ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / અમદાવાદમાં ભારે વરસાદ: મણિનગર અને હાટકેશ્વરમાં જળબંબાકાર
Last Updated: 12:57 PM, 18 September 2026
ADVERTISEMENT
અમદાવાદ શહેરમાં આજે પડેલા ભારે વરસાદને પગલે શહેરના અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી. મુખ્ય માર્ગો પર ઘૂંટણસમા પાણી ભરાતા વાહનચાલકો અને રાહદારીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. ઓફિસના સમય દરમિયાન વરસાદ વરસતા લોકો ટ્રાફિક અને પાણી ભરાવાના કારણે પરેશાન થયા હતા. હેલ્મેટ ચાર રસ્તા સહિતના વિસ્તારોમાં પણ રસ્તાઓ પાણીમાં ગરકાવ જોવા મળ્યા હતા. એમટીએસનું અડધું સ્ટેન્ડ પણ પાણીમાં ડૂબી જતાં મુસાફરોને મુશ્કેલી પડી હતી. પાણી ભરાવાના કારણે કેટલાક લોકોએ પોતાના વાહનો રસ્તા પર જ મૂકીને પગપાળા ઓફિસ તરફ જવાની ફરજ પડી હતી. સ્થાનિક લોકોએ ડ્રેનેજ વ્યવસ્થા સામે સવાલ ઉઠાવતા જણાવ્યું હતું કે કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યા બાદ પણ સામાન્ય વરસાદમાં રસ્તાઓ પર પાણી ભરાઈ જવાની સમસ્યા યથાવત છે.
ADVERTISEMENT
અમદાવાદમાં વરસાદથી વસ્ત્રાપુર બહુમાળી ભવનમાં પાણી ભરાયા
ADVERTISEMENT
અમદાવાદમાં પડેલા વરસાદ બાદ શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા જોવા મળી હતી. વસ્ત્રાપુર સ્થિત બહુમાળી ભવનના કેમ્પસમાં પણ વરસાદી પાણી ભરાતા અહીં આવતા લોકો અને કર્મચારીઓને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. કેમ્પસમાં પાણી ભરાઈ જતાં અવરજવર પણ પ્રભાવિત થઈ હતી. સ્થાનિકોના જણાવ્યા મુજબ, દર વર્ષે વરસાદ દરમિયાન આ સ્થળે પાણી ભરાવાની સમસ્યા સર્જાય છે. વારંવારની સમસ્યા છતાં કાયમી ઉકેલ ન આવતાં સ્થાનિકોએ તંત્ર સામે નારાજગી વ્યક્ત કરી હતી. લોકોની માંગ છે કે પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા કરી આ સમસ્યાનું કાયમી નિરાકરણ લાવવામાં આવે.
ADVERTISEMENT
અનેક વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ
અમદાવાદમાં ભારે વરસાદના પગલે શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ છે. AMC તંત્રના જણાવ્યા મુજબ સવારથી શહેરમાં સરેરાશ 2 ઈંચ વરસાદ નોંધાયો છે, જ્યારે સરખેજ, વાસણા અને કાલુપુર સહિતના વિસ્તારોમાં એક કલાક દરમિયાન ભારે વરસાદ પડ્યો હતો. કેટલાક વિસ્તારોમાં એક કલાકમાં 4 ઈંચ સુધી વરસાદ નોંધાતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. પાણી ભરાવાની ફરિયાદોને પગલે AMC દ્વારા 32 વરુણ પંપ ફિલ્ડમાં મૂકવામાં આવ્યા છે અને વિવિધ સ્થળોએ પાણીના નિકાલની કામગીરી હાથ ધરવામાં આવી છે. શહેરના 18 જંક્શન પર પાણી ભરાવાની ફરિયાદ મળી હતી, જેમાંથી 8 સ્થળોએ પાણીનો નિકાલ કરવામાં આવ્યો છે. ઉપરાંત, 235 સોસાયટીઓમાં પાણી ભરાવાની સમસ્યા સામે આવી છે અને કામગીરી હજુ ચાલુ છે. ભારે વરસાદના કારણે 45 ઝાડ પડવાની ફરિયાદો પણ મળી છે. અખબારનગર અંડરપાસ હાલ બંધ રાખવામાં આવ્યો છે. બીજી તરફ, વાસણા બેરેજનું લેવલ ઘટાડીને 126.5 કરવામાં આવ્યું છે. AMCનું કહેવું છે કે શહેરના મોટાભાગના વિસ્તારોમાંથી પાણી ધીમે ધીમે ઉતરી જશે.
ADVERTISEMENT
વહેલી સવારથી ગાજવીજ સાથે વરસાદ
ADVERTISEMENT
અમદાવાદના ગ્રામ્ય વિસ્તારોમાં વહેલી સવારથી ગાજવીજ સાથે વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. બાવળા, ધોળકા અને સાણંદ સહિતના વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો. કેટલાક સ્થળોએ ભારે વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જતા લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. મુખ્ય માર્ગો પર પણ પાણી ભરાતા વાહનચાલકોને અવરજવરમાં હાલાકી પડી હતી. વરસાદને કારણે સ્થાનિક જનજીવન પર પણ અસર જોવા મળી હતી.
ADVERTISEMENT
આ પણ વાંચોઃ અમદાવાદમાં ધોધમાર વરસાદ વચ્ચે 11 સ્થળે ઝાડ ધરાશાયી, ફાયર બ્રિગેડની ટીમે દોડી જઈ રસ્તા પરથી વૃક્ષો હટાવ્યાં
અમદાવાદમાં ધોધમાર વરસાદથી અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ
અમદાવાદમાં મેઘરાજાએ ફરી તોફાની બેટિંગ શરૂ કરતાં શહેરના અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. ખાસ કરીને પૂર્વ અમદાવાદમાં ભારે વરસાદના કારણે જનજીવન ખોરવાયું છે. મણિનગર અને હાટકેશ્વર વિસ્તારમાં રસ્તાઓ પર પાણી ભરાઈ જતાં વાહનચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. હાટકેશ્વરની અનેક સોસાયટીઓમાં પણ વરસાદી પાણી ઘૂસી જતાં સ્થાનિકોમાં ચિંતા ફેલાઈ છે. ખોખરાથી હાટકેશ્વર તરફ જતો મુખ્ય માર્ગ પાણીમાં ગરકાવ થતાં વાહનવ્યવહારને અસર પહોંચી છે. સ્થાનિક તંત્ર દ્વારા પાણીના નિકાલની કામગીરી હાથ ધરાય તેવી સ્થિતિ વચ્ચે લોકોને સાવચેતી રાખવા અપીલ કરવામાં આવી રહી છે.
સંકળાયેલા મુદ્દાઓ
Vishal Khamar is Senior Sub-Editor at VTV Gujarati with 15+ years of digital journalism experience. He covers crime and civic issues.