ભારતીય ક્રિકેટ બોર્ડ (BCCI) એ 36 વર્ષીય ક્રિકેટર એસ. શ્રીસંત પરથી આજીવન પ્રતિબંધ ઘટાડીને 7 વર્ષ કરી દીધો છે. હવે 13 સપ્ટેમ્બર 2020 ના રોજ શ્રીસંત પરનો પ્રતિબંધ સમાપ્ત થઈ જશે. બીસીસીઆઈ લોકપાલ દ્વારા જાહેર કરાયેલા આદેશમાં કહેવામાં આવ્યું છે કે શ્રીસંત પરનો પ્રતિબંધ ઘટાડીને સાત વર્ષ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. નોંધનીય છે કે, 13 સપ્ટેમ્બર 2013 ના રોજ શ્રીસંત પર આજીવન પ્રતિબંધ લાદવામાં આવ્યો હતો.
સુપ્રીમ કોર્ટે BCCI ને કરી ટકોર
આપને જણાવી દઇએ કે, આ પહેલા માર્ચ 2019માં શ્રીસંત પર સુપ્રીમ કોર્ટે IPL સ્પોટ ફિક્સિંગ મામલે આજીવન પ્રતિબંધ હટાવી દીધો છે. BCCI પાસે અનુશાસનાત્મક કાર્યવાહીનો અધિકાર છે. કોર્ટે BCCI પાસેથી શ્રીસંતને સુનાવણીની તક આપવાનો અને 3 મહિનામાં સજા નક્કી કરવાનો આદેશ આપ્યો હતો. સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે, BCCI શ્રીસંત પર લગાવેલ પ્રતિબંધ પર ફરી વિચાર કરવામાં આવે. સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે, આજીવન પ્રતિબંધ વધારે પડતો દંડ છે.
હું લિએન્ડર પેસને આદર્શ માનું છું : શ્રીસંતે
નોંધપાત્ર વાત એ છે કે સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ શ્રીસંતે કહ્યું હતું કે, 'હું લિએન્ડર પેસને આદર્શ માનું છું. જ્યારે તે 45 વર્ષની ઉંમરે ગ્રાન્ડ સ્લેમ રમી શકે છે, નેહરા 38 વર્ષની ઉંમરે વર્લ્ડ કપ રમી શકે છે, તો પછી હું કેમ નહીં..? હું ફક્ત 36 વર્ષનો છું. મારી તાલીમ ચાલી રહી છે.
2005 માં કર્યો હતો આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પ્રવેશ
જુલાઈ 2015 માં, શ્રીસંત, અંકિત ચવ્હાણ અને અજિત ચંડીલા સહિતના સામે સ્પોટ ફિક્સિંગ કેસમાં તમામ 36 આરોપીઓને પટિયાલા હાઉસ કોર્ટે ગુનાહિત કેસમાં નિર્દોષ જાહેર કર્યા હતા. શ્રીસંતે 2005 માં શ્રીલંકા સામે નાગપુરમાં વનડે સાથે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પ્રવેશ કર્યો હતો.
તેમણે 2006 માં ઇંગ્લેન્ડ સામે ટેસ્ટ મેચની શરૂઆત કરી હતી. શ્રીસંતે 27 ટેસ્ટમાં 37.59 ની સરેરાશથી. 87 વિકેટ લીધી હતી, જ્યારે વનડેમાં તેણે 53 53 મેચમાં 33.44 સરેરાશથી 75 વિકેટ લીધી હતી.