ગુજરાતમાં કથિત લઠ્ઠાકાંડની ઘટનાથી 30થી વધુ લોકોના મૃત્યુ થયાં છે અને ચોતરફ ચર્ચા શરૂ થઈ છે ત્યારે સમગ્ર મામલે ખૂદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ એક્શનમાં આવ્યા છે અને સાંજે ગાંધીનગરમાં એક ખાસ બેઠક બેલાવી છે.
બોટાદમાં થયેલા કથિત લઠ્ઠાકાંડમાં 30થી વધુ લોકોના મૃત્યુ થયાં છે અને અન્ય કેટલાક સારવાર હેઠળ છે ત્યારે સમગ્ર મામલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સાંજે 7 કલાકે ગાંધીનગર ખાતે ખાસ બેઠક બોલાવી છે.
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) July 26, 2022
મુખ્યમંત્રીએ તાબડતોબ બોલાવી બેઠક
મુખ્યમંત્રી દ્વારા બોલાવવામાં આવેલ આ બેઠકમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી ,મુખ્ય સચિવ, રાજ્યના DGP, આરોગ્ય અધિક મુખ્ય સચિવ સહિતના અનેક પદાધિકારીઓ ઉપસ્થિત રહેશે. આ બેઠકમાં ગત મોડી સાંજે બનેલ કથિત લઠ્ઠાકાંડની ઘટનાને લઈને મંથન કરવામાં આવી શકે છે.
આજે સવારે મુખ્યમંત્રીએ કડક તપાસના આપ્યા હતા આદેશ
બોટાદમાં લઠ્ઠાકાંડને લઈ સરકાર હરકતમાં આવી છે અને મુખ્યમંત્રીએ DGP સાથે આ મામલે વાત કરી છે. આ તરફ ગૃહરાજ્યમંત્રીએ પણ ઘટનાની નોંધ લીધી છે. બોટાદમાં લઠ્ઠાકાંડને લઈ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ત્વરીત તપાસના આદેશ આપ્યા છે. નોંધનીય છે કે, બોટાદના બરવાળાના રોજિદ ગામે ઝેરી દારૂ પી જવાથી 20 થી વધુ લોકોના મોત અને અન્યની હાલત ગંભીર થતાં ખળભળાટ મચ્યો છે.
ઘટનાને પગલે SIT ની રચના કરવામાં આવી
આ બનાવને પગલે દારૂ બનાવનાર અને દારૂ વેચનારની પોલીસે તાત્કાલિક ધરપકડ કરી હતી. જો કે આ સમગ્ર ઘટનાને પગલે DySPની અધ્યક્ષતામાં SIT ની રચના કરવામાં આવી છે, જે તપાસ કરી સરકારને રીપોર્ટ સોંપશે. FSLને પણ દારૂની અસર થયેલા લોકોના તેમજ મૃતકોના સેમ્પલ આપવામાં આવ્યા છે જે બાદ જ મૃત્યુનું સાચુ કારણ આધિકારિક રીતે બહાર આવી શકે છે.
બોટાદમાં કથિત લઠ્ઠાકાંડ બાદ વહીવટી તંત્ર દોડતું થયું
બોટાદના રોજિદ ગામે ગત રોજ કથિત લઠ્ઠાકાંડ બાદ જિલ્લા વહીવટી તંત્ર દોડતું થયું છે. બોટાદ કલેકટરે ગત મોડી રાત્રે બરવાળા સામૂહિક આરોગ્ય કેન્દ્રની મુલાકાત લીધી હતી.અને આ સાથે કલેક્ટરે મોડી રાત્રે અધિકારીઓ સાથે બેઠક યોજીને સમીક્ષા કરી હતી.આ સાથે ઝેરી દારૂથી અસરગ્રસ્ત દર્દીઓની સારવાર અંગે મેળવી માહિતી મેળવી હતી. ઉલ્લેખનીય છે કે,લઠ્ઠાકાંડને લઈને સોમવાર મોડી રાત સુધી સીએચસી અને સરકારી દવાખાનાઓમાં અસરગ્રસ્તોનો ધસારો આવી રહ્યો હતો.
