મહારાષ્ટ્રમાં રાજનીતિક ગતિરોધ યથાવત છે ત્યારે સરકાર બનવાની પરિસ્થિતિ હજુ સુધી સ્પષ્ટ થઈ નથી.ભાજપ અને શિવસેના વચ્ચે ઘમાસાણ ચરમસીમા પર છે. શિવસેના નેતા સંજય રાઉત મહારાષ્ટ્રનાં રાજ્યપાલ સાથે મુલાકાત કરી છે. ખબર એ પણ છે કે NCP નેતા શરદ પવાર કોંગ્રેસ નેતા સોનિયા ગાંધી સાથે મુલાકાત કરશે.
મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે ભાજપ અધ્યક્ષ અમિત શાહ સાથે દિલ્હીમાં મુલાકાત કરી
મહારાષ્ટ્રમાં ભાજપ અને શિવસેના વચ્ચે વિખવાદ વધુ ને વધુ વકરી રહ્યો છે ત્યારે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે ભાજપ અધ્યક્ષ અમિત શાહ સાથે દિલ્હીમાં મુલાકાત કરી હતી. મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીના પરિણામ આવ્યા બાદ મહારાષ્ટ્ર મુખ્યમંત્રી અને ભાજપ અધ્યક્ષની આ પ્રથમ મુલાકાત હતી. મહારાષ્ટ્રની રાજનીતિને જોતા આજનો દિવસ રાજ્ય માટે અતિ મહત્વનો છે.વિપક્ષી પાર્ટીઓનું માનવું છે કે ભાજપ અને શિવસેના વચ્ચે ચાલતા ગતિરોધનો NCP અને કોંગ્રેસે ફાયદો ઉઠાવવો જોઈએ. ત્યારે મહારાષ્ટ્રના કદ્દાવર NCP નેતા શરદ પવાર દિલ્હીમાં કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા સાથે મુલાકાત કરવા પહોંચશે.
ભાજપ શિવસેના વચ્ચે સિંહાસન માટે ખેંચતાણ
મહારાષ્ટ્રમાં જે દિવસે વિધાનસભા ચૂંટણીનાં પરિણામો આવ્યા ત્યારથી જ શિવસેનાએ તેની માંગો વધારી દીધી હતી. ગઠબંધન કરીને ચૂંટણી લડ્યા બાદ ભાજપ અને શિવસેનામાં અંદરોઅંદર જ મતભેદો વધતા ગયા. શિવસેના નેતાઓ મહારાષ્ટ્રમાં શિવસેનાનો મુખ્યમંત્રી બને તેવી માંગ કરી છે. સંજય રાઉત દ્વારા નિયમિત રૂપે ભાજપ પર હુમલા કરવામાં આવી રહ્યા છે જેથી મહારાષ્ટ્રમાં કોકડું વધુ ગુચવાયું છે. શિવસેના-ભાજપ ગઠબંધન પાસે બહુમત છે પરંતુ તે બે પક્ષો વચ્ચે મુખ્યમંત્રીના સિંહાસન માટે ખેંચતાણ વધી ગયી છે.
ફરીથી ચૂંટણી કરાવવા ઉઠી માંગ
મહારાષ્ટ્રમાં ભાજપ નેતા જયકુમાર રાવલે નિવેદન આપ્યું કે પાર્ટી કાર્યકર્તાઓએ મુજબ ભાજપે શિવસેના સાથે ગઠબંધન નહોતું કરવું. અમને એક વાર ફરી મોકો આપો અમે બીજીવાર લડીશું અને આ વખતે જીતીશું. જયકુમાર રાવલનું માનવું છે કે શિવસેના સાથે ગઠબંધનના લીધે જ ભાજપ ઘણી બેઠકો પર ચૂંટણી લડી શક્યું નહિ અને ઘણી બેઠકો પર ખુબ ઓછા માર્જીનથી હારનો સામનો કરવો પડ્યો.
સંજય રાઉતની રાજ્યપાલ સાથે મુલાકાત કરી
શિવસેના આજે મહારાષ્ટ્રના રાજ્યપાલ સાથે મુલાકાત કરી હતી. રાજ્યપાલને મળ્યા બાદ સંજય રાઉતે કહ્યું કે, રાજ્યપાલ સાથે વર્તમાન સ્થિતિ પર ચર્ચા થઈ છે. સરકાર ન બનવા પાછળ શિવસેના જવાબદાર નહીં. જેની પાસે બહુમત હોય તે સરકાર બનાવે. શિવસેનાએ ક્યારેય સરકાર ન બને તેવા પ્રયાસ નથી કર્યા.
CM તરીકે સૌ કોઈ ફડણવીસને જોવા માંગે છે: રામ કદમ
ભાજપના નેતા રામ કદમે કહ્યું હતું કે, થોડા દિવસમાં ફડણવીસ સીએમ પદના શપથ લેશે. સીએમ તરીકે બધા ફડણવીસને જોવા માગે છે. રામ કદમે કહ્યું હતું કે NCPના ધારાસભ્યો અને શિવસેનાના ધારાસભ્યો પણ ફડણવીસને સીએમ તરીકે જોવા માગે છે.