બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / સુરતના સમાચાર / 8 કલાકમાં ગુજરાત પાણી-પાણી! ઉમરપાડા 10 ઈંચ, નડિયાદ-વસોમાં પણ મેઘરાજાની ધમાકેદાર બેટિંગ
Last Updated: 03:47 PM, 31 July 2026
રાજ્યભરમાં વરસાદી માહોલ વચ્ચે આજે સવારે 6 વાગ્યાથી બપોરે 2 વાગ્યા સુધીના આઠ કલાક દરમિયાન ગુજરાતના 125 તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ નોંધાયો છે. અનેક વિસ્તારોમાં ભારે વરસાદને કારણે જનજીવન પર અસર જોવા મળી રહી છે.
ADVERTISEMENT
ઉમરપાડા તાલુકામાં 10 ઈંચ વરસાદ નોંધાયો
સૌથી વધુ વરસાદ સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકામાં નોંધાયો, જ્યાં 10 ઈંચ વરસાદ વરસતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જવાની સ્થિતિ સર્જાઈ હતી.
ADVERTISEMENT
ખેડા જિલ્લામાં પણ મેઘરાજાએ જોરદાર બેટિંગ કરી
ખેડા જિલ્લામાં પણ મેઘરાજાએ જોરદાર બેટિંગ કરી હતી. નડિયાદ તાલુકામાં 7.5 ઈંચ અને વસો તાલુકામાં 7 ઈંચ વરસાદ નોંધાયો હતો. જ્યારે આણંદ જિલ્લાના બોરસદ તથા ખંભાત તાલુકામાં 6.5 ઈંચ વરસાદ વરસ્યો હતો.
ADVERTISEMENT
બે કલાકમાં 4.25 ઈંચ વરસાદ પડ્યો
ADVERTISEMENT
સુરત જિલ્લાના અંબિકા તાલુકામાં માત્ર બે કલાકમાં 4.25 ઈંચ વરસાદ પડતાં સ્થાનિક નદીઓ અને નાળાઓમાં પાણીની આવક વધી હતી. બીજી તરફ, તાપી જિલ્લાના દોલવણ તાલુકામાં પણ બે કલાકમાં 3 ઈંચથી વધુ વરસાદ નોંધાતા અનેક વિસ્તારોમાં પાણી ભરાવાની ફરિયાદો મળી હતી.
અમદાવાદમાં રેડ એલર્ટ વચ્ચે શહેરમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી થઈ છે. ભારે પવન સાથે શરૂ થયેલા વરસાદે અનેક વિસ્તારોને ભીંજવી દીધા છે. શાહીબાગ, નરોડા, હંસપુરા, કુબેરનગર, ઠક્કરનગર, આશ્રમ રોડ, પાલડી, નહેરુનગર, વાસણા, વાડજ અને નારણપુરા સહિત શહેરના પૂર્વ અને પશ્ચિમ વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે. ધોધમાર વરસાદને કારણે બપોરના સમયે જ અંધારપટ છવાઈ ગયો છે અને શહેરનું વાતાવરણ એકાએક બદલાઈ ગયું છે.
ADVERTISEMENT
શહેરમાં આગામી ૨૪ કલાક દરમિયાન ભારેથી અતિભારે વરસાદની શક્યતાને પગલે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સતર્કતા વધારવામાં આવી છે. આ તરફ અમદાવાદમાં બપોર બાદ વરસાદ શરૂ થઈ ગયો છે.એનએસએમ-અર્બન પ્રોગ્રામ હેઠળ NCEP GFS ડેટાના આધારે તૈયાર કરાયેલા WRF (૧.૫ કિમી) મોડલના પૂર્વાનુમાન મુજબ ૩૧ જુલાઈ સવારે ૮.૩૦ વાગ્યાથી ૧ ઓગસ્ટ સવારે ૮.૩૦ વાગ્યા સુધી પૂર્વ, ઉત્તર-પૂર્વ અને દક્ષિણ-પૂર્વ ઝોનના અનેક વિસ્તારમાં લગભગ ૪થી ૪.૭૫ ઇંચ (૧૦૦થી ૧૨૦ મિમી) સુધી વરસાદ નોંધાઈ શકે છે.
ADVERTISEMENT
મોડલ અનુસાર રામોલ-હાથીજણ, વસ્ત્રાલ, ઓઢવ, નિકોલ, વિરાટનગર, ઠક્કરબાપાનગર, કઠવાડા, ગોમતીપુર, ઇન્દ્રપુરી, ઇન્ડિયા કોલોની, બાપુનગર તેમજ વટવા, ઇસનપુર, ખોખરા, ભાઇપુરા-હાટકેશ્વર અને મણિનગર સહિતના વિસ્તારો સૌથી વધુ પ્રભાવિત થઈ શકે છે. જ્યારે નરોડા, સરદારનગર, કુબેરનગર, સૈજપુર-બોઘા, અસારવા, સરસપુર-રખિયાલ, શાહીબાગ, દરિયાપુર, શાહપુર, ખાડિયા, જમાલપુર, બહેરામપુરા અને દાણીલીમડામાં લગભગ ૨.૭૫થી ૪ ઇંચ (૭૦થી ૧૦૦ મિમી) સુધી ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરાઈ છે.
પશ્ચિમ અને ઉત્તર-પશ્ચિમના નારણપુરા, પાલડી, વાસણા, વેજલપુર, ઘટલોડિયા અને ચાંદલોડિયા વિસ્તારમાં મધ્યમ વરસાદની શક્યતા છે, જ્યારે ગોતા, મક્તમપુરા, ઘુમા અને બોપલ વિસ્તારમાં વરસાદનું પ્રમાણ સૌથી ઓછું રહેવાનો અંદાજ છે. એએમસીએ પૂર્વ અને દક્ષિણ-પૂર્વના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સંભાવનાને ધ્યાનમાં રાખી ડ્રેનેજ વિભાગ, પમ્પિંગ સ્ટેશન અને કન્ટ્રોલ રૂમને એલર્ટ રાખ્યા છે. મોડલ મુજબ ૧ ઓગસ્ટ બાદ વરસાદની તીવ્રતા ઘટી સમગ્ર શહેરમાં માત્ર હળવાથી મધ્યમ વરસાદ રહેવાની શક્યતા છે.
ફરી મેઘતાંડવની આશંકા વચ્ચે શેલા, ઘુમા અને બોપલની સોસાયટીઓ સતર્ક
ગયા સપ્તાહે તૂટી પડેલા ભારે વરસાદથી શહેરની અનેક સોસાયટીનાં બેઝમેન્ટમાં પાણી ભરાઈ જતાં વાહનોને નુકસાન પહોંચ્યું હતું અને રહેવાસીઓએ ભારે હાલાકીનો સામનો કર્યો હતો. હવે ફરી ભારે વરસાદની આગાહીને પગલે ખાસ કરીને શેલા, ઘુમા અને બોપલ વિસ્તારની અનેક સોસાયટીઓએ અગાઉથી જ સુરક્ષાત્મક પગલાં શરૂ કરી દીધાં છે.

શેલાની સૌથી વધુ અસરગ્રસ્ત સોસાયટીઓમાંની એક આકાશ રેસિડેન્સીના ચેરમેન આશિષ પટેલે જણાવ્યું છે કે, ગયા વરસાદમાં બેઝમેન્ટમાં પાણી ઘૂસતાં મોટું નુકસાન થયું હતું. આ વખતે સોસાયટીના ઇલેક્ટ્રિકલ કંટ્રોલ પેનલને ઉપરના માળે ખસેડી દેવામાં આવી છે. ઉપરાંત પ્રવેશદ્વાર પાસે રેતીની થેલીઓ ગોઠવવામાં આવી છે અને પાણી બહાર કાઢવા માટે ડી-વોટરિંગ પંપ તૈયાર રાખવામાં આવ્યા છે.
મહેર હોમ્સ-૨ કો-ઓપરેટિવ હાઉસિંગ સોસાયટીના સેક્રેટરી રજ્જન શર્માએ જણાવ્યું કે સોસાયટીમાં પણ ડી-વોટરિંગ પંપની વ્યવસ્થા કરવામાં આવી છે અને ફરી પાણી ભરાય તો તેનો તાત્કાલિક સામનો કરી શકાય તે માટે ઔડા સાથે સતત સંકલન કરવામાં આવી રહ્યું છે. કેટલાક રહેવાસીઓએ પોતપોતાના પંપ પણ ખરીદ્યા છે, જ્યારે ઔડાએ જરૂર પડે ત્યારે મદદની ખાતરી આપી છે. તેમણે ઉમેર્યું કે શેલા ગામ નજીક બનાવાયેલી ડાયવર્ઝન ચેનલથી ડ્રેનેજની સ્થિતિમાં સુધારો થયો છે. સાવચેતીના ભાગરૂપે રહેવાસીઓને બેઝમેન્ટમાંથી વાહનો બહાર પાર્ક કરવા પણ સૂચના આપવામાં આવી છે.

ઘુમાના પૂજન બંગલોઝ સોસાયટીમાં પણ ગયા સપ્તાહે થયેલા પાણી ભરાવા બાદ લાંબા ગાળાના ઉકેલ અંગે ચર્ચા શરૂ થઈ છે. ત્યાંના રહેવાસી દિલીપ દવેએ જણાવ્યું કે સોસાયટીમાં રિચાર્જ વેલ બનાવવા અને વરસાદી પાણી ઝડપથી બહાર કાઢી શકાય તે માટે સ્ટોર્મ વોટર પંપ ખરીદવાની યોજના પર વિચાર ચાલી રહ્યો છે. જોકે, આવા પ્રોજેક્ટ માટે રહેવાસીઓની સર્વસંમતિ જરૂરી હોવાનું તેમણે જણાવ્યું. સાથે જ ઘણા રહેવાસીઓએ ઘરમાં પાણી ન ઘૂસે તે માટે દરવાજા અને બારીઓની તિરાડ પાણી રોકનારી સીલિંગ સામગ્રીથી બંધ કરી દીધી છે. ઉપરાંત ઈંટોથી કામચલાઉ અવરોધ ઊભા કરવા જેવાં પગલાં પણ શરૂ કર્યા છે.
આ પણ વાંચોઃ સાણંદ મંદિર ચોરી કેસમાં મોટો ખુલાસો! પોલીસ કસ્ટડીમાંથી જ વાહન ચોરી જવાનો હતો પ્લાન
રહેવાસીઓનું માનવું છે કે વારંવાર સર્જાતી જળબંબાકારની સ્થિતિએ શહેરમાં કાયમી ડ્રેનેજ સુધારણાની જરૂરિયાત સ્પષ્ટ કરી છે. ખાસ કરીને બોપલ તળાવ છલકાવું અને વધારાના વરસાદી પાણીના નિકાલ માટે અસરકારક વ્યવસ્થાના અભાવને કારણે સમસ્યા વધુ ગંભીર બને છે. તેમનું કહેવું છે કે જ્યાં સુધી લાંબા ગાળાના નાગરિક સુવિધાના કામો નહીં થાય, ત્યાં સુધી દરેક ભારે વરસાદ પહેલાં સોસાયટીઓને આવી જ રીતે આગોતરી તૈયારી કરવી પડશે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.