પાવાગઢ ખાતે છેલ્લા ત્રણ દિવસથી રોપ-વે સેવા બંધ રહેતા યાત્રાળુઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. તો રોપ વે સંચાલકો દ્વારા વાતારવણનું કારણ આપી રોપ-વે સેવા બંધ કરાઈ હોવાનું જણાવી રહ્યા છે.
પાવાગઢ રોપ-વે સેવા સતત બંધ રહેતાં યાત્રાળુઓને મુશ્કેલી
વાતાવરણ નું કારણ આપી રોપ-વે સેવા બંધ કરાઈ
છેલ્લા 3 દિવસથી સંચાલકો મનમાની કરી રહ્યા હોવાના થઇ રહ્યા છે આક્ષેપ
પંચમહાલ જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે ઉષા બ્રેકો કંપની દ્વારા સંચાલન કરવામાં આવતા રોપ વે ને છેલ્લા ત્રણ દિવસથી બંધ કરી દેવામાં આવતા પાવાગઢ ખાતે આવતા માઈ ભક્તો ભારે હાલાકીની સાથે માતાજીના દર્શન કર્યા વિના જ વીલા મોઢે પરત ફરી રહ્યા છે. કંપની દ્વારા ખરાબ હવામાનનું કારણ આગળ ધરીને રોપવે બંધ કરી દેવામા આવ્યો છે. જોકે કંપની સામે અહીં આવતા ભક્તો આક્ષેપ લગાવી રહ્યા છે કે વાતાવરણ બિલકુલ સાફ હોવા છતાં પણ કંપની પોતાની મનમાની કરીને રોપ વે સેવા પૂરી પાડી રહી નથી.
પાવાગઢ ખાતે રોપ વે બંધ કરાતા યાત્રાળુઓને હાલાકી
સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે રોપ વે સેવા સતત બંધ રહેતાં પાવાગઢ ખાતે આવતા યાત્રાળુઓને પારાવાર મુશ્કેલીઓ વેઠવી પડી રહી છે. વાતાવરણ ચોખ્ખું હોવા છતાં રોપ વે સંચાલકો વાતાવરણ નું કારણ દર્શાવી છેલ્લા ત્રણ દિવસથી મનમાની કરી રહ્યા હોવાના સ્થાનિકો તેમજ યાત્રાળુઓ આક્ષેપ કરી રહ્યા છે. રોપ વે સેવા બંધ રહેવાના કારણે ગુજરાત અને અન્ય રાજ્યમાંથી આવેલા વયોવૃદ્ધ માઈ ભક્તો દર્શન કર્યા વિના નિરાશા સાથે પરત ફરતા જોવા મળી રહ્યા છે. ત્યારે ભક્તોમાં રોપ વે સેવા રેગ્યુલર શરૂ કરવા ઉગ્ર માંગ ઉઠી છે.
સંચાલકો કેમેરા સામે કંઈ પણ બોલવા તૈયાર નથી
સમગ્ર મામલે રોપ વે સેવાનું સંચાલન કરતી ઉષા બ્રેકોના અધિકારી સાથે વાત કરતા રોપ વે સંચાલકો કેમેરા સામે કઈપણ બોલવા ઇન્કાર કરી ટુંક સમયમાં રોપ વે શરૂ કરવામાં આવશે તેમ જણાવી રહ્યા છે. જોકે કંપની દ્વારા આવા જવાબ છેલ્લા ત્રણ દિવસથી આપવામાં આવતા અનેક પ્રશ્નો સર્જાયા છે. છેલ્લા ત્રણ દિવસથી રોપવે સેવા બંધ હોવાના કારણે જગતજનનીના દર્શન કર્યા વિના પરત ફરી રહેલા માઈ ભક્તો ભાવુક બની સરકારને રોપ વે સેવા શરૂ કરવા માટે આજીજી કરી રહ્યા છે. તો બીજી તરફ રોપવે સેવા સંચાલન કરતી કંપની દ્વારા રોપ વે સેવા બંધ રાખવા માટે કોઈ પણ પ્રકારની જાહેરાત નહિ કરતા યાત્રાળુઓમાં ભારે રોષ પણ જોવા મળી રહ્યો છે.
આશાબેન (યાત્રાળુ)
કંપની દ્વારા દબાણ કરાતા વહીવટી તંત્રે બુલડોઝર ફેરવ્યું
ઉલ્લેખનિય છે કે પંચમહાલ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સુપ્રસિદ્ધ શક્તિપીઠ એવા યાત્રાધામ પાવાગઢ ખાતે તમામ પ્રકારના દબાણોને દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેમાં પાવાગઢ માચી ખાતે આવેલ હોટેલ સહિત નાના મોટી દુકાનો સાથે યાત્રાધામ પાવાગઢ ખાતે રો પ વે ની સેવા આપતી ઉષા બ્રેકો કંપની દ્વારા પણ કરવામાં આવેલ દબાણો પર વહીવટી તંત્રે બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું છે. જેમાં કંપની દ્વારા બનાવવામાં આવેલા ગેટ સહિત ગાર્ડનને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યો છે.
એચ.ટી.મકવાણા (Dy. DDO-ગોધરા)
વાહિયાત કારણ રજૂ કરી રોપ વેની સુવિધા બંધ કરીઃ યાત્રાળુઓ
જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પાવાગઢમાં દબાણો જમીન દોસ્ત કરવાના મેગા ડિમોલિશનની ચાલી રહેલ કામગીરી રોપવે સેવા સુધી પહોંચતા રોપવે સેવાના સંચાલકો દ્વારા શનિવાર થી હવામાન ખરાબ છે નું વાહિયાત કારણ રજૂ કરી યાત્રાળુઓ માટે રોપ વે સેવાની સુવિધા બંધ કરી હોવાના આક્ષેપ કરવામાં આવી રહ્યા છે. ત્યારે આ રોપવે સેવા બંધ કરી દેતા સમગ્ર દેશભરમાંથી આવતા માઈ ભક્તોને પારાવાર મુશ્કેલીઓ વેઠવી પડી રહી છે.
કિરણ મહેતા (યાત્રાળુ)
પગથિયાઓમાં અસહ્ય ગંદકીને લઈ પદયાત્રીકોમાં રોષ
તો બીજી તરફ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પાવાગઢ માચી થી રેવાપથની આસપાસના પણ દબાણો દૂર કરવામાં આવતા પાવાગઢ માચી થી પગપાળા નિજ મંદિર સુધી જતા યાત્રાળુઓ - પદયાત્રીઓને પ્રાથમિક સુવિધા પણ ન મળતા પદયાત્રીઓ પારાવાર મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે. પાવાગઢ માચી થી નીજ મંદિર સુધી ચાલતા જવાના માર્ગ ઉપર પીવાના પાણીની સુવિધા તેમ જ પગથિયાઓમાં અસહ્ય ગંદકીને લઈને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે ત્યારે પદયાત્રીઓ સરકાર પાસે સાફ-સફાઈ તેમજ પીવાના પાણીની વ્યવસ્થા કરવા માટેની માગ કરી રહ્યા છે.