ગુજરાત વિધાનસભાની ચૂંટણીને અનુલક્ષી રાજકોટ ખાતે VTV Conclave -Election 2022નું આયોજન કરવામાં આવ્યું. જેમાં અર્જુન મોઢવાડિયા, પરેશ ધાનાણી, લલિત કગથરા, ઇસુદાન ગઢવી અને ગોપાલ ઇટાલિયા સહિત દિગ્ગજ નેતાઓ હાજર રહ્યાં હતા. જેઓની સાથે મુખ્યત્વે સૌરાષ્ટ્રની રાજકીય સ્થિતિના ચિતાર અંગે ચર્ચા કરવામાં આવી.
ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈ રાજકીય પક્ષોની હલચલ વધી ગઈ છે. ચૂંટણીની તારીખ જાહેર થવાની તૈયારી છે ત્યારે રાજકીય પક્ષોની ગતિવિધીઓ તેજ થઈ રાજકીય માહોલ જામતો નજરે ચડતો જોવા મળી રહ્યો છે. રાજકીય પક્ષોની અંદરો-અંદર ખેંચતાણ શરૂ થઈ ગઈ છે. આગામી વિધાનસભાની ચૂંટણીને લઈને રાજકોટ ખાતે VTV Conclave -Election 2022નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કોંગ્રેસ નેતા અર્જુન મોઢવાડિયાએ ભારતીય જનતા પાર્ટી પર આકરા પ્રહારો કર્યા હતા. જેનો વીડિયો નીચે છે.
2017ની કમી આ વખતે અમે પૂરી કરવાના છીએ: મોઢવાડિયા
VTV NEWS Conclaveમાં કોંગ્રેસ નેતા અર્જુન મોઢવાડિયાએ EXCLUSIVE ઇન્ટરવ્યુ દરમ્યાન આ વર્ષે કોંગ્રેસના ભાગે કેટલા મત આવશે તેવો સવાલ પૂછતા મોઢવાડિયાએ કહ્યું કે, 'ગયા વખતની 2017ની ચૂંટણી થઇ હતી તેમાં સૌરાષ્ટ્ર-કચ્છમાંથી કોંગ્રેસે બહુમતી બેઠકો મેળવી હતી. પરંતુ અમારી કોઇ જગ્યાએ કચાસ રહી જવાના કારણે અમે માત્ર 10 સીટથી સરકાર બનાવવામાં પાછળ રહી ગયા. એ કમી આ વખતે અમે પૂરી કરવાના છીએ. 2022માં ગુજરાતમાં કોંગ્રેસની સરકાર બનશે.'
અમારી પાસે અડધા ડઝનથી પણ વધારે ચહેરા જેને આખું ગુજરાત ઓળખે છે: મોઢવાડિયા
ગુજરાતમાં મુખ્યમંત્રીના ચહેરાને લઇને મોઢવાડિયાએ નિવેદન આપતા કહ્યું કે, 'કોંગ્રેસનો જ મુખ્યમંત્રી હશે. અમારી પાસે અડધા ડઝનથી પણ વધારે ચહેરા કે જેને આખું ગુજરાત ઓળખે છે, એવાં નેતાઓ છે, એટલે કે અમારે ત્યાં દુષ્કાળ નથી. ભાજપને દુષ્કાળ પડ્યો. જે કોર્પોરેશનમાં કોઇ દિવસ મેયર પણ નહોતા બન્યા તેમને CM બનાવી દીધા. આજે મુખ્યમંત્રીનું સંચાલન કોઇ બીજી જગ્યાએથી થાય છે. અમારામાં એવું નહીં થાય. એટલી ખાતરી આપું છું.
ત્રીજો પક્ષ હંમેશા વિરોધ પક્ષના વૉટને તોડવા માટે જ આવે છે: મોઢવાડિયા
વધુમાં ત્રીજા પક્ષ અંગે મોઢવાડિયાએ કહ્યું કે, 'ત્રીજો પક્ષ હંમેશા વિરોધ પક્ષના વૉટને તોડવા માટે જ આવે છે. જેનો એક ધારાસભ્ય ન હોય, જેમની પાસે 7 હજાર જેટલી સ્થાનિક સ્વરાજની સંસ્થાની બેઠકોમાંથી 100 બેઠકો પણ પૂરી ન હોય એ કેવી રીતે વાત કરી શકે.'
કમલમ જેવી એક પણ સ્કૂલ રાજ્યમાં નથી: મોઢવાડિયા
મોઢવાડિયાએ વધુમાં સરકાર પર પ્રહાર કરતા કહ્યું કે, 'ભાજપના શાસનથી ગુજરાતની પ્રજા ત્રસ્ત થઇ ગઇ છે. ગુજરાતમાં ત્રીજો પક્ષ ક્યારેય ફાવ્યો નથી. આમ આદમી પાર્ટી વોટ કાપવાનું કામ કરશે. 2017માં પણ ત્રીજા નંબરનો પક્ષ આવ્યો હતો. 2017માં હું 1700 વોટથી હાર્યો હતો. ભાજપે બસપાના ઉમેદવારને મારી સામે ઉભો કર્યો હતો. બસપાના ઉમેદવારે વોટ કાપવાનું કામ કર્યું હતું. 27 વર્ષમાં ભાજપે એક પણ ડેમ બનાવ્યો નથી. 27 વર્ષમાં ભાજપે એરપોર્ટ અને રેલવે સ્ટેશન બનાવ્યું નથી. ભાજપે એક પણ સરકારી સ્કૂલ બનાવી નથી. 5 હજાર સ્કૂલ તો ભાજપે બંધ કરી દીધી છે. ભાજપે માત્ર કમલમનો વિકાસ કર્યો છે. કમલમ જેવી એક પણ સ્કૂલ રાજ્યમાં નથી.'