ફિલ્મ રઇસનાં પ્રમોશન દરમિયાન વડોદરા રેલ્વે સ્ટેશન પર થયેલી ધક્કા-મુક્કીમાં એક વ્યક્તિનાં મોત અંગે શાહરૂખ ખાનની અરજી પર આજે સુનાવણી હાથ ધરવામાં આવી હતી
વડોદરામાં નોંધાયેલી ફરિયાદ ગુજરાત હાઈકોર્ટે રદ કરી
વર્ષ 2017માં રઈસ ફિલ્મના પ્રમોશનને લઈ હતો વિવાદ
શાહરુખ ખાનને જોવા ધક્કામુક્કીમાં એક વ્યક્તિનું થયું હતું મૃત્યુ
અભિનેતા શાહરૂખ ખાનને ગુજરાત હાઇકોર્ટે મોટી રાહત આપી છે. વર્ષ 2017માં રઈસ ફિલ્મના પ્રમોશનમાં થયેલા વિવાદમાં થયેલી અરજી HCએ રદ્દ કરી દીધી છે. વડોદરામાં રઈસ ફિલ્મના પ્રમોશન માટે શાહરુખ ખાન આવ્યો હતો. જેમાં ધક્કામુક્કીમાં એક વ્યક્તિનું મૃત્યુ થયું હતું. મૃતકના પરિવારે શાહરુખ ખાનને જવાબદાર ગણીને ફરિયાદ કરી હતી. જેને રદ્દ કરવા શાહરૂખ ખાને વકીલ મારફત હાઈકોર્ટમાં અરજી કરી હતી.
અગાઉની સુનાવણીમાં શું શું થઈ રજૂઆતો?
જે બાદ ઘણી વખત સુનાવણી પણ હાથ ધરવામાં આવી હતી. જેમાં કોર્ટે તારણ કાઢ્યું હતું કે શાહરૂખ ખાનને જોવા લોકો અતિરેકમાં દોડ્યા હતા. લોકોએ અન્ય કોઇના જીવની ચિંતા કર્યા વિના દોટ મુકી હતી. આ કેસમાં માત્ર શાહરૂખની બેદરકારી ગણી શકાય નહીં. અગાઉની સુનાવણીઓમાં ફિલ્મ અભિનેતા શાહરૂખ ખાનના વકીલે રજૂઆત કરતા કહ્યું કે, શાહરુખ ખાન માફી માંગવા તૈયાર છે. મૃતકના પરિજનને વળતર ચુકવવા પણ તૈયાર છે. પણ પરિવાર સમગ્ર મામલે શાહરુખ ખાનને દોષિત માની રહ્યો છે. ત્યારે ગુજરાત હાઈકોર્ટમાં આજે હાથ ધરવામાં આવેલી સુનાવણીમાં શાહરુખ ખાન સામે નોંધાયેલી ફરિયાદને HCએ રદ કરી દીધી છે.
2017નો એ ઘટનાક્રમ
વડોદરા સ્ટેશને 23 જાન્યુ. 2017ના રોજ રાત્રે 10 વાગ્યે ફિલ્મ અભિનેતા શાહરૂખ ખાન મુંબઈથી દિલ્હી જતી ઓગસ્ટ ક્રાંતિ ટ્રેનમાં ફિલ્મ રઈસના પ્રમોશન માટે આવ્યો હતો. ટ્રેનના કોચ નંબર A-4માં, કે જ્યાં તેનું બુકિંગ ન હતું, છતાં ત્યાંથી પ્રમોશનલ એક્ટિવિટી કરી હોવાનો આરોપ હતો. ફિલ્મ અભિનેતાએ થોડો સમય વડોદરામાં રોકાણ કર્યું હતું. અભિનેતાના શાહરૂખ ખાનના આગમનથી રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 6 પર પ્રસંશકોની ભારે ભીડ એકઠી થઈ હતી. આ વખતે અભિનેતા શાહરૂખે ઉમટેલી ભીડ તરફ પોતાનું ટીશર્ટ અને બોલ ટોળામાં ફેંક્યા, આ બાદ તુરંત જ અફરાતફરી મચી જતાં પોલીસે લાઠીચાર્જ કરવાની ફરજ પડી હતી. આ દરમિયાન ત્યાં હાજર એક વ્યક્તિનું મોત થયું હતું. જ્યારે કેટલાક લોકોને ઈજા પણ થઈ હતી.