દેશની દિગ્ગજ ઓટો કંપની મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાના પ્લાન્ટમાં 17 દિવસ સુધી કોઇપણ પ્રકારનું પ્રોડક્શન નહીં થાય. કંપનીએ આ નિર્ણય એવા સમયે લીધો છે જ્યારે દેશની ઓટો ઇન્ડસ્ટ્રી મંદીથી પસાર થઇ રહી છે.
મહિન્દ્રા 17 દિવસ સુધી કોઇપણ પ્રકારનું પ્રોડક્શન નહીં કરે
દેશની બીજી મોટી કંપની છે મહિન્દ્રા
અશોક લેલેન્ડે પણ 16 દિવસ પ્લાન્ટ બંધ રાખવાની જાહેરાત કરી છે
મહિન્દ્રા દેશની બીજી મોટી ઓટો કંપની છે જેના પ્લાન્ટ પ્રોડક્શનમાં ઘટાડાને કારણે બંધ થઇ રહ્યા છે. આ પહેલા 7થી 9 સપ્ટેમ્બરે મારુતિ સુઝુકીના માનેસર-ગુરુગ્રામ પ્લાન્ટમાં પ્રોડક્શનનું કામ બંધ રખાયું હતું. જ્યારે હિન્દુજા સમૂહની પ્રમુખ કંપની અશોક લેલેન્ડે 16 દિવસ સુધી પ્લાન્ટ બંધ રાખવાની જાહેરાત કરી છે.
મહિન્દ્રાએ 9 ઓગસ્ટે કરી હતી જાહેરાત
ન્યૂઝ એજન્સી પીટીઆઇ મુજબ મહિન્દ્રાએ શેયર બજારને પોતાના પ્લાન્ટ બંધ કરવા સંબંધિત જાણકારી આપી છે. મહિન્દ્રાએ જણાવ્યું છે કે આ ક્વાર્ટર દરમિયાન 3 દિવસ એકસ્ટ્રા પ્રોડક્શન કરવામાં આવશે નહીં. વાત એમ છે કે, ગત 9 ઓગસ્ટે કંપનીએ દેશના અલગ-અલગ પ્લાન્ટમાં 14 દિવસ સુધી પ્રોડક્શન બંધ રાખવાની જાહેરાત કરી હતી. ત્યારબાદ હવે કંપનીએ એક્સ્ટ્રા 3 દિવસ પ્લાન્ટ બંધ રાખવાની વાત કહી છે.
કૃષિ ઉપકરણમાં પણ એકથી ત્રણ દિવસ ઉત્પાદન બંધ
આ સાથે જ મહિન્દ્રાએ કહ્યું કે મહીનાના અંત સુધી કૃષિ ઉપકરણ ક્ષેત્રમાં એકથી ત્રણ દિવસ સુધી ઉત્પાદન બંધ રાખશે. કંપનીએ કહ્યું, 'વાહનોનો યોગ્ય પુરવઠો હોવાને કારણે મેનેજમેન્ટને એવુ નથી લાગતું કે તેથી બજારમાં તેના વાહનોની ઉપલબ્ધતા પર અસર પડશે.'
મહિન્દ્રાના કુલ વેચાણમાં 25 ટકા સુધીનો ઘટાડો
નોંધનીય છે કે ઓગસ્ટ મહીનામાં મહિન્દ્રાના કુલ વેચાણમાં 25 ટકા સુધીનો ઘટાડો જોવા મળ્યો છે. કંપનીનું વેચાણ ઘટીને 36,085 વાહન રહી ગયું છે. ગત વર્ષે ઓગસ્ટમાં મહિન્દ્રાના 48,324 વાહન વેચાયા હતા. જ્યારે દેશના વાહન વેચાણના આંકડા ઓગસ્ટમાં 20 વર્ષના નીચલા સ્તરે પહોંચી ગયા છે. વાહન નિર્માતાઓના સંગઠન સિયામ મુજબ 1997-98 બાદ આ વર્ષે ઓગસ્ટમાં પેસેન્જર વાહનોના વેચાણમાં સૌથી ઝડપી ઘટાડો નોંધાયો છે.