બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / પાટણથી લઇને નળ સરોવર સુધી..., ખેતરો બેટમાં ફેરવાતા જગતનો તાત મૂકાયો મુશ્કેલીમાં
Last Updated: 01:18 PM, 26 July 2026
અમદાવાદ જિલ્લાના નળ સરોવર વિસ્તાર અને પાટણ જિલ્લામાં વરસેલા ભારે વરસાદે ખેડૂતોની ચિંતામાં મોટો વધારો કર્યો છે. સતત વરસાદના કારણે અનેક ગામોના ખેતરો પાણીમાં ગરકાવ થઈ ગયા છે અને ડાંગર તેમજ કપાસના પાકને વ્યાપક નુકસાન થયું છે. વીટીવી ન્યૂઝના ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટમાં નળ સરોવરના ખેતરોમાંથી સામે આવેલા દૃશ્યોમાં ખેતરો બેટમાં ફેરવાઈ ગયા હોવાનું જોવા મળ્યું છે. ખેતરોમાં જાણે નદી વહેતી હોય તેવા દૃશ્યો સર્જાયા છે, જેના કારણે ખેડૂતોની મહેનત પર પાણી ફરી વળ્યું છે.
ADVERTISEMENT

નળ સરોવર વિસ્તારમાં ભારે વરસાદ બાદ અનેક ગામોના ખેતરો પાણીમાં ગરકાવ થઈ ગયા છે. ડાંગરના પાક સંપૂર્ણપણે પાણીમાં ડૂબી જતા ખેડૂતોને ભારે આર્થિક નુકસાનની ભીતિ સતાવી રહી છે. જગતના તાત ગણાતા ખેડૂતોની વ્યથા પણ વીટીવી ન્યૂઝ સમક્ષ સામે આવી છે. એક ખેડૂતે જણાવ્યું કે, "ડાંગરનો પાક કર્યો હતો, પરંતુ ખેતરોમાં પાણી ઘૂસી જતાં આખો પાક પાણીમાં ગરકાવ થઈ ગયો છે." અન્ય ખેડૂતોએ જણાવ્યું કે, "દર વર્ષે વરસાદ આવે છે અને ખેતરોમાં પાણી ફરી વળે છે, પરંતુ આ સમસ્યાનો કાયમી ઉકેલ આજ સુધી આવ્યો નથી." ખેડૂતોએ સરકાર સમક્ષ માંગ કરી છે કે અસરગ્રસ્ત વિસ્તારોમાં તાત્કાલિક સર્વે કરવામાં આવે અને પાકને થયેલા નુકસાન બદલ યોગ્ય સહાય જાહેર કરવામાં આવે. ખેડૂતોનું કહેવું છે કે હાલની સ્થિતિ એવી છે કે બાવળા અથવા સાણંદ જેવા નજીકના વિસ્તારોમાં જવું પણ મુશ્કેલ બની ગયું છે, કારણ કે અનેક રસ્તાઓ પાણીમાં ગરકાવ થઈ ગયા છે.
ADVERTISEMENT
બીજી તરફ, પાટણ જિલ્લામાં પડેલા અનરાધાર વરસાદે પણ ભારે વિનાશ સર્જ્યો છે. જિલ્લાના અનેક વિસ્તારોમાંથી તારાજીના દૃશ્યો સામે આવ્યા છે. જે ખેડૂતો થોડા દિવસ પહેલાં મેઘરાજાની રાહ જોઈ રહ્યા હતા, તેઓ આજે પોતાના પાકને પાણીમાં ગરકાવ થયેલો જોઈ ચિંતાતુર બન્યા છે. ખેડૂતોએ મોંઘા ખર્ચે ખેડ, ખાતર, બિયારણ અને અન્ય ખેતી ખર્ચ કરીને વાવેતર કર્યું હતું, પરંતુ ભારે વરસાદના કારણે ખેતરોમાં પાણી ફરી વળતાં તેમની તમામ મહેનત પર પાણી ફરી વળ્યું છે.
