બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / 15 દિવસથી પાણીમાં ગરકાવ બદરખા ગામ, 17 પરિવારો બેઘર; 'આભ ફાટ્યું ત્યાં થીંગડું ક્યાં મારવું?' જેવી હાલત, તંત્ર મૌન
Last Updated: 11:41 PM, 3 August 2026
અમદાવાદ: ચોમાસાએ જ્યાં એક તરફ ખેડૂતોના ચહેરા પર ખુશી લાવી છે, ત્યાં અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકાના બદરખા ગામમાં વરસાદ જાણે આફત બનીને વરસ્યો છે. છેલ્લા 15 દિવસથી ગામમાં ભરાયેલા વરસાદી પાણીએ લોકોનું જનજીવન ખોરવી નાખ્યું છે. સ્થિતિ એવી છે કે 'આભ ફાટ્યું ત્યાં થીંગડું ક્યાં મારવું?' જેવી હાલત સર્જાઈ છે. ઘરોમાં પાણી ઘૂસી જતાં 17 પરિવારોને ઘરબાર છોડીને ગામની શાળામાં આશરો લેવો પડ્યો છે, જ્યારે જવાબદાર તંત્ર 'ઘોર નિંદ્રામાં હોય' તેમ નિષ્ક્રિય દેખાઈ રહ્યું છે.
ADVERTISEMENT
બદરખા ગામમાં ગ્રામ પંચાયત, સરકારી હોસ્પિટલ, ડેરી અને પ્રાથમિક શાળા સહિતના વિસ્તારોમાં હજુ પણ કેડસમા પાણી ભરાયેલા છે. ગામના રસ્તાઓ પર નજર કરીએ તો 'રસ્તા નહીં, જાણે નદીના વહેણ' હોય તેવું દૃશ્ય જોવા મળે છે. ઘરોમાં પાણી ઘૂસી જતાં લોકોની ઘરવખરી પાણીમાં પલળી ગઈ છે અને અનેક પરિવારોની વર્ષોની મહેનત 'પાણીમાં ગઈ' છે.
ADVERTISEMENT
પાણીના કારણે રહેવું અશક્ય બનતાં 17 પરિવારો ગામની શાળામાં આશરો લઈ રહ્યા છે. પરંતુ આશ્ચર્યની વાત એ છે કે તેમને રહેવાની જગ્યા તો મળી, પરંતુ ભોજન અને રાશનની કોઈ વ્યવસ્થા કરવામાં આવી નથી. સ્થાનિકોના જણાવ્યા મુજબ, છેલ્લા ઘણા દિવસોથી તંત્રે તેમની તરફ 'આંખ આડા કાન' કર્યા છે.
ADVERTISEMENT
જ્યારે સરકારી તંત્રના હાથ ટૂંકા પડ્યા, ત્યારે ગામના 'શિવલહેરી ગ્રુપ'ના યુવાનો આગળ આવ્યા. તેઓ છેલ્લા ઘણા દિવસોથી અસરગ્રસ્ત પરિવારોને બે ટાઈમ દાળ-ભાત અને કઢી-ખીચડી પહોંચાડી રહ્યા છે. 'માણસ માણસના કામ આવે', કહેવતનું જીવંત ઉદાહરણ આ યુવાનોએ પૂરું પાડ્યું છે.
ADVERTISEMENT
ગ્રામજનો અને સરપંચે અનેક વખત રજૂઆતો કરી હોવા છતાં સમસ્યાનો કોઈ ઉકેલ આવ્યો નથી. સ્થાનિકોનો આક્ષેપ છે કે વિસ્તારના ધારાસભ્ય, પ્રાંત અધિકારી કે મામલતદારમાંથી કોઈ પણ સ્થળની મુલાકાતે આવ્યું નથી. બદરખા ગામ લોકોની હાલત 'વાડ જ ચીભડાં ગળે' જેવી થઈ ગઈ છે, જ્યાં રક્ષણ આપનાર જ જવાબદારીથી દૂર ભાગી રહ્યા છે.
ADVERTISEMENT
'પાણી માથા ઉપરથી વહી ગયું' છે. માત્ર આશ્વાસનોથી કામ નહીં ચાલે, ગ્રામજનો માંગ કરી રહ્યા છે કે ઉચ્ચ અધિકારીઓ તાત્કાલિક સ્થળ પર પહોંચી પરિસ્થિતિની સમીક્ષા કરે, ગામમાંથી પાણીના નિકાલની કાયમી વ્યવસ્થા કરે અને બેઘર બનેલા પરિવારોને સરકારી રાહત, ભોજન અને આર્થિક સહાય તાત્કાલિક ઉપલબ્ધ કરાવે.
ADVERTISEMENT
આ પણ વાંચો- સપ્ટેમ્બર- ઓક્ટોબરમાં કેવો રહેશે વરસાદ? અંબાલાલ પટેલની મોટી આગાહી
અમરા ગામમાં 15 દિવસથી પાણી ભરાયું છે, અમારાં બે વાછરડાં મરી ગયાં, ઢોર માટે ઘાસચારો કે ખાવાની કોઈ વ્યવસ્થા નથી, ટોઇલેટ જવાનીએ સમસ્યા છે, ગામના સરપંચ, તલાટી કે ધારાસભ્ય કોઈ અમને પૂછવા નથી આવતું.
છેલ્લા 15 દિવસથી અમે નિશાળમાં રહીએ છીએ, પહેરવાના લુગડાં નથી અનાજને બધું જતું રહ્યું છે, અમારાં ઘર પડી ગયાં છે, અમને મંગળવાર સુધી નિશાળમાં રહેવા દેવાનું કીધું છે, પણ અમને આશરો ના આપો તો અમારે રહેવાનું ક્યાં? સરકારે અમને કંઈક તો સહાય કરે. બધું નથી જોતું પણ અમને અડધું તો પાછું આપો.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
Way To Videsh / કેનેડામાં ભારતીય વિદ્યાર્થીઓ માટે મોટું અપડેટ |
ADVERTISEMENT