લઠ્ઠાકાંડમાં કેમિકલ પીવાનો DGPએ કર્યો ખુલાસો
બોટાદના લઠ્ઠાકાંડ મામલે ગુજરાતના DGP આશિષ ભાટિયાએ પ્રેસ કોન્ફરન્સ યોજી ખુલાસો કરતા જણાવ્યું કે, 'બોટાદના લઠ્ઠાકાંડમાં કેમિકલ પીવાના કારણે લોકોના મોત થયા છે. ગામના લોકોએ દારૂ નહી પરંતુ કેમિકલ પીધું. આ ઘટનામાં જયેશ ઉર્ફે રાજુ નામની વ્યક્તિ કે જે અસલાલી વિસ્તારમાં ગોડાઉનમાં કામ કરે છે. AMOS કોર્પોરેશન નામની જે કંપની છે ત્યાં મિથાઇલ આલ્કોહોલના બેરલ તે ગોડાઉનમાં મૂકે છે અને મિથાઇલ આલ્કોહોલના બેરલમાંથી અઢી લિટરની બોટલ બનાવવામાં આવે છે. કે જે ચાંગોદરની ફિનાર્ક નામની જે ઓરિજનલ કંપની છે ત્યાં એ અઢી-અઢી લિટરના કેમિકલ બનાવીને મોકલવામાં આવે છ.
ડીજીપીએ કહ્યું કે, 'જયેશના ફુઆના છોકરા સંજયને 600 લિટર કેમિકલ અપાયું. 600 લિટરમાંથી સંજય ઉર્ફે પિન્ટુ નામ શખ્સને આ કેમિકલ અપાયું. જયેશ કેમિકલ કંપનીના ગોડાઉનનો ઇન્ચાર્જ હતો. 600 લિટરમાંથી 200 લિટર કેમિકલ પિન્ટુને આપવામાં આવ્યું હતું. જેમાં પાણી મિલાવીને તેનું વેચાણ કરાતું. આ રીતે ગામમાં ટુકડે-ટુકડે મિથેનોલનું વેચાણ થયું હતું. હાલમાં 28 લોકોના મૃત્યુ થયા છે, જેમાંથી 2 લોકોના મૃત્યુ શંકાસ્પદ છે. 2 લોકોના PM રિપોર્ટ જાણ કરવામાં આવશે.'
કેમિકલના આ પદાર્થમાં 99% મિથાઇલ આલ્કોહોલનું પ્રમાણ જોવા મળ્યું
વધુમાં DGPએ જણાવ્યું કે, 'આ ઘટનામાં 24 કલાકની અંદર ગુનાઓ ડિટેક્ટ કરવામાં આવ્યા છે. મોટા ભાગના આરોપીઓ રાઉન્ડ અપ કરવામાં આવ્યા છે તેમજ FIR પર રજિસ્ટર કરવામાં આવી છે. કેમિકલ મિથાઇલ આલ્કોહોલમાં કુલ 460 લિટર કેમિકલ પણ કબજે કરવામાં આવ્યું છે. એ કેમિકલ પૈકી તેમાંથી સેમ્પલ લઇને તેને FSLમાં પણ મોકલવામાં આવ્યા છે. FSLની મદદથી તેમના બ્લડ સેમ્પલ પણ રાત્રે જ ગાંધીનગર મોકલવામાં આવેલા તેમજ કેમિકલને પણ મોકલવામાં આવેલું. જેમાં આ મિથાઇલ આલ્કોહોલનું પ્રમાણ સામે આવ્યું છે. કેમિકલના આ પદાર્થમાં 99% મિથાઇલ આલ્કોહોલનું પ્રમાણ જોવા મળ્યું છે.'
સ્ટેટ મોનિટરિંગ સેલ તપાસમાં જોડાઇ
બોટાદના બરવાળામાં કથિત લઠ્ઠાકાંડ મુદ્દે તપાસમાં વધુ એક ટીમ જોડાઇ છે. સ્ટેટ મોનિટરિંગ સેલ પણ તપાસમાં જોડાઇ. સ્ટેટ મોનિટરિંગ સેલના ઈન્ચાર્જ નિર્લિપ્ત રાય બરવાળા પહોંચ્યા. તો આ તરફ બોટાદના કથિત લઠ્ઠાકાંડમાં SP દ્વારા મહિલા ASI યાસ્મીન સસ્પેન્ડ કરાયા. દારૂ મામલે હપ્તાના સેટિંગ કરવા અંગે ઓડિયો વાયરલ થયો હતો જે મામલે પહેલા ASIની બદલી કરાઈ હતી અને હવે જિલ્લા પોલીસ વડાએ મહિલા ASIને સસ્પેન્ડ કર્યા.