સોમનાથ મંદિરમાં મળે છે પાંચ પ્રકારના પ્રસાદ,મહિને આટલા કરોડ થાય છે ટર્નઓવર
પહેલા બહાર મોહનથાળનો પ્રસાદ મળતો હતો, 1976માં મંદિર તરફથી પ્રસાદ શરૂ થયો
અંબાજીમાં મોહનથાળનો પ્રસાદ બંધ થઈ જવાના નિર્ણય બાબતે છેલ્લા એક દિવસથી વિવાદ ચાલી રહ્યો છે, હવે અંબાજીમાં મોહનથાળ બંધ કરીને ચિકીનો પ્રસાદ શરૂ કરવામાં આવ્યો છે. બનાસકાંઠાના કલેકટરે જણાવ્યું હતું કે સોમનાથમાં જે રીતે ચિકી અપાય છે એ જ રીતે અને એ જ કોન્ટ્રાકટર પાસેથી ચિકી આપવાની વાત છે. જોકે સોમનાથ મંદિરમાં પરંપરા નથી છતાં ચિકીની સાથે મોહનથાળ આપવામાં આવે છે પરંતુ અંબાજીમાં પરંપરા છે તેમ છતાં મોહનથાળ બંધ કરીને માત્ર ચિકી આપવામાં આવી રહી છે. ખૂબ ઓછા લોકો જાણતા હશે કે હાલ સોમનાથના ટ્રસ્ટી છે PK લહેરી, તેઓ 1975થી 78ની સાલમાં અંબાજી મંદિર ટ્રસ્ટના ચેરમેન રહી ચૂક્યા છે. અને તેમના કાર્યકાળ સમયમાં જ મંદિર તરફથી મોહનથાળનો પ્રસાદ શરૂ કરવામાં આવ્યો હતો.
સોમનાથમાં મોહનથાળ સહિત પાંચ પ્રકારના પ્રસાદ મળે છે
ત્યારે VTV સાથે ખાસ વાતચીતમાં અંબાજીના ભૂતપૂર્વ ચેરમેન તથા કલેક્ટર PK લહેરીએ જણાવ્યું હતું કે તેમના કાર્યકાળ દરમિયાન જ ટ્રસ્ટીઓએ ભેગા થઈને મંદિર ટ્રસ્ટ તરફથી જ મોહનથાળનો પ્રસાદ આપવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. તેમણે વધુમાં કહ્યું કે સોમનાથ મંદિરમાં બે પ્રકારની ચિકી સહિત કુલ પાંચ પ્રકારનો પ્રસાદ આપવામાં આવે છે, અને મહિને બે કરોડ રૂપિયા સુધીનો પ્રસાદ આપવામાં આવે છે.
PK લહેરીએ કહ્યું મોહનથાળના પ્રસાદનું વિતરણ ખૂબ સરસ ચાલતું હતું
PK લહેરીએ એમ પણ કહ્યું હતું કે હું ચેરમેન હતો તે જ સમયે આ મોહનથાળનો પ્રસાદ મંદિર તરફથી શરૂ કરવામાં આવ્યો હતો અને અત્યાર સુધી ખૂબ સરસ રીતે આ પ્રસાદ ચાલતો હતો, અને 46 વર્ષથી આ પ્રસાદ વિતરણનું કામ ખૂબ સારી રીતે ચાલી રહ્યું હતું. પહેલા પાંચ રૂપિયાનું પેકેટ મળતું હતું અને હજુ પણ સારી રીતે ચાલતું હતું પણ આ કેમ બંધ કરવામાં આવ્યું છે તેની કોઈ વિગત મળતી નથી.
ચિકીના પ્રસાદ અંગે કલેક્ટરનું મહત્વનું નિવેદન
ગુજરાતના આધાસ્થાત એવાં અંબાજી મંદિરમાં પ્રસાદમાં અત્યાર સુધી મોહનથાળ આપવામાં આવતો હતો. પરંતુ હવે અચાનક તે બંધ કરી દેવાતા માઇ ભક્તોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ત્યારે આ મુદ્દે બનાસકાંઠાના કલેક્ટર આનંદ પટેલે VTV સાથેની Exclusive વાતચીત કરી હતી. તેમાં તેઓએ જણાવ્યું હતું કે, 'હવેથી પ્રસાદમાં મોહનથાળ બંધ કરી દેવામાં આવ્યો છે અને પ્રસાદમાં ચિકી આપવામાં આવશે. ઉતર ગુજરાતની જ કોઇ કોન્ટ્રાક્ટ એન્જસીને કામ સોંપવામાં આવ્યું છે. જે કોન્ટ્રાકટ એજન્સી સોમનાથ મંદિરને પણ ચિકીનો પ્રસાદ પૂરો પાડે છે. એ જ એજન્સી હવે અંબાજી મંદિરને પણ ચીકીનો પ્રસાદ પૂરો પાડશે.'
ઉગ્ર આંદોલનની ઉચ્ચારી હતી ચીમકી
અંબાજી મંદિરમાં મોહનથાળ બંધ થવાના નિર્ણયનો ગ્રામજનોએ પણ ઉગ્ર વિરોધ કર્યો છે. ત્યારે હિન્દુ હિત રક્ષક સમિતિ દ્વારા આ બાબતે વિરોધ પ્રદર્શન કરાયું છે. અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટને 48 કલાકનું અલ્ટીમેટમ અપાયું છે. 48 કલાકમાં ફરી મોહનથાળ મંદિરમાં ચાલુ કરવા માંગ કરાઈ છે. 48 કલાક બાદ પણ મોહનથાળ ફરી ચાલુ નહી થાય તો ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી છે. અંબાજી બંધ રાખવું પડે કે ભૂખ હડતાળ કરવી પડે તો પણ તમામ પ્રકારની તૈયારીઓ દર્શાવી છે. તો ભાજપના મીડિયા કન્વીનર યજ્ઞેશ દવેએ પણ મોહનથાળનો પ્રસાદ ફરી શરૂ કરવાની માંગ કરી છે.
ચિકીના પ્રસાદમાં નફો વધુ, નફા માટે કરોડો લોકોની આસ્થા સામે વ્રજધાત: કોંગ્રેસ પ્રવક્તા હેમાંગ રાવલ
અંબાજી મંદિરના પ્રસાદના વિવાદ મામલે ગુજરાત કોંગ્રેસ પ્રવક્તા હેમાંગ રાવલે પત્રકાર પરિષદ સંબોધતા જણાવ્યું કે, 'મંદિરોમાં નાણાનો બેરોકટોક વ્યય થઈ રહ્યો છે. અધિકારીઓ અણધણ નિર્ણયો લઈ રહ્યાં છે. અંબાજી મંદિરમાં ૬ દાયકાથી મોહનથાળનો પ્રસાદ મળે છે. દોઢ વર્ષમાં મોહનથાળના પ્રસાદના ભાવમાં 150%નો વધારો કરાયો. 20 કરોડનો મોહનથાળનો પ્રસાદ વહેચાતો હતો. છેલ્લા 8 મહિનાથી ચિક્કીનો પ્રસાદ શરૂ કરાયો છે. ચિકી સામે મોહનથાળના પ્રસાદની ડિમાન્ડ વધારે છે. પરંતુ કલેક્ટરે અચાનક જ મોહનથાળનો પ્રસાદ બંધ કરવાનો નિર્ણય કર્યો. ચિકીના પ્રસાદમાં નફો વધુ છે. માર્કેટમાં બ્રાન્ડેડ ચિકી 5 રૂપિયામાં મળે છે. અંબાજી મંદિરમાં 4 ચિકી 25 રૂપિયામાં વહેંચવામાં આવે છે. આથી નફા માટે કરોડો લોકોની આસ્થા સામે વ્રજધાત કરવામાં આવે છે. ભક્તો મંદિરમાં પૈસા આપે છે તેનો વ્યય થઈ રહ્યો છે. આથી RTIમાં માહિતી માંગવામાં આવી છે. નેતાઓ પાછળ મંદિરનું દેવસ્થાન ટ્રસ્ટ ખર્ચ ચૂકવે છે. નેતાઓ અને સગા સંબંધીઓ ગેસ્ટ હાઉસમાં રોકાય અને તેમના ચા પાણીનો ખર્ચ ટ્રસ્ટ ચૂકવે છે. દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા આવી રીતે 21 લાખનો ખર્ચ ચૂકવાયો હોવાની વાત RTIમાં સામે આવી છે.'