ADVERTISEMENT

ખાસ કરીને કપાસના પાકને સૌથી વધુ નુકસાન પહોંચ્યું છે. ખેડૂતોના જણાવ્યા મુજબ તેમણે પ્રતિ વીઘા અંદાજે ₹20 હજાર જેટલો ખર્ચ કરીને મોટા પ્રમાણમાં કપાસનું વાવેતર કર્યું હતું. હવે ખેતરોમાં પાણી ભરાઈ જતાં કપાસનો પાક નિષ્ફળ જવાની ભીતિ ઉભી થઈ છે. રાધનપુર અને સાંતલપુર વિસ્તારમાં અંદાજે 15-15 ઈંચ વરસાદ વરસતા વિશાળ વિસ્તારના ખેતરો જળમગ્ન બન્યા છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ ખેતરોમાંથી પાણી ઓસરવામાં હજુ ઘણા દિવસો લાગી શકે છે.
ADVERTISEMENT
નળ સરોવરના ખેતરો બેટમાં ફેરવાતા જગતના તાતે VTV સમક્ષ ઠાલવી અંતરની વેદના#NalSarovar #Ahmedabad #Farmers #HeavyRain #CropDamage #GujaratNews #VTVDigital pic.twitter.com/3Suyt2bbCw
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) July 26, 2026
ભારે વરસાદના કારણે નળ કાંઠાનો વિસ્તાર પણ ગંભીર રીતે પ્રભાવિત થયો છે. વીટીવી ન્યૂઝની ટીમ ટ્રેક્ટર મારફતે નળ સરોવર વિસ્તારના રેથલ ગામ સુધી પહોંચી હતી, જ્યાં હજુ પણ ચારેબાજુ પાણી ભરાયેલા જોવા મળ્યા હતા. ગામની પ્રાથમિક શાળા અને પશુ દવાખાનું પણ પાણીમાં ગરકાવ થઈ ગયા છે. ખેતરો બેટમાં ફેરવાઈ જતા ખેડૂતોના પાકને ભારે નુકસાન થયું છે અને સામાન્ય જનજીવન પણ પ્રભાવિત બન્યું છે.
ADVERTISEMENT
રેથલ ગામના ગ્રામજનોએ જણાવ્યું કે આ સમસ્યા વર્ષોથી યથાવત છે, છતાં આજ સુધી કોઈ પ્રશાસન કાયમી ઉકેલ માટે આગળ આવ્યું નથી. ભારે વરસાદ બાદ ગામમાં બે દિવસ સુધી લોકો ભૂખ્યા રહ્યા હતા, ત્યારબાદ ગ્રામજનોએ એકત્રિત થઈને જમવાની વ્યવસ્થા કરી હતી. સ્થાનિકોનો આક્ષેપ છે કે નજીકની GIDC કંપનીઓના કારણે આ વિસ્તારમાં વધુ પ્રમાણમાં પાણી ભરાઈ રહ્યું છે, જેના કારણે દર વર્ષે ખેડૂતો અને ગ્રામજનોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે.
ADVERTISEMENT
આ પણ વાંચો : ધારીના દેવળા ગામમાં સિંહે કર્યો પશુનો શિકાર, ઝરમર વરસાદમાં પશુનો LIVE શિકાર CCTVમાં કેદ
ખેડૂતો અને સ્થાનિક ગ્રામજનોએ સરકાર સમક્ષ માંગ કરી છે કે અસરગ્રસ્ત વિસ્તારોમાં તાત્કાલિક સર્વે કરીને પાકને થયેલા નુકસાનનું યોગ્ય મૂલ્યાંકન કરવામાં આવે તેમજ અસરગ્રસ્ત પરિવારોને વહેલી તકે આર્થિક સહાય જાહેર કરવામાં આવે. સાથે જ નળ સરોવર અને પાટણ જિલ્લાના વરસાદથી પ્રભાવિત વિસ્તારોમાં કાયમી ડ્રેનેજ અને પાણી નિકાલની વ્યવસ્થા ઉભી કરવામાં આવે, જેથી દર વર્ષે સર્જાતી આવી સ્થિતિમાંથી ખેડૂતોને રાહત મળી શકે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.