બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / લાંચકાંડ બાદ AMCનો મોટો નિર્ણય, અમિત ડોંગરે મંજૂર કરેલી તમામ ફાયર NOCની થશે ચકાસણી
Last Updated: 02:45 PM, 8 August 2026
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ચીફ ફાયર ઓફિસર અમિત ડોંગરે સામે ૩૬,૦૦૦ રૂપિયાની લાંચના કેસમાં એસીબીની કાર્યવાહી બાદ હવે ફાયર વિભાગમાં તેમના કાર્યકાળ દરમિયાન થયેલી કામગીરી પણ તપાસના દાયરામાં આવી છે. ફાયર એનઓસી મંજૂર કરાવવા માટે તેમના વતી લાંચ લેતા ભાવસિંહ ઝાલા ઝડપાયા બાદ અમિત ડોંગરેની પણ ધરપકડ કરવામાં આવી છે. હવે મ્યુનિસિપલ કોર્પોરેશનના વિજિલન્સ વિભાગ દ્વારા અમિત ડોંગરે ચીફ ફાયર ઓફિસર બન્યા બાદ જે બિલ્ડિંગને ફાયર એનઓસી આપવામાં આવી છે તેની ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવશે. આ ઉપરાંત તેમના કાર્યકાળ દરમિયાન થયેલાં વિવિધ ટેન્ડર, હોટલ-ટ્યૂશન ક્લાસીસ-સ્કૂલના ફાયર સેફ્ટી ઓડિટ અને ચેકિંગમાં કોઈ ગેરરીતિ થઈ હતી કે નહીં તેની પણ તપાસ કરવામાં આવશે.
ADVERTISEMENT

ફાયર એનઓસીના કેસમાં ફરિયાદી દ્વારા છ અલગ અલગ બિલ્ડિંગની એનઓસી મંજૂરી માટે પ્રક્રિયા કરવામાં આવી હતી. આ એનઓસી મંજૂર કરવાના બદલામાં પ્રતિબિલ્ડિંગ ૬,૦૦૦ રૂપિયા લેખે કુલ ૩૬,૦૦૦ રૂપિયાની લાંચ માગવામાં આવી હોવાનો આરોપ છે. ફરિયાદના આધારે ૭ ઓગસ્ટે મેમનગરના યસ એક્વા કોમ્પ્લેક્સ પાસે એસીબીએ ટ્રેપ ગોઠવી હતી. ભાવસિંહ ઝાલાએ લાંચની રકમ સ્વીકારતાં જ એસીબીની ટીમે તેને ઝડપી લીધો હતો. પૂછપરછ દરમિયાન અમિત ડોંગરેની ભૂમિકા સામે આવતાં તેમની સામે પણ કાર્યવાહી કરવામાં આવી હતી. આ સિવાય ફાયર બ્રિગેડના છ ઓફિસર અને ૬૦થી વધુ કર્મચારીઓ શંકાના દાયરામાં હોવાની શંકા છે.
ADVERTISEMENT
આ સમગ્ર પ્રકરણ બાદ હવે તપાસનો વ્યાપ માત્ર 36,000 રૂપિયાની લાંચ પૂરતો રહે તેવી શક્યતા નથી. અમિત ડોંગરેના કાર્યકાળ દરમિયાન કેટલી એનઓસી મંજૂર થઈ, કયા બિલ્ડિંગમાં ફાયર સેફ્ટીની ચકાસણી થઈ, કયા દસ્તાવેજોના આધારે મંજૂરી આપવામાં આવી અને સ્થળ તપાસમાં નિયમોનું પાલન થયું હતું કે નહીં તે બાબતો પણ તપાસવામાં આવશે. જો કોઈ એનઓસીમાં નિયમોનો ભંગ કે ગેરરીતિ સામે આવશે તો તેની જવાબદારી નક્કી કરવા માટે પણ કાર્યવાહી થઈ શકે છે. આ મામલે મેયર હિતેશ બારોટે જણાવ્યું છે કે અમિત ડોંગરે વિરુદ્ધ કોર્પોરેશનની વિજિલન્સ ટીમ તપાસ કરશે.
ADVERTISEMENT
અમિત ડોંગરેના કાર્યકાળ દરમિયાન હાઇડ્રો પ્લેટફોર્મ અને ટર્ન ટેબલ લેડર ખરીદવા માટે ટેન્ડર બહાર પાડવામાં આવ્યાં હતાં. આ ટેન્ડરમાં કેટલીક કંપનીઓએ ઊંચા ભાવનાં કોટેશન રજૂ કર્યાં હોવાની ચર્ચા વચ્ચે કેટલાક વેપારીઓએ અમદાવાદ મ્યુનિસિપલ કમિશનરને લેખિત રજૂઆત કરી હતી. રજૂઆત બાદ ટેન્ડરની પ્રક્રિયા અટકાવવામાં આવી હતી અને આ મામલે તપાસ શરૂ થઈ હોવાનું સામે આવ્યું હતું. હવે લાંચના કેસ બાદ આ ટેન્ડરમાં કોઈ ગેરરીતિ કે ભ્રષ્ટાચાર થયો હતો કે નહીં તેની પણ વિગતો તપાસવામાં આવે તેવી શક્યતા છે.
ADVERTISEMENT
અમિત ડોંગરે ચીફ ફાયર ઓફિસર બન્યા બાદ મંજૂર થયેલી ફાયર એનઓસીની તપાસ હવે મનપાના વિજિલન્સ વિભાગ માટે મહત્ત્વનો મુદ્દો બની શકે છે. એક-એક ફાઇલની ચકાસણી કરીને એનઓસી આપવાની પ્રક્રિયા નિયમસર થઈ હતી કે નહીં, સ્થળ તપાસ કરવામાં આવી હતી કે નહીં અને ફાયર સેફ્ટીના નિયમનું પાલન થયું હતું કે નહીં તેની તપાસ થશે.
ADVERTISEMENT
દિલ્હીની હોટલ અને લખનૌના ટ્યૂશન ક્લાસીસમાં આગની ઘટનાઓ બાદ રાજ્ય સરકારે ફાયર સેફ્ટીને લઈને કડક કાર્યવાહી કરી હતી. ત્યાર બાદ અમદાવાદમાં હોટલ, ટ્યૂશન ક્લાસીસ અને સ્કૂલોમાં ચેકિંગ તથા ઓડિટ કરવામાં આવ્યાં હતાં. હવે આ કામગીરી દરમિયાન કોઈ ગેરરીતિ, બેદરકારી અથવા એનઓસીમાં નિયમ વિરુદ્ધ મંજૂરી આપવામાં આવી હતી કે નહીં તેની પણ વિજિલન્સ તપાસ કરી શકે છે.
ADVERTISEMENT
સૂત્રોના જણાવ્યા મુજબ લાંચની રકમની લેવડદેવડમાં વિવિધ લોકોના બેંક એકાઉન્ટ અથવા ઓનલાઈન પેમેન્ટ માધ્યમનો ઉપયોગ થયો હોવાની આશંકા છે, જોકે આ બાબત તપાસનો વિષય છે. એસીબી દ્વારા નાણાકીય વ્યવહારોની તપાસ કરવામાં આવશે તો લાંચની રકમ ક્યાંથી આવી અને ક્યાં સુધી પહોંચી તેની કડી મળી શકે છે.
લાંચના કેસ બાદ અમિત ડોંગરેની મિલકત અને નાણાકીય વ્યવહારો અંગે પણ એસીબી દ્વારા તપાસ ચાલી રહી છે. આવકની સરખામણીએ મિલકતમાં કોઈ અસંગતતા છે કે નહીં, બેન્ક ખાતામાં શંકાસ્પદ વ્યવહારો થયા છે કે નહીં અને લાંચની રકમ સાથે કોઈ નાણાકીય કડી છે કે નહીં તેની તપાસ મહત્ત્વની બનશે. છથી વધુ વહીવટદારોની પણ તપાસ આ ઉપરાંત ફાયર વિભાગમાં અમિત ડોંગરે દ્વારા નિયુક્ત કરાયેલા વહીવટદારોની ભૂમિકા પણ તપાસવામાં આવી શકે છે. સૂત્રોના જણાવ્યા મુજબ છથી વધુ વહીવટદારો મારફતે ફાયર સેફ્ટી સંબંધિત કામગીરી થતી હોવાની ચર્ચા છે. આ તમામ દાવાઓની તપાસ બાદ જ હકીકત સ્પષ્ટ થશે. હાલ એસીબીની કાર્યવાહી બાદ ફાયર વિભાગની એનઓસીથી લઈને ટેન્ડર અને ફાયર સેફ્ટી ચેકિંગ સુધીની સમગ્ર કામગીરી તપાસના ઘેરામાં આવી છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.