હિંદુ ધર્મમાં માઁ દુર્ગાને શક્તિનું સ્વરૂપ માનવામાં આવે છે અને તેમની પૂજાનું વિશેષ મહત્ત્વ રહેલું છે. ભક્તો માઁ દુર્ગાના આશીર્વાદ મેળવવા માટે નવરાત્રીના 9 દિવસ સુધી વિધિ વિધાન સાથે પૂજા, આરાધના અને વ્રત કરે છે. 9 દિવસ સુધી માઁ દુર્ગાની પૂજા કરીને ભક્તો તાત્કાલિક ફળ મેળવવાની કામના કરે છે. જો તમે પણ તમારી મનોકામના પૂર્ણ કરવા માટે માઁ દુર્ગાની પૂજા અને વ્રત કરવા જઈ રહ્યા છો, તો તમારે નવરત્રીના નિયમોનું પાલન કરવું જોઈએ. આ વર્ષે 22 માર્ચ 2023થી ચૈત્રી નવરાત્રી શરૂ થઈ રહી છે.
- માઁ દુર્ગા પાસેથી વરદાન મેળવવા માટે તમારી શ્રદ્ધા, સમય અને સામર્થ્ય અનુસાર વ્રતનો સંકલ્પ કરો. જો તમે 9 દિવસ સુધી માઁ દુર્ગાની વ્રત ના કરી શકો તો તમે સાત દિવસ, ત્રણ દિવસ, એક દિવસ, નવરાત્રીના પહેલા દિવસ અથવા છેલ્લા દિવસે વ્રત કરી શકો છો.
- નવરાત્રીનું વ્રત કરવા માટે સૌથી પહેલા વિધિ વિધાન સાથે વ્રતનો સંકલ્પ લો. ત્યારબાદ તન અને મનથી શુદ્ધ થઈને પૂર્વ અથવા ઉત્તર દિશા તરફ મોઢુ કરીને માઁ દુર્ગાની પૂજા કરો.
- નવરાત્રીના 9 દિવસ વ્રત અને પૂજાનું શુભ ફળ મેળવવા માટે સાધકે પીળા અને લાલ કલરના કપડા પહેરવા જોઈએ. નવરાત્રીના વ્રત દરમિયાન સાધકે ભૂલથી પણ કાળા કલરના કપડા ના પહેરવા જોઈએ અને વાળ તથા નખ ના કાપવા જોઈએ.
- નવરાત્રીમાં નિશ્ચિત સમયે જ માઁ દુર્ગાની પૂજા કરો. પૂજા કરતા પહેલા પૂજાની તમામ જરૂરી વસ્તુઓ એકઠી કરી લો, જેથી માઁ દુર્ગાની પૂજા કરતા સમયે કોઈપણ પ્રકારની બાધા ના આવે.
- નવરાત્રીના વ્રત દરમિયાન બ્રહ્મચર્યનું પાલન કરવું જોઈએ. વ્રતના 9 દિવસ દરમિયાન પલંગના બદલે જમીન પર પથારી કરીને સૂવું જોઈએ.
- નવરાત્રીના વ્રતના 9 દિવસ દરમિયાન નિયમ તથા સંયમનું પાલન કરવું જોઈએ અને માત્ર ફળ જ ખાવા જોઈએ. ભૂલથી પણ અન્ન અને તીકા ભોજનનું સેવન ના કરવું જોઈએ. વ્રત કરવા દરમિયાન મનમાં કામ, ક્રોધ, લોભની ભાવના ના આવવી જોઈએ અને ખોટું ના બોલવું જોઈએ.
- નવરાત્રીના 9 દિવસ દરમિયાન જો તમારી પાસે કામ ના હોય તો માઁ દુર્ગાનું અથવા તમારા ઈષ્ટદેવનું ધ્યાન ધરીને તેમના મંત્રનો જાપ કરો.
- નવરાત્રીના વ્રત દરમિયાન કન્યાઓને પરેશાન ના કરવી જોઈએ અને તેમનું અપમાન પણ ના કરવું જોઈએ. કન્યાઓની વિધિ વિધાન સાથે પૂજા કરીને તેમને ઉપહાર આપીને તેમના આશીર્વાદ લેવા જોઈએ.
- નવરાત્રીમાં માઁ દુર્ગાની પૂજાની સામગ્રીને ગમે તેમ ના ફેંકવી જોઈએ અને નદીમાં પણ ના પધરાવી જોઈએ. પવિત્ર જગ્યાઓ પર ખાડો કરીને પૂજાની સામગ્રી તેમાં દાટી દેવી જોઈએ.