બ્રેકિંગ ન્યુઝ
VTV / ધર્મ / ગુજરાત / દિયોદરમાં બાણેશ્વરી માતાનું ચમત્કારિક મંદિર, રબારી સમાજના લોકો માટે છે આસ્થાનું કેન્દ્ર
Last Updated: 06:30 AM, 17 April 2025
બનાસકાંઠા જિલ્લામાં અનેક પૌરાણિક મંદિરો આવેલા છે. જિલ્લાના દિયોદર ખાતે બાણ માતાનું મંદિર આવેલુ છે. દર પૂનમના દિવસે બાણેશ્વરી માતાના ધામમાં સમગ્ર ભારતભરમાં વસતા રબારી સમાજના લોકો મોટી સંખ્યામાં માતાજીના મંદિરે દર્શન કરવા ઉમટી પડે છે. બનાસની ધરતી અને હિંદવાણી પરગણાની ધરમ ધરતી દિયોદર નગરની મધ્યમાં સરોવર કિનારે ગંગા જાળીયા કુવાના કાંઠે ઇસવીસન 1508ની આસપાસ માઁ દેવલના પરચાથી કૂવો પાણીથી ઉભરાયો અને પાણીનું બેડું ભરાવ્યાના માઁ બાણેશ્વરીના પરચા પૂર્યાની લોકવાયકા છે. રાઠોડ કુળ નોગોહ શાખના રબારીની વિધાતા નાગણેશ્વરી, બાણેશ્વરી, દિયોદરની પાવન ભૂમિમાં ધર્મની ધજા ફરકી રહી છે.
ADVERTISEMENT
બનાસકાંઠાના દિયોદરમાં બિરાજમાન મા બાણેશ્વરી
ADVERTISEMENT
દિયોદર ખાતે આવેલા બાણેશ્વરી માતાના મંદિરનો ઇતિહાસ જેમણે લખ્યો છે તે પવિત્ર સંત પુરુષ જગજીવનદાસ બાપુનો જન્મ પશુપાલનના વ્યવસાય સાથે સંકળાયેલા નોગોહ પરિવારમાં માતા જહુબેન અને પિતા જેઠાભાઇના ઘરે રાજસ્થાનના જાલોર જિલ્લાના સાંચોર તાલુકાના જોડાદર ગામે થયો હતો. જગજીવનદાસ બાપુ પોતાની લાડકવાઈ બહેનનૉ કરિયાવર કરી દિયોદર મુકામે માતાજી ના દર્શન કરવા માટે ગયા હતા. જ્યાં દિયોદર ખાતે આવેલા સરોવર કિનારે બાણેશ્વરી કુળદેવી અને માઁ દેવલના ચંદરવા અને ધજાના ગંગાજલીયે કૂવે દર્શન કર્યા હતા. જ્યાં માતાજીની પૂજા કરતા વિચારોમાં જગજીવનદાસ બાપુ પરિવર્તન પામ્યા. સમયની ઘટમાળમાં બાણેશ્વરીની ભક્તિ કરતા પૂજ્ય બાપુ એ સાક્ષાત માતાજીએ દર્શન આપ્યાનો પરચો અનુભયો અને જીવન ને ભક્તિમય બનાવી માળા ફેરવતા રહ્યા. જગજીવનદાસ બાપુ વિક્રમ સવંત 2048માં પોતાની જન્મ ભૂમિ છોડીને દિયોદરને કર્મ ભૂમિ બનાવી ગંગા જળીયા કુવાના કિનારે ઝૂંપડી બનાવી માતાજીની ભક્તિ અને આરાધના થકી અંધકારમાંથી પ્રકાશ તરફ લોકોને લઈ જવાની અખંડ જ્યોતિ અવિરત ચાલુ રાખી. રબારી સમાજના લોકોનું બાણેશ્વરી માતાનું મંદિર આસ્થાનું કેન્દ્ર બન્યુ છે.
2001માં બન્યું શિખરબંધ મંદિર
દર પૂનમના દિવસે બાણેશ્વરી માતાના ધામમાં સમગ્ર ભારતભરમાં વસતા રબારી સમાજના લોકો મોટી સંખ્યામાં મંદિરે દર્શન કરવા ઉમટી પડે છે. ભાવિકોને બાણેશ્વરી માતા પ્રત્યે અતૂટ શ્રદ્ધા છે. દિયોદર ખાતે વર્ષ 2001માં શિખરબંધ મંદિરનું કામ નોગોહ પરિવાર અને અન્ય સેવકોના પરિવાર ના દાનવીરોની આર્થિક સહયોગથી પરિપૂર્ણ કરવામાં આવ્યું હતુ. સેવકોના સાથ સહકારથી નવનિર્મિત મંદિરમાં માઁ બાણેશ્વરી, ગોગા મહારાજ, દેવલ માતાજીની મૂર્તિઓની શાસ્ત્રોક્ત વિધિસર પધરામણી કરવામાં આવી છે. મહંત જગજીવનદાસ બાપુ, ગુરુ કલ્યાણદાસ બાપુએ દિયોદર નગરની મધ્યમાં સરોવર કિનારે ગંગાજળીયા કૂવાના કાંઠે મા દેવલ બાણેશ્વરીના નામે અખંડ જ્યોત અને અન્નક્ષેત્ર જ્યોત જગાડી ફક્ત નોગોહ જ નહિ, સર્વ સમાજ સેવકો માટે આસ્થા અને શ્રદ્ધાનું કેન્દ્ર બનાવ્યું છે.
આ પણ વાંચો: પ્રભુ શ્રીરામે વનવાસ દરમિયાન અહીં કર્યો વસવાટ, ગુજરાતના રામેશ્વર મંદિરનો છે રોચક ઈતિહાસ
સર્વસમાજની આસ્થાનું કેન્દ્ર માનું મંદિર છે
ભૂખ્યા માટે હરિહરનો ટહુકો, પંખીઓને ચણ માટે ચબુતરો, તરસ્યા માટે પાણીની પરબ, વટેમાર્ગુને વિસામા માટે ધર્મશાળા, સંતો માટે સંત નિવાસ,ગાયમાતા માટે ગૌસેવા, બાળકો માટે બગીચો, વિહોતર માટે વડલો, ચારેબાજુ બાંધકામ, ધર્મની ધજા, અખંડ જ્યોત, 365 દિવસ અન્નક્ષેત્ર, યુવાનો માટે ડાયરો અને નગરયાત્રા, સાધુ સંતો અને સેવકો માટે દરવર્ષે પાટોત્સવની ઉજવણી કરવામાં આવે છે. નાગોહના કુળદેવી બાણેશ્વરી ધામે સામાજિક અને શૈક્ષણિક પ્રવૃતિઓમાં દિયોદરની આજુબાજુમાં જાહેર પરીક્ષા આપવા આવતા દીકરા-દીકરીઓ માટે રહેવા અને જમવાની અવિરત સેવાઓ પૂજ્ય બાપુના આશીર્વાદથી થતી રહી છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.