બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / Politics / અમદાવાદના સમાચાર / દિલ્હી વિજયમાં ગુજરાતી નેતાઓની પણ રહી મહત્વની ભૂમિકા, વાંચો ગાંધીનગરમાં ચર્ચાતી વાતો
Last Updated: 07:29 PM, 10 February 2025
દિલ્હીના વિજયમાં પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી સહિતના નેતાઓનો પણ નોંધપાત્ર ફાળો
ADVERTISEMENT
27 વર્ષના લાંબા સમય પછી ભાજપે દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં ભવ્ય વિજય મેળવ્યો છે. જેમાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી સહિતના ગુજરાતના કેટલાક નેતાઓનો પણ નોંધપાત્ર ફાળો રહ્યો છે. તેઓએ દિલ્હીના આંટાફેરા કર્યા હતા. દિલ્હીમાં જઈને નાના મોટા નેતાઓ તેમજ કાર્યકરો સાથે બેઠકો કરી હતી. તેમને માર્ગદર્શન આપ્યુ હતું. એટલુ જ નહી, ત્યાં જાહેર સભાઓ કરી હતી. સ્થાનિક લોકો સાથે પણ ખાટલા બેઠકો કરી હતી. વડાપ્રધાન મોદી વડાપ્રધાન પહેલા ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે તેઓએ કેટલી સારી કામગીરી કરી હતી તેની જાણકારી પણ આપી હતી. ભાજપના શાસનમાં સામાન્ય નાગરિકોની સમસ્યાઓ દૂર થતી હોય છે તેવુ પણ સમજાવ્યું હતુ. રૂપાણીની સાથે ધારાસભ્ય અમિત ઠાકર, ગુજરાતના પ્રદેશ પ્રમુખ તરીકે જેમનું નામ ચર્ચામાં છે તેવા મયંક નાયક પણ સાથે જોડાયા હતા. ઉપરાંત વિવેક દવે, પરાક્રમસિંહ જાડેજા જેવા નેતાઓએ પણ દિલ્હીમાં જઈને ગુજરાત મોડેલની વાતો કરી હતી. આમ દિલ્હીના વિજયમાં ગુજરાતના નેતાઓનું પ્રદાન પણ નોંધપાત્ર રહ્યું છે. જેને લઈને ભાજપના જ અનેક નેતાઓએ તેઓને અભિનંદનની વર્ષા વરસાવી છે. હવે એવી ચર્ચા શરૂ થઈ છે કે, આગામી દિવસોમાં આ નેતાઓ પૈકીમાંથી કેટલાકને વધુ મહત્વની જવાબદારી અને પદ સોંપાઈ શકાય છે.
IAS ડી. જે. જાડેજાને પ્રમોશન પછી પણ તે જ સ્થાને રાખીને સરકારે પ્રામાણિક અધિકારીની કિંમત કરી
ADVERTISEMENT
છેલ્લા ત્રણેક વર્ષથી શહેરી વિભાગના તાબા હેઠળ આવતા ટાઉન પ્લાનિંગ વિભાગના વડા તરીકે ડી. જે. જાડેજા ફરજ બજાવી રહ્યા છે. ચીફ ટાઉન પ્લાનિંગ ડિપાર્ટમેન્ટ ખૂબ જ મહત્વનું ગણાય છે. અહીંથી જ ગુજરાતની ટીપી સ્કીમો ફાઈનલ થતી હોય છે. ભૂતકાળમાં ટીપી સ્કીમોમાં અનેક પ્રકારના ગોટાળા થયા હતા. આ જગ્યા પર મોટાભાગે ટેકનિકલ અધિકારીઓની જ નિમણૂકો કરાતી હતી. પણ ભ્રષ્ટાચાર ભયંકર સ્તરે પહોંચી ગયા બાદ સરકારે પ્રથમ વાર જ આઈએએસ અધિકારી બીજલ શાહને મુક્યા હતા. જો કે, તેમના સમયમાં પણ સરકારમાં અનેક પ્રકારની ફરિયાદો આવી હતી. આખરે સરકારે જીલ્લા કલેક્ટર તરીકે અનુભવ ધરાવતા 2009ની બેચના આઈએએસ ધર્મેન્દ્રસિંહ જાડેજાને ચીફ ટાઉન પ્લાનર તરીકેનો ચાર્જ સોંપ્યો હતો. તેઓ ટેકનિકલ નહી હોવાથી ટીપી સ્કીમોની આંટીઘૂંટીને સમજવામાં સમય લેવો પડ્યો. પરંતુ તેઓએ ખુબ જ ઓછા સમયમાં તમામ ટેકનિકલ બાબતોને સમજી લીધી છે. તેમજ પોતાના તાબાના અધિકારીઓને પણ સાનમાં સમજાવી દીધુ છે કે, તેઓ જ્યાં સુધી સીટીપી તરીકે છે ત્યાં સુધી કોઈ જ કામમા જરાય ગરબડ કે ખોટું ચલાવી લેશે નહી. જેને લઈને ખાસ કરીને છેલ્લા બે વર્ષથી આ વિભાગની તમામ કામગીરી એકદમ સરળ અને ઝડપી રીતે ચાલી રહી છે. અગાઉની જેમ ફરિયાદો પણ નથી. જેને લઈને સચિવાલયમાં ફરજ બજાવતા ટોચના અધિકારીઓ અને મંત્રીઓને પણ રાહત થઈ ગઈ છે. તાજેતરમાં આઈએએસ અધિકારીઓની બદલી બઢતીમાં જાડેજાનો પણ સમાવેશ થાય છે. તેમને પ્રમોશન મળ્યા છત્તા તેઓની બદલી નથી કરાઈ પરંતુ તે જ જગ્યા પર રાખવામાં આવ્યા છે. બ્યુરોક્રેટ્સમાં આ બાબતની પોઝિટિવ નોંધ લેવાઈ છે કે ઈમાનદાર અધિકારીઓને આ સરકાર ક્યારેય અન્યાય થવા દેતી નથી.
