SMA-1 નામક ગંભીર બીમારીથી પીડિત ધૈર્યરાજને 16 કરોડનું ઈંજેક્શન આપી દેવામાં આવ્યું છે અને બાળક હાલમાં સ્વસ્થ હોવાનું ડૉક્ટરો જણાવી રહ્યા છે.
SMA-1થી પિડીત ધૈર્યરાજસિંહને ઇન્જેક્શન અપાયું
16 કરોડની કિંમતનું ઇન્જેક્શન અપાયું
મુંબઈમાં ધૈર્યરાજને ડોક્ટરના ઓબ્ઝર્વેશનમાં રખાયો
સ્પાઈનલ મસ્ક્યુલર એટ્રોફી ફેક્ટ શીટ-1 નામક દુર્લભ બીમારીથી પીડાતા ધૈર્યરાજ માટે અમેરિકાથી ઈંજેક્શન આવી જતાં મુંબઈની હોસ્પિટલમાં સારવાર શરૂ થઈ ગઈ છે ત્યારે ધૈર્યરાજસિંહને મુંબઈ ખાતે ઇન્જેક્શન આપવામાં આવ્યું છે. મુંબઈની હિન્દુજા હોસ્પિટલ ખાતે ધૈર્યરાજસિંહને રૂપિયા 16 કરોડની કિંમતનું ઝોલગેનસ્મા ઇન્જેક્શનનો ડોઝ આપવામાં આવ્યો હતો. હાલમાં ધૈર્યરાજની તબિયત સારી હોવાનું ડોકટરનુ કહેવું છે અને ડોક્ટરના ઓબ્ઝર્વેશનમાં રાખવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે ઇન્જેક્શનના ફંડ માટે લોકોએ મુહીમ ચલાવી હતી અને ધૈર્યરાજને બચાવવા લોકોએ દિલ ખોલીને દાન આપ્યું હતું.
ધૈર્યરાજસિંહ SMA નામની ગંભીર બીમારી પીડિત છે
ગુજરાતીઓની એકતાના કારણે SMA નામની ગંભીર બીમારીથી પીડાતા બાળક ધૈર્યરાજસિંહ જાડેજાની સારવાર શરૂ મુંબઈની હિન્દુજા હોસ્પિટલમાં શરૂ કરવામાં આવી હતી. ધૈર્યરાજને આ ઈંજેક્શન બાદ નવજીવન મળશે. નોંધનીય છે કે અમેરિકાથી આ ઈંજેક્શન મંગાવવામાં આવ્યું હતું.
વિદેશથી રૂ.16 કરોડની કિંમતનું ઇન્જેક્શન મંગાવાયું
નોંધનીય છે કે ધૈર્યરાજના માતા પિતા સામાન્ય પરિવારથી છે અને દીકરા માટે 16 કરોડની વ્યવસ્થા કરવા માટે નિઃસહાય હતા. જોકે ગુજરાતીઓએ અસંભવને સંભવ કરી બતાવ્યું છે. આખા ગુજરાતમાં મોટા પાયા પર ધૈર્યરાજ માટે ફાળો ભેગો કરવામાં આવ્યો, સોશ્યલ મીડિયા પર બાળક માટે અભિયાન ચલાવવામાં આવ્યું, આ સિવાય ગુજરાતી મીડિયાએ પણ ટીવીના માધ્યમથી લોકોને ધૈર્યરાજની મદદ કરવા માટે આહવાહન કર્યું અને જોતજોતામાં દાનના ધોધથી બાળક માટે 16 કરોડ રૂપિયા ભેગા કરી લેવામાં આવ્યા. હવે બાળકની સારવાર પણ ચાલુ થઈ ગઈ છે.