એક તરફ રાજ્યમાં ફરી એકવાર ગાત્રો થીજાવતી ઠંડીની આગાહી કરવામા આવી છે. ગુજરાતભરમાં ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે. તો બીજી તરફ ઉત્તરાયણમાં પતંગરસિકો માટે સારા સમાચાર આવ્યા છે. અમદાવાદમાં વહેલી સવારથી ધુમ્મસભર્યુ વાતાવરણ જોવા મળી રહ્યું છે. ધુમ્મસના કારણે વિઝીબીલીટી ઘટી છે.
ગુજરાત ફરી ઠુંઠવાશે
હવામાન વિભાગની આગાહી
પતંગરસિકો માટે સારા સમાચાર
ઉત્તરાયણમાં પતંગરસિકો માટે સારા સમાચાર છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે, ઉત્તરાયણ અને વાસી ઉત્તરાયણમાં પવનની ઝડપ 10થી 15 કિલોમીટરની રહેશે. સમગ્ર ગુજરાતમાં પવનની દિશા ઉત્તર પૂર્વ તરફથી પવન વહેતો રહેશે. મહત્વનુ છે કે, ઉત્તરાયણમાં પણ આ વર્ષે સારો પવન હોવાથી પતંગરસિકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.
અમદાવાદના પતંગ રસિયાઓ માટે માઠા સમાચાર એ છે કે, અમદાવાદમાં પવનની ગતિ અન્ય શહેરોની સરખામણીએ ઓછી રહે તેવી આગાહી છે. અમદાવાદમાં પ્રતિ કલાકે 8થી 10 કિલોમીટરની ઝડપે પવન ફુંકાતો રહેશે. જોકે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં પવનની ગતિ વધુ ઝડપી રહેશે.
રાજ્યમાં ફરી કડકતી ઠંડી માટે રહો તૈયાર રહેવું પડશે
રાજ્યમાં કેટલીક જગ્યાઓએ કમોસમી વરસાદ વરસ્યા બાદ હવે હવામાન વિભાગે ઠંડીને લઇને મોટી આગાહી કરી છે. રાજ્યમાં 2થી 3 ડિગ્રી સુધી તાપમાનમાં ઘટાડો થઇ શકે છે. આગામી ત્રણ દિવસ સુધી રાજ્યભરમાં કડકડતી ઠંડીનો અનુભવ થશે. તો કચ્છ જિલ્લાના કેટલાક વિસ્તારોમાં કોલ્ડવેવની પણ આગાહી કરવામા આવી છે. અમદાવાદમાં 15 ડિગ્રી આસપાસ તાપમાનનો પારો રહેવાની શક્યતા છે.
ઉતરાયણ માટેની સરકારની ગાઈડલાઈન
ઉત્તરાયણ પર રોક લગાવવા માટે હાઇકોર્ટમાં અરજી કરવામાં આવી હતી. જોકે તેની પર રોક લગાવવાની અરજીના વિરોધમાં વેપારીઓએ પણ અરજી કરી હતી. ત્યારબાદ ઉત્તરાયણની ઉજવણીને લઇને હાઇકોર્ટમાં અરજી પર સુનાવણી કરવામાં આવી હતી. ઉત્તરાયણ મુદ્દે રાજ્ય સરકારે ગઇકાલે હાઈકોર્ટમાં જવાબ આપતા કહ્યું હતું કે પતંગ પર ધાર્મિક લાગણી દુભાય તેવા લખાણ નહીં લખી શકાય. તેમજ લાઉડ સ્પીકર વગાડવા પર પ્રતિબંધ રહેશે. હાઈકોર્ટે સરકારની ગાઈડલાઈનને મંજૂર રાખી હતી.
જાહેર સ્થળો, ખુલ્લા મેદાનો અને રસ્તાઓ પર એકઠા થઈ શકાશે નહીં કે પતંગ ચગાવી શકાશે નહીં.
સરકારની સલાહઃ પરિવારજનો સાથે કોરોનાના નિયમોનું પાલન કરીને તહેવારની ઉજવણી કરવામાં આવે.
સરકારની સલાહઃ 65 વર્ષ કરતા વધુ ઉંમરની સાથે કોમોરિબિડિટીઝ ધરાવતા તેમજ બાળકોને ઘરે રહે.
માસ્ક વગર બિલ્ડિંગ કે ફ્લેટના ધાબા પર એકઠા થવાની મંજૂરી આપવામાં આવશે નહીં.
સોશિયલ ડિસ્ટન્સિંગ અને સેનિટાઈઝર પણ ફરજિયાત રહેશે.
બિલ્ડિંગના રહેવાસીઓ સિવાય અન્ય કોઈ પણ વ્યક્તિઓને ફ્લેટના ધાબા અને રહેણાક સોસાયટીઓના ખુલ્લા મેદાનમાં એકઠા નહીં થવા દેવાય.
ધાબાની સાઈઝ અલગ-અલગ હોવાના કારણે ધાબા પર કેટલા વ્યક્તિ રહી શકે તેની ચોક્કસ સંખ્યા નક્કી થઈ શકે તેમ નથી.
લાઉડ સ્પીકર્સ અને મ્યૂઝિક વગાડી શકાશે નહીં.
1.25 લાખ પરિવારો પતંગ બનાવવાના વ્યવસાયમાં છે તેથી પતંગ ઉડાડવા પર પ્રતિબંધ મૂકીને આવા પરિવારોને અસર પહોંચાડી શકાય નહીં.
ચાઈનિઝ તુક્કલ અને દોરી પર પ્રતિંબધ છે, સાથે જે દોરીમાં કાચનો ઉપયોગ કરવો નહીં, આ ગાઈડલાઈનનું કડકાઈથી પાલન કરવું.
પતંગની ખરીદી કરવા જાઓ ત્યારે કોરોનાની ગાઈડલાઈનનું પાલન કરવું તેમજ પોલીસને સહયોગ આપવો.
તો અગાઉની ગાઈડલાઈન મુજબના કોરોનાના તમામ નિયમો પાલન કરવાનું રહેશે.
અમદાવાદ, રાજકોટ, સુરત અને વડોદરા શહેરોમાં જે રાત્રિ કર્ફ્યુ લાગુ કરાયો છે તેનો અમલ કરવાનો રહેશે.
ચોક્કસ અમલીકરણ માટે પોલીસ ગોઠવાશે, સીસીટીવીથી નજર રખાશે તેમજ ડ્રોનનો પણ ઉપયોગ કરાશે.