મુખ્યમંત્રી વિજય રૂપાણી સાથે હાઇપાવર કમિટીની બેઠક યોજાઇ હતી. જેમાં ગુજરાત સરકારે મહત્વનો નિર્ણય લીધો છે. આ બેઠક બાદ DyCM નીતિન પટેલે પત્રકાર પરિષદ યોજી હતી. જેમાં તેમણે જણાવ્યું છે કે, અમદાવાદ સહિત સુરત, વડોદરા અને રાજકોટ શહેરમાં પણ આવતીકાલથી રાત્રિ કરફ્યુ રહેશે. મહત્વનું છે કે, કોરોનાનું વધતું સંક્રમણ અટકાવવા માટે નિર્ણય લેવામાં આવ્યો છે.
ગુજરાત સરકારનો મહત્વનો નિર્ણય
ગુજરાતના ચારેય મોટા શહેરોમાં રાત્રિ કરફ્યુ
સુરત, રાજકોટ અને વડોદરામાં કાલથી રાત્રિ કરફ્યું
કોરોનાના વધતા કેસના પગલે અમદાવાદ શહેરમાં 2 દિવસનો કરફ્યુ અને ત્યારબાદ આગામી સુચના સુધી રાત્રિ કરફ્યુની જાહેરાત કરાઇ હતી. ત્યારે હવે સુરત, વડોદરા અને રાજકોટમાં કેસનો વધારો ન હોવા છતા આગોતરા પગલારૂપે કરફ્યુ જાહેર કરવામાં આવ્યું છે. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું હતું કે, આવતીકાલથી સુરત, રાજકોટ અને વડોદરામાં રાત્રિ કરફ્યું રહેશે. ચારેય મોટા શહેરમાં રાત્રે 9થી સવારે 6 વાગ્યા સુધી રાત્રિ કરફ્યુ લાગુ રહેશે. અનિશ્ચિતકાળ સુધી રાત્રિ કરફ્યુ લાગૂ રહશે. નાગરિકોએ સહેજ પણ ભયભીત થવાની જરૂર નથી. કર્ફ્યૂ જાહેર કરાયો છે તેની ચર્ચા કરવામાં આવી છે. આ માટે ગૃહ વિભાગના નોટિફિકેશન તૈયાર કરવાની ચર્ચા કરવામાં આવી છે. લગ્નના આયોજનને લઇને સરકારે અપીલ કરી છે. નીતિન પટેલે કહ્યું કે, શક્ય હોય તો સવારના લગ્નનું આયોજન કરો.
અમદાવાદની હોસ્પિટલમાં જગ્યા નથી તે વાત ખોટીઃ DyCM નીતિન પટેલ
નીતિન પટેલે ખાલી બેડને લઇને આંકડાકિય માહિતી આપી હતી. જેમાં તેમણે જણાવ્યું કે, મોટા પ્રમાણમાં કોરોનાનું ટેસ્ટિંગ સરકારે શરૂ કર્યું છે. તો નાગરિકોએ પણ જાતે ટેસ્ટિંગ કરાવ્યું છે. તો અલગ અલગ હોસ્પિટલોમાં દર્દીઓના દાખલ કરવાની સંપૂર્ણ વ્યવસ્થા કરવામાં આવી રહી છે. કેટલાક લોકોએ સોશિયલ મીડિયામાં એવું વાતાવરણ ઉભુ કર્યું છે કે પથારીઓ ભરાઇ ગઇ છે, દર્દીઓના રાખવાની જગ્યા નથી. પરંતુ અમદાવાદની હોસ્પિટલમાં જગ્યા નથી તે વાત ખોટી છે. નાગરિકોએ સહેજ પણ ભયભીત થવાની કે અફવામાં આવવાની જરૂર નથી.
1200 બેડની હોસ્પિટલમાં 971 દર્દીઓ સારવાર હેઠળ છે. 1200 બેડની હોસ્પિટલમાં હજુ 60 ICU બેડ ખાલી છે. 1200 બેડની હોસ્પિટલમાં નવા 120 બેડ ઉમેરાશે. સોલામાં હાલ 400 આઇસોલેશન વોર્ડ અને ICUના 50 બેડ છે. સોલા સિવિલમાં કોરોનાના સામાન્ય 270 દર્દી સારવાર હેઠળ છે. ગાંધિનગર સિવિલમાં પણ 230 નોન ક્રિટિકલ દર્દી સારવાર હેઠળ છે.
સુરત, વડોદરા અને રાજકોટમાં કોરોનાની સ્થિતિ અંગે ચર્ચા કરાઇ હતી
નાયબ મુખ્યમંત્રીએ જણાવ્યું કે, અમદાવાદની પદ્ધતિ પ્રમાણે જ સુરત, વડોદરા અને રાજકોટમાં પણ આગોતરા પગલારૂપે મોટી સંખ્યામાં આ ત્રણેય શહેરોમાં કોરોનાના કેસમાં વધારો ન હોવા છતા કોરોનાની સ્થિતિ અંગે બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી. ગઇકાલે રાજ્યમાં કોરોનાના કેસ 1340 હતા, જે આ જે 1420 થયા છે. સરકાર દ્વારા મોટા પ્રમાણમાં કોરોના ટેસ્ટિંગ ચાલુ કરવામાં આવ્યું છે અને આપણે મહદઅંશે કોરોના સંક્રમણને અટકાવવામાં સફળ રહ્યા છીએ.
અમદાવાદ પોલીસ કમિશનરનું જાહેરનામુ
જાહેરનામામાં જણાવાયું છે કે, લગ્નપ્રસંગના આયોજનને રાહત આપી છે. લગ્નપ્રસંગોને મંજૂરી મળશે. સ્થાનિક પોલીસ સ્ટેશનની મંજૂરી અનુસાર લોકો એકઠા થઈ શકશે. તો અંતિમવિધીમાં માત્ર 20 લોકોને મંજૂરી મળશે. રેલવે અને હવાઇ મુસાફરી કરનાર લોકોને છૂટ મળશે. તમામ તબીબી સેવાઓ કર્મચારીઓને છૂટ મળશે. અતિઆવશ્યક ચીજ વસ્તુઓની દુકાનો ચાલુ રહેશે. ATM અને બેંકિગ સેવા ચાલુ રહેશે. તો દૂધ અને દવાની દુકાનો ચાલુ રહેશે. દવાઓની હોમ ડિલીવરી કરતા કર્મચારીઓને છૂટ મળશે. ઇલેક્ટ્રોનિક અને પ્રિન્ટ મીડિયાના કર્મચારીઓને છૂટ મળશે. ખાનગી સિક્યુરિટી સેવાઓ ચાલું રહેશે.
મુખ્યમંત્રી રૂપાણીની અધ્યક્ષતામાં બેઠક યોજાઇ હતી
મહત્વનું છે કે, આજે મુખ્યમંત્રી નિવાસસ્થાને મુખ્યમંત્રી રૂપાણીની અધ્યક્ષતામાં બેઠક યોજાઇ હતી. જેમાં મનપા વિસ્તારમાં કોરોના કંટ્રોલ એક્શન મુદ્દે ચર્ચા થઇ હતી. તો કરફ્યુ, વાહનવ્યવહાર, લગ્ન સમારોહ અને જીવનજરૂરિયાત ચીજ વસ્તુ મુદ્દે ચર્ચા થઇ હતી. બેઠકમાં રાજીવ ગુપ્તા, જયંતિ રવિ સહિતના અધિકારીઓ હાજર રહ્યા હતા. આ બેઠક બાદ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. જેમાં તેમણે કેટલાક નિર્ણયો જાહેર કર્યા છે.
ગુજરાતમાં કયાંય પણ લોકડાઉનની શકયતા નથીઃ CM રૂપાણી
જોકે આ અગાઉ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આજે અંબાજી યાત્રાધામ ખાતે જગતજનની અંબેમાનાં દર્શન કર્યા બાદ જણાવ્યું હતું કે લોકોએ ભયભીત થવાની જરૂર નથી. ગુજરાતમાં કયાંય પણ લોકડાઉનની શકયતા નથી. અમદાવાદમાં આ ફકત વીક એન્ડ કરફયુ છે.