18 એપ્રિલે 1669ના રોજ ઓરંગઝેબના હુકમથી આદિ વિશ્વેશ્વરા મંદિરને ધ્વસ્ત કરાયું હતું, જેમાંથી જ્ઞાનવાપી કૂપ અને સ્વયંભૂ જ્યોતિર્લિંગ બચી ગયા હતા. આજે 350 વર્ષો પછી જ્ઞાનવાપી કૂપ, સ્વયંભૂ જ્યોતિર્લિંગ અને વિશાળ નંદીને કાશી વિશ્વનાથ મંદિરના પરિક્રમા મંડપમાં ફરીથી શામેલ કરવામાં આવ્યા છે.
મુઘલ સેનાએ આદિ વિશ્વેશ્વરા મંદિર નષ્ટ કર્યું તે પહેલાં જ્ઞાનવાપી પરિસર અને જ્ઞાનવાપી કૂપ એ મંદિરના ભાગ હતા. સ્કંદપુરાણના કાશી ખંડમાં જ્ઞાનવાપીનો વિગતવાર સંદર્ભ છે. મહારાણી અહલ્યાબાઈ દ્વારા 1780માં બાંધવામાં આવેલા કાશી વિશ્વનાથ મંદિરની બાજુના પરિસરમાં જ્ઞાનવાપી કૂવો આવેલો છે.
મુઘલ સેના સ્વયંભૂ જ્યોતિર્લિંગને નુકસાