બિહારમાં આ વર્ષે કુદરતનો કહેર વરસ્યો છે. ભારે વરસાદ અને પુરે મોટી સંખ્યામાં જાનમાલની હાનિ સર્જી હતી. પુર પીડિતોની રાહત માટે દેશના માનીતા અને સદીના મહાનાયક અમિતાભ બચ્ચને હાથ લંબાવ્યો છે. તેમણે ૫૧ લાખ રૂપિયાની રકમ પુર પીડિતોના ફાળા માટે દાન કરી છે.
બિહારમાં પૂર અને અતિવૃષ્ટિએ આ વર્ષે આતંક મચાવ્યો છે જેની સામે સરકાર પૂર પીડિતોની રાહત માટે કાર્યરત રહી છે. આ પૂરપીડિતો માટેના રાહતફંડમાં દાન માટે બૉલીવુડના મહાનાયકે પહેલ કરી છે. અમિતાભ બચ્ચને રૂપિયા 51 લાખનો ચેક બિહારના પૂર પીડિતો માટે પહોંચતો કર્યો છે.
હિન્દી સિનેમાના અભિનેતા અમિતાભ બચ્ચને પોતાના પ્રતિનિધિ વિજયનાથ વડે બિહાર સરકારને 51 લાખની રકમ ચેક વડે પહોંચાડી હતી. આ ચેક બુધવારે બિહારના ઉપમુખ્યમંત્રી સુશીલ મોદીને પટના ખાતે આપ્યો હતો. ઉલ્લેખનીય છે કે બિહારમાં આ વર્ષે ભારે વરસાદ અને પૂરના પગલે આશરે 100 જેટલા લોકોના મોત થયા છે. આ ઉપરાંત અનેક લોકો બેઘર થયા છે.
અમિતાભે આ દાનની જાણ ટ્વિટ કરીને ઓનલાઇન જણાવી હતી. આ ઉપરાંત તેમણે રકમ સાથે બિહારના પૂર પીડિતો માટે એક પત્ર પણ લખ્યો હતો.
નોંધનીય છે કે આ ચોમાસામાં બિહારના 15 જિલ્લાઓ પટના, ભોજપુર, ભાગલપુર, નવાદા, નાલંદા, ખગડિયા, સમસ્તીપુર, લખીસરાય, બેગુસરાય, મુંગેર, બક્સર, કટિહાર, જહાનાબાદ, અરવલ, પૂર્ણિયામાં 1400થી વધુ ગામો આ વખતે પૂરનો શિકાર બન્યા છે.
આ પરિસ્થિતિનો સામનો કરવા 75 જેટલા રાહત શિબિરના કેન્દ્રો અને 515 સામુદાયિક રસોઈ કેન્દ્રો સ્થાપિત કરવામાં આવ્યા છે.
પુરની વિપરીત સ્થિતિ વચ્ચે ડેન્ગ્યુએ પણ માથું ઉચક્યું છે. રાજ્યમાં 980 ડેન્ગ્યુના કેસીસ નોંધાયા છે.