વધુ વાંચોઃબજેટ પહેલા ગુજરાત ભાજપને મળી શકે છે નવા પ્રમુખ, બજેટ બાદ મંત્રી મંડળના વિસ્તરણની પણ શક્યતા
ADVERTISEMENT
અમદાવાદના નવા મ્યુનિ. કમિશરને મોડા ઉઠવાની ટેવ છે કે કેમ, કર્મચારીઓને ભારે ચિંતા.....
અમદાવાદના નવા મ્યુનિ. કમિશનર તરીકે બંછાનિધિ પાની આજે સોમવારે ચાર્જ સંભાળી લેવાના છે. 2005 બેચના પાનીને વહેલા ઉઠવાની ટેવ છે કે મોડા ઉઠવાની ટેવ તેના સંદર્ભમાં કોર્પોરેશનના કર્મચારીઓ-અધિકારીઓએ પોતાની રીતે તપાસ હાથ ધરી છે. આવુ કેમ કરવુ પડ્યુ તેના સંદર્ભમાં રસપ્રદ વાત જાણવા મળી છે. વિદાય લેતા કમિશનર થેન્નારસને તમામ વિભાગના અધિકારીઓને દોડાવાનું કામ કર્યું હતું. થેન્નારસનને વહેલા ઉઠવાની ટેવ હોવાથી તેઓ સવારે સાત વાગ્યે જ અલગ અલગ વિસ્તારોમાં જઈને નિયમિત સરપ્રાઈઝ વિઝિટ કરતા હતા.આથી અન્ય અધિકારીઓ અને એન્જિનિયરોએ પણ તેમના રાઉન્ડ સમયે ફરજીયાત રીતે હાજર રહેવુ પડતુ હતુ. જે મોટાભાગના અધિકારીઓને ગમતુ નહોતુ. પણ કમિશનર સામે બોલવાની કોઈની હીંમત નહોતી. કમિશનર ગમે ત્યારે ગમે તે વોર્ડમાં આવશે અને તપાસ કરશે એવો ડર હંમેશા બધાને રહેતો હતો. કમિશનરની વિઝિટ વખતે જો કંઈક લોચો થઈ જાય તો કારર્કીદી સામે પ્રશ્નાર્થ ઉભો થાય. જેથી તેઓ હંમેશા ઉચાટમાં રહેતા હતા. હવે તેઓ બદલાઈ ગયા હોવાથી કર્મચારીઓને શાંતિ થઈ ગઈ છે. જો કે સાથોસાથ નવા કમિશનરની સવારે વહેલા કે મોડા ઉઠવાની ટેવના સંદર્ભમાં ચિંતા થઈ રહી છે. જ્યારે બંછાનીધી પાની સુરત અને વડોદરામાં કમિશનર રહી ચૂક્યા હોઈ, અધિકારીઓ પોતાના લાગતા-વળગતાને પુછી રહ્યા છે કે, નવા કમિશનર સાહેબને વહેલા ઉઠવાની ટેવ તો નથીને ? જો કે, હજુ સુધી નવા કમિશનરની ઉઠવાની ટેવના સંદર્ભમાં કોઈને ચોક્કસ માહિતી કે ખાતરી નથી. બીજી બાજુ એવી ચર્ચા પણ ચાલી રહી છે કે, પાની જ્યારે સુરતના કમિશનર હતા ત્યારે ત્યો માસ્ટર પ્લાન કરાયો ત્યારે ગણગણાટ થયો હતો. હવે અમદાવાદનો માસ્ટર પ્લાન પણ તૈયાર કરવાનો હોઈ, પાનીને અહીં મુકીને સરકારે કોઈ ભુલ તો નથી કરીને તેવી ચર્ચા પણ થઈ રહી છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.