા. ત્યારે હવે રેલવે પ્રોટેક્શન ફોર્સ (RPF)એ ભેંસોના માલિક વિરુદ્ધ ગુનો નોંધ્યો છે. આરપીએફએ રેલવે અધિનિયમ 1989ની કલમ 147 અંતર્ગત ગુનો દાખલ કર્યો છે. જોકે, હજુ સુધી રેલવે પોલીસ ભેંસોના માલિકની ઓળખ કરી શકી નથી.
રેલવેના પાટા પર એકાએક આવી ગયું હતું ભેંસોનું ટોળુ
ઉલ્લેખનીય છે કે, ગુરુવારે આ દુર્ઘટના અમદાવાદના વટવા પાસે બની હતી. વટવા-મણિનગર રેલવેના પાટા પર એકાએક ભેંસોનું ટોળુ આવી ગયું હતું. ભેંસો પાટા પર આવી જતાં ટ્રેન રોકતાં રોકતાં તે અથડાઈ ગઈ હતી. કારણ કે ગાડી ફૂલ સ્પીડમાં હતી. એને એક સામટી બ્રેક લગાવી શકાય તેમ ન હતી. કેમ કે, જો એવું કરે તો ગાડી પાટા પરથી નીચે આવી જાય. તેવામાં યાત્રીઓની સુરક્ષાને ધ્યાને રાખીને બ્રેક લગાવાઈ હતી. પરંતુ ત્યાં સુધીમાં ભેંસો ટ્રેન સાથે અથડાઈ ગઈ. જેમાં ટ્રેનનું આગળનું પ્રોર્શન થોડું ડેમેજ થયું હતું. જેને રિપેર કરીને ટ્રેનને ગાંધીનગર રવાના કરાઈ હતી. જો કે, આ અક્સ્માતમાં ભેંસોના તો રામ જ રમી ગયાં.
રાતોરાત રિપેર થઈ વંદે ભારત ટ્રેન
મુંબઈ સેન્ટ્રલથી ગાંધીનગર સુધી જનારી વંદે ભારત એક્સપ્રેસ 6 ઓકટોબરની સવારે 11:18 વાગ્યે વટવા - મણિનગર સ્ટેશન પાસે ભેંસોના ઝુંડનાં ટકરાવાને કારણે ક્ષતિગ્રસ્ત થઈ ગઈ હતી. આ પ્રમિયમ ટ્રેનનાં એન્જિનનો આગળનો ભાગ ટક્કરને કારણે તૂટી ગયો હતો. જોકે, અકસ્માતના એક દિવસ બાદ જ મુંબઈ-ગાંધીનગર વંદે ભારત એક્સપ્રેસ રીપેર થઈને ફરીથી પટરી પર ચાલવા લાગી છે. આ ટ્રેનનાં આગળના ભાગને મુંબઈ સેન્ટ્રલ રેલવેના કોચિંગ કેર સેન્ટરમાં ઠીક કરવામાં આવ્યો હતો. રેલવે સીપીઆરઓ સુમિત ઠાકુરે શુક્રવારે જણાવ્યું છે કે ટ્રેનનો માત્ર આગળનો ભાગ જ ક્ષતિગ્રસ્ત થયાઓ હતો, તેના ફંકશનલ પાર્ટને નુકસાન પહોંચ્યું ન હતું.
દેશની ત્રીજી વંદે ભારત ટ્રેન
આ દેશની ત્રીજી વંદે ભારત ટ્રેન છે, જેને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 30 સપ્ટેમ્બરે લીલી ઝંડી બતાવી હતી. અગાઉ, બે વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનો નવી દિલ્હી-વારાણસી અને નવી દિલ્હી-માતા વૈષ્ણોદેવી કટરા વચ્ચે ચાલી રહી હતી. આ ટ્રેન ગાંધીનગરથી અમદાવાદ થઈને મુંબઈ સેન્ટ્રલ જાય છે, પછી આ રૂટ થઈને ગાંધીનગર પરત આવે છે. રેલવે બોર્ડ દેશભરમાં 400 સેમી હાઈ સ્પીડ વંદે ભારત ટ્રેનો ચલાવવાની તૈયારી કરી રહ્યું છે. પીએમ મોદીએ ગયા વર્ષે 15 ઓગસ્ટના રોજ લાલ કિલ્લા પરથી જાહેરાત કરી હતી કે વર્ષ 2023 સુધી દેશમાં 75 વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન ચાલવા લાગશે.