ગાંધીનગર લોકસભા ક્ષેત્રની મુલાકાતમાં અમિત શાહે ગોતાથી સરખેજના 21 જેટલા તળાવોને વધુ આકર્ષક બનાવવા માટે અસરકારક નાંણાકીય આયોજન કરવા તેમજ તેમાં ગટર પાણી ન ભળે તેની તાકીદ કરી
અમિત શાહે ગાંધીનગર લોકસભા વિસ્તારને લઇ કરી બેઠક
AMC અંતર્ગત આવતા વિસ્તારમાં કાર્યોને કરી સમીક્ષા
અધિકારીઓને વેક્સિનેશન પર ભાર મુકવા આપી સૂચના
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પોતાના મતવિસ્તારમાં સમાવિષ્ટ અમદાવાદ શહેર-જિલ્લાના કામોની સર્વગ્રાહી સમીક્ષા કરી હતી. આ બેઠકમાં વિભિન્ન પ્રશ્નો વિશે વિગતવાર ચર્ચા-વિમર્શ કરી લોકોને સ્પર્શતા પ્રશ્નોનો ઝડપથી નિકાલ લાવવાની સૂચન પણ કરાયું હતું. ત્યારે શહેરી બેઠકમાં આવતા ગોતાથી સરખેજના 21 જેટલા તળાવોને વધુ આકર્ષક બનાવવા માટે અસરકારક નાંણાકીય આયોજન કરવા તેમજ તેમાં ગટર પાણી ન ભળે તેની તાકીદ કરી આ માટે તજજ્ઞનું માર્ગદર્શન મેળવી કામ ટૂંક સમયમાં પૂર્ણ કરવાનું સૂચન કર્યું હતું. તેમજ વૃક્ષારોપણ અને તેની જાળવણીની વૃક્ષો આપણા અસ્તિત્વ માટે જરૂરી છે.
વૃક્ષારોપણની સાથે સાથે તેના જતન-સંવર્ધન અને સર્વાઈવલ રેટ વધે તે પણ એટલું જ જરૂરી છે. તેમજ શહેરી ગરીબો અને જરૂરિયાતમંદો માટે આવાસો એ સમયની માંગ છે. ત્યારે હાઉસિંગ પોલીસીમાં ગરીબોને સત્વરે આવાસો મળે તે માટે તેમને પ્રાથમિકતા આપવા માટેનું પણ સૂચન કરાયું હતું. સાથે સાથે શહેરમાં હાથ ધરાયેલી રસીકરણ કામગીરીની સમીક્ષા કરી રસીકરણ વધુ વેગવાન બનાવવા પણ સૂચના આપી હતી. જો કે ગાંધીનગર લોકસભામાં સમાવિષ્ટ અમદાવાદ શહેરના વિવિધ વિસ્તારોમાં હાથ ધરાયેલા કામોની સમીક્ષામાં જણાવાયું હતું કે, વર્ષ ૨૦૧૯-૨૦ તથા ૨૦૨૦-૨૧માં રૂ. ૭૬૮.૨૦ કરોડના ખર્ચે પાણી, ડ્રેનેજ, હાઉસીંગ, રોડ, બ્રીજ, અંડરપાસ, બગીચા બનાવવા સહિત ૨૩૨ જેટાલા કામો પૂર્ણ થયા છે. જ્યારે વર્ષ ૨૦૨૧-૨૨માં અંદાજે રૂ. ૨૮૭૩.૪૪ કરોડના ૧૮૬ કામો હાલ પ્રગતિમાં છે. અને રૂ. ૧૮૦૧.૬૮ કરોડના ખર્ચે ૧૬૮ વધુ કામો આયોજન હેઠળ છે.
આમ, ગાંધીનગર લોકસભામાં સમાવિષ્ટ વિસ્તારોમાં કુલ મળીને રૂ.૫૪૪૩.૨૦ કરોડના ખર્ચે જન સુવિધાના કામો ઉભા કરાનાર છે. તેમજ સ્પેશ્યલ પ્રોજેકટ સમીક્ષા અંતર્ગત નારણપુરા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ, ગાંધી આશ્રમ ડેવલપમેન્ટ પ્રોજેક્ટ, પલ્લવ-પ્રગતિનગર સ્પ્લીટ ફ્લાય ઓવ્ર બ્રીજ, સીંધુભુવન પાસે નિર્માણાધિન મલ્ટીલેવલ પાર્કીંગ, જાસપૂર ખાતે બનતા ૨૦૦ એમ.એલ.ડી વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ, સીમ્સ હોસ્પિટલ ફોર લેન ઓવરબ્રીજ, છારોડી તળાવ, બોપલ ઈકોલોજી પાર્ક જેવા પ્રોજેક્ટની સર્વગ્રાહી સમીક્ષા કરી અને તમામ કામો સમયમર્યાદામાં પુરા થાય તેવી અધિકારીઓને તાકીદ પણ કરી હતી.