સુશાંત કેસમાં એક નવો ખુલાસો સામે આવ્યો છે. સુશાંત ના પિતા કે.કે. સિંહે મુંબઈ પોલીસને આપેલા નિવેદન અનુસાર, 14 જૂન પહેલા સુશાંત સિંહની તબિયત સારી ન હતી. તેમણે જણાવ્યું હતું કે 7 જૂને તેમની અને સુશાંતની વાતચીત થઈ હતી.
સુશાંત સિંહ રાજપૂતના પિતા કે કે સિંહે મુંબઈ પોલીસને આપેલું નિવેદન આવ્યું સામે
પોતાના સમગ્ર નિવેદનમાં તેમણે રિયા ચક્રવર્તીના નામનો કોઈ ઉલ્લેખ કર્યો નથી
પોતાના નિવેદનમાં તેમણે સુશાંતે આત્મહત્યા કરી હોવાની શક્યતા પણ દર્શાવી હતી
સુશાંત સિંહ રાજપૂત કેસમાં કે.કે. સિંહનું મુંબઈ પોલીસને આપેલું નિવેદન બહાર આવ્યું છે જે મુજબ 14 જૂન પહેલા સુશાંત સિંહની તબિયત સારી નહોતી. તેમણે કહ્યું કે 7 જૂને તેમની અને સુશાંતની વાત થઈ હતી. કે.કે. સિંહે પોતાના નિવેદનમાં કહેલું કે બની શકે કે સુશાંતે આત્મહત્યા કરી હોય!, જો કે મુંબઈ પોલીસને આપેલ નિવેદનમાં તેમણે રિયા ચક્રવર્તીનો કોઈ ઉલ્લેખ કર્યો નહોતો.
સુશાંત મુંડન સમારોહ માટે પટના આવ્યો હતો : કે કે સિંહ
મુંબઇ પોલીસને અપાયેલા નિવેદનમાં કે.કે.સિંહે જણાવ્યું હતું કે મારો પુત્ર સુશાંત મુંડન સમારોહ માટે 13 મે 2019 ના રોજ પટના આવ્યો હતા. હું તેને મળ્યો. સુશાંતનો મુંડન સમારોહ 15 મે 2019 ના રોજ યોજાયો હતો. ત્યારે તે ડિસ્ટર્બ્ડ નહોતો કે સ્ટ્રેસમાં નહોતો. તે 16 મે 2019 ના રોજ ફરીથી મુંબઈ ગયો. હું તેને વ્હોટ્સએપ પર મેસેજ કરતો હતો. સુશાંત મારા મેસેજનો પણ જવાબ આપતો હતો. હું તેને વધારે બોલાવતો નહીં કેમ કે મોટા ભાગે તે બિઝી રહેતો હતો.
મારી અને સુશાંતની થતી હતી વાતચીત : સુશાંતના પિતા
કે.કે.સિંહે કહ્યું કે સુશાંત મને ફોન કરતો હતો અને અમે ચેટ પણ કરતા હતા. તે મને ફોન કરીને પૂછતો કે મને કોઈ જરૂર છે કે કેમ? તે મને મારા હાલચાલ વિશે પૂછતો હતો અને હું તેનો જવાબ પણ આપતો હતો. જેના પછી સુશાંતે મને 7 જુનના રોજ ફોન કર્યો હતો અને મેં તેને કહ્યું હતું કે તને પટના આવ્યાને એક વર્ષથી વધુ સમય થઈ ગયો છે. જો તું ઈચ્છતો હોય તો પટના આવી જા. હું જોઇશ. જો કે તેણે કહેલું કે હાલ મારી તબિયત સારી નથી, પણ હું સ્વસ્થ થતાં જ આવી જઈશ.''
'કોઈ શંકા કે ફરિયાદ નથી'
કે.કે.સિંહે કહ્યું કે હું પટનામાં મારા ઘરે હતો અને 14 જૂને દિવસે ટીવી પરથી મને ખબર પડી કે સુશાંતે આત્મહત્યા કરી લીધી છે. આ પછી, હું ભાનમાં ન રહ્યો અને મને ચક્કર આવવા લાગ્યા હતા. હું મારા ભત્રીજા નીરજ સિંહ અને કેટલાક સંબંધીઓ સાથે મુંબઇ પહોંચ્યો હતો.
મારી સાથે સુશાંતે કોઈ પ્રકારના તણાવની ચર્ચા કરી નહોતી : કે કે સિંહ
કે.કે.સિંહે પોતાના નિવેદનમાં જણાવ્યું છે કે અમે 15 જૂને સાંજે 5 થી સાંજના 6 વાગ્યા સુધી વિલે પાર્લે (વેસ્ટ) માં અમારા પુત્ર સુશાંતની અંતિમ વિધિ કરી હતી. તે પછી, હું સુશાંતના ફ્લેટમાં આવ્યો જે તેણે બાંદ્રામાં ભાડે રાખ્યો હતો. મેં કોઈને કાંઈ કહ્યું નહીં કે મેં કંઈ પૂછ્યું નહીં. મારા પુત્ર સુશાંતે આત્મહત્યા કેમ કરી તે મને ખબર નથી. તેણે મારી સાથે ક્યારેય કોઈ પ્રકારનાં તણાવની ચર્ચા કરી નહોતી. મને સુશાંત સામે કોઈ શંકા કે ફરિયાદ નથી. મને લાગે છે કે સુશાંતે આત્મહત્યા કરી હશે.
કે કે સિંહે પટનામાં રિયા ચક્રવર્તી પર નોંધાવી હતી ફરિયાદ
નોંધનીય છે કે સુશાંતના પિતા એ જ રિયા ચક્રવર્તી સામે પટનાના રાજીવ નગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જેમાં તેમણે રિયા ચક્રવર્તી પર બહુ ગંભીર પ્રકારના આક્ષેપો કર્યા હતા. તેમણે રિયા એ સુશાંતના ખાતામાંથી મોટી રકમની હેરફેર કરી હોવાના આરોપો પણ લગાવ્યા હતા. જો કે ચોંકાવનારી બાબત એ છે કે આવી કોઈ બાબતનો ઉલ્લેખ મુંબઈ પોલીસને આપેલા નિવેદનમાં દેખાઈ રહ્યો નથી.