બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / જગન્નાથજીની નેત્રોત્સવ પૂજા, સોનાવેશના દર્શન, રથયાત્રાના કાર્યક્રમનો આવતીકાલથી શુભારંભ
Last Updated: 01:22 PM, 13 July 2026
અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની 149મી ઐતિહાસિક રથયાત્રા 16 જુલાઈ, ગુરુવારે ભવ્ય રીતે યોજાવાની છે. વર્ષોથી ચાલી આવતી આ પરંપરાગત રથયાત્રા માટે મંદિર તરફથી તેમજ રાજ્ય સરકાર અને પોલીસ વિભાગ દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. રથયાત્રા દર વર્ષની જેમ નિર્ધારિત રૂટ પરથી પસાર થશે. રથયાત્રાની શરૂઆત પહેલાં ભગવાન જગન્નાથજી, ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રાના રથનું પૂજન કરવામાં આવશે. ત્યારબાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પરંપરા મુજબ પહિંદ વિધિ કરીને રથને ખેંચશે અને રથયાત્રાનો પ્રારંભ થશે.
ADVERTISEMENT
આ વર્ષની રથયાત્રામાં અનેક વિશેષ આયોજન કરવામાં આવ્યા છે. યાત્રાના આગળના ભાગમાં 18 શણગારેલા ગજરાજો જોડાશે. ત્યારબાદ ભારતીય સંસ્કૃતિ અને પરંપરાની ઝાંખી રજૂ કરતા 101 થીમ આધારિત ટ્રકો રથયાત્રામાં સામેલ થશે. આ ઉપરાંત 30 અખાડાઓના સાધકો દ્વારા અંગકસરતના વિવિધ પ્રયોગો રજૂ કરવામાં આવશે. 18 ભજન મંડળીઓ અને ત્રણ બેન્ડવાજા સાથે ભક્તિમય વાતાવરણ સર્જાશે. ભગવાનના રથને ખેંચવા માટે અંદાજે 1000થી 1200 ખલાસી ભાઈઓ પોતાની સેવા આપશે.
ADVERTISEMENT

ADVERTISEMENT
અમદાવાદની જગન્નાથ રથયાત્રામાં દર વર્ષે દેશભરના સાધુ-સંતો હાજરી આપે છે. આ વર્ષે પણ હરિદ્વાર, અયોધ્યા, નાશિક, ઉજ્જૈન, જગન્નાથપુરી અને સૌરાષ્ટ્ર સહિતના વિસ્તારોમાંથી આશરે 2500 સાધુ-સંતો રથયાત્રામાં જોડાવાની શક્યતા છે. રથયાત્રા માત્ર ધાર્મિક ઉત્સવ નહીં પરંતુ સામાજિક એકતા અને ભક્તિનું પ્રતિક માનવામાં આવે છે. લાખો શ્રદ્ધાળુઓ ભગવાનના દર્શન માટે રસ્તાઓ પર ઉમટી પડે છે.
ADVERTISEMENT
રથયાત્રાના દિવસે વહેલી સવારે મંગળા આરતી બાદ વિવિધ ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. આદિવાસી નૃત્ય, રાસ અને ગરબાના કાર્યક્રમો પણ યોજાશે. ભક્તો માટે પ્રસાદની વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. રથયાત્રા દરમિયાન આશરે 45 હજાર કિલો મગ, 500 કિલો જાંબુ, 500 કિલો કેરી, 400 કિલો કાકડી, દાડમ સહિતની સામગ્રીનું વિતરણ કરવામાં આવશે. આ ઉપરાંત બે લાખ ઉપેરણાં પણ પ્રસાદ રૂપે આપવામાં આવશે.

ADVERTISEMENT
આ પણ વાંચોઃ આ તારીખથી ગુજરાતમાં વરસાદ છોતરાં કાઢી નાખશે, રથયાત્રાના દિવસે...: અંબાલાલની આગાહી
ADVERTISEMENT
રથયાત્રા પહેલા 14 જુલાઈએ ભગવાન જગન્નાથજીની નેત્રોત્સવ પૂજા, ધ્વજારોહણ અને સંત સન્માન જેવા કાર્યક્રમો યોજાશે. આ પ્રસંગે રાજ્યના અનેક મોટા નેતાઓ અને મહાનુભાવો હાજર રહેશે. 15 જુલાઈના રોજ ભગવાનના સોનાવેશના દર્શન યોજાશે. આ સાથે ત્રણેય રથોની પ્રતિષ્ઠા, પૂજન, ગજરાજોની પૂજા અને શહેર શાંતિ સમિતિની મુલાકાતનું આયોજન કરવામાં આવ્યું છે. સાંજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વિશેષ પૂજા અને આરતી કરશે.
અમદાવાદ પોલીસે રથયાત્રાને સુરક્ષિત રીતે પૂર્ણ કરવા માટે વિશાળ બંદોબસ્ત ગોઠવ્યો છે. પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલોતના જણાવ્યા પ્રમાણે રથયાત્રામાં 31 હજારથી વધુ પોલીસ કર્મચારીઓ તૈનાત રહેશે.સુરક્ષા વ્યવસ્થામાં ટેક્નોલોજીનો પણ મોટા પ્રમાણમાં ઉપયોગ કરવામાં આવશે. સમગ્ર રથયાત્રાના રૂટ પર 3500થી વધુ કેમેરાથી સતત નજર રાખવામાં આવશે. ભીડ નિયંત્રણ માટે આધુનિક સિસ્ટમનો ઉપયોગ કરાશે.
આ વર્ષે સુરક્ષા માટે ફેસ રેકોગ્નાઈઝ સિસ્ટમનો ઉપયોગ કરવામાં આવશે. આ સિસ્ટમની મદદથી શંકાસ્પદ અને અસામાજિક તત્વોની ઓળખ કરવામાં આવશે. રથયાત્રાના માર્ગ પર 11 એમ્બ્યુલન્સ અને ફાયર બ્રિગેડની ટીમો પણ તૈયાર રાખવામાં આવશે. સંવેદનશીલ વિસ્તારોમાં ખાસ પોલીસ વ્યવસ્થા રહેશે જેથી રથયાત્રા શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થઈ શકે.
રથયાત્રા પહેલા પોલીસ વિભાગ દ્વારા સમગ્ર રૂટનું નિરીક્ષણ કરવામાં આવ્યું છે. પોલીસ કમિશનર સહિત ઉચ્ચ અધિકારીઓએ રથયાત્રાના માર્ગ પર ચાલીને સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરી હતી. સરસપુર ખાતે ભગવાનના મામેરાનું પણ રિહર્સલ કરવામાં આવ્યું હતું. જ્યાં કોઈ ખામી જોવા મળી ત્યાં સુધારા માટે સૂચના આપવામાં આવી છે. રથયાત્રાના દિવસે કોઈ મુશ્કેલી ન સર્જાય તે માટે પોલીસ અને વહીવટી તંત્ર સંપૂર્ણ રીતે તૈયાર છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.