બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / શહેર કોટડા પોલીસ સ્ટેશન સામે કારખાનામાં વિકરાળ આગ, ફાયર વિભાગનું મેગા ઓપરેશન
Last Updated: 08:39 AM, 5 March 2026
Ahmedabad Fire News: અમદાવાદ શહેરમાં વહેલી સવારે આગની એક ગંભીર ઘટના સામે આવી છે. કાલુપુર બ્રિજ પાસે શહેર કોટડા પોલીસ સ્ટેશનની સામે આવેલા ફરસાણ બનાવવાના કારખાનામાં અચાનક આગ લાગી જતા વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી. રાત્રીના લગભગ 2 વાગ્યાની આસપાસ કારખાનામાંથી ધુમાડા અને આગની જ્વાળાઓ ઉઠતા આસપાસના લોકો ભયભીત થઈ ગયા હતા. ઘટનાની જાણ થતા જ ફાયર વિભાગને તરત જ જાણ કરવામાં આવી હતી. આગ ઝડપથી ફેલાતા નજીકની કેટલીક દુકાનોમાં પણ તેની અસર જોવા મળી હતી. સદનસીબે આ ઘટનામાં કોઈ મોટી જાનહાનિ થઈ નથી. પરંતુ બે લોકોને સામાન્ય ઈજાઓ પહોંચી હોવાનું જાણવા મળ્યું છે.
ADVERTISEMENT

ADVERTISEMENT
માહિતી મુજબ કાલુપુર બ્રિજના છેડે આવેલા સેવ અને અન્ય ફરસાણ બનાવવાના કારખાનામાં વહેલી સવારે 2:23 વાગ્યે આગ લાગ્યાનો મેસેજ ફાયર વિભાગને મળ્યો હતો. કારખાનામાં તેલ અને અન્ય જ્વલનશીલ સામગ્રીનો મોટો જથ્થો હોવાના કારણે આગે જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. આગના કારણે કારખાનામાં રહેલો મોટો માલસામાન બળી ગયો હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી સ્પષ્ટ થયું નથી. પરંતુ પ્રાથમિક રીતે શોર્ટ સર્કિટ અથવા અન્ય ટેકનિકલ ખામીના કારણે આગ લાગી હોવાની શક્યતા તપાસવામાં આવી રહી છે.

ADVERTISEMENT
આગની ગંભીરતાને ધ્યાનમાં રાખીને અમદાવાદ ફાયર વિભાગ દ્વારા તાત્કાલિક મોટા પાયે બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી. ફાયર વિભાગે કુલ 16 ફાયર ગાડીઓ ઘટનાસ્થળે મોકલી હતી. ગોમતીપુર ફાયર સ્ટેશનમાંથી મિની ફાઈટર અને બાઉઝર, પાંચકુવા ફાયર સ્ટેશનમાંથી મિની ફાઈટર, નરોડાથી બે ગજરાજ વોટર ટેન્કર અને મણિનગરથી એક ગજરાજ સાથે અધિકારીઓને મોકલવામાં આવ્યા હતા. ઉપરાંત થલતેજ ફાયર સ્ટેશનના અધિકારીઓના માર્ગદર્શન હેઠળ ફાયર ફાઈટરો દ્વારા આગ પર કાબૂ મેળવવા માટે સતત પાણીનો મારો ચલાવવામાં આવ્યો હતો. લાંબા સમય સુધી ચાલી રહેલી કામગીરી બાદ ફાયર ટીમે આગને કાબૂમાં લેવામાં સફળતા મેળવી હતી.
ADVERTISEMENT

ADVERTISEMENT
આ ઘટનાને પગલે ફાયર સેફ્ટી અંગે પણ અનેક પ્રશ્નો ઊભા થયા છે. કારખાનામાં પૂરતી સુરક્ષા વ્યવસ્થા હતી કે નહીં અને આગ લાગ્યા બાદ તેને કાબૂમાં લેવા માટે જરૂરી સાધનો ઉપલબ્ધ હતા કે નહીં તેની તપાસ શરૂ કરવામાં આવી છે. અધિકારીઓ દ્વારા ઘટનાસ્થળની તપાસ કરીને આગ લાગવાનું ચોક્કસ કારણ શોધવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. હાલ આગ સંપૂર્ણપણે કાબૂમાં છે અને આસપાસના વિસ્તારમાં સ્થિતિ સામાન્ય બની રહી છે. તંત્ર દ્વારા આગ જેવી ઘટનાઓથી બચવા માટે ફાયર સેફ્ટીના નિયમોનું કડક પાલન કરવાની અપીલ પણ કરવામાં આવી છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
Priyankka Triveddi is the senior news editor at VTV Digital, highlighting voices and stories that matter.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.