આગામી 18 ફેબ્રુઆરીથી ગુજરાતમાં ધોરણ 6 થી 8ની શાળાઓ શરૂ કરવામાં આવશે. કોવિડના કેસમાં ઉત્તરોત્તર થઈ રહેલા ઘટાડાને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકાર દ્વારા આ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે.
રાજ્યમાં શાળા શરૂ કરવાને લઈને રાજ્ય સરકારનો નિર્ણય
ધોરણ 6થી 8ના ક્લાસ શરૂ કરવાનો નિર્ણય
18 ફેબ્રુઆરીથી શરૂ થશે શાળાઓ
કોરોનાકાળમાં શાળાઓને શરૂ કરવા મુદ્દે લાંબા સમયથી મથામણ શરૂ હતી. ત્યારે સરકાર હવે ચોક્કસ નિર્ણય પર આવી ગઈ છે. શાળાઓમાં ધો. 6થી 8ના ક્લાસ શરૂ કરવાની તારીખ આવી ગઈ છે. આગામી 18 ફેબ્રુઆરીથી શાળાઓ શરૂ કરવામાં આવશે. જો કે, સરકારે અગાઉ જ સંકેતો આપી દીધા હતા. તેની સાથે પ્રાથમિક શાળાના શિક્ષકોને પણ સૂચના આપી દેવાઈ છે. તમામ શિક્ષકોને હાજર રહેવા માટે સૂચના આપી દેવાઈ છે.
વાલીઓના સંમતિ પત્રની રહેશે જરૂર
શાળાઓની શરૂઆતની સાથે વાલીઓના સંમતિપત્રની જરૂરિયાત રહેશે. વાલીઓની મંજૂરી બાદ જ વિદ્યાર્થી શાળાએ આવી શકે છે. જો કે, સરકારે હાજર રહેવા મુદ્દે ફરજિયાતપણું રાખ્યું નથી. સ્વૈચ્છિક રીતે વિદ્યાર્થી શાળાએ આવી શકે છે. આ સાથે શાળાઓએ પણ SOPનું ચૂસ્તપણે પાલન કરવાનું રહેશે.
શિક્ષણ સચિવ વિનોદ રાવે જણાવી આ માહિતી
શાળાઓ શરૂ કરવા પહેલા સરકાર દ્વારા બનાવવામાં આવેલા નિયમો અંગે શિક્ષણ સચિવ વિનોદ રાવે માહિતી આપી હતી. જે વિદ્યાર્થી સ્વૈચ્છિક રીતે શાળામાં હાજર રહેશે. તેમના વાલીઓ દ્વારા સંમતિ પત્ર આપવાનું રહેશે. સાથે જે વિદ્યાર્થી શાળામાં આવવા માગતા નથી. તેમના માટે ઓનલાઈન શિક્ષણની વ્યવસ્થા પણ શરૂ રાખવામાં આવી છે.
જો કે, તમામ શાળાઓએ કોરોનાની ગાઈડલાઈનનું પાલન કરવાનું રહેશે. શાળા દ્વારા ઓનલાઈન શિક્ષણ પણ ચાલુ રહેશે. અને વર્ગખંડમાં સોશિયલ ડિસ્ટન્સ, માસ્ક ફરજિયાત પહેરવાનું રહેશે. જો કે, અગાઉ સરકારે શાળાઓ શરૂ કરવાની તૈયારી દેખાડી હતી. તે દરમિયાન અનેક વાલીઓ દ્વારા વિરોધ પણ કરવામાં આવ્યો હતો. જો કે, હવે શાળાઓને ધીમે-ધીમે શરૂ કરવામાં આવી રહી છે. તો બીજી તરફ કોલેજો પણ સોશિયલ ડિસ્ટન્સ સાથે શરૂ થઈ રહી છે. ગુજરાત વિદ્યાપીઠ જેવી મહાવિદ્યાલયોમાં પણ વિદ્યાર્થીઓ પરત ફરી રહ્યા છે. તો મહાવિદ્યાલયોમાં હોસ્ટેલ પણ શરૂ કરી દેવાઈ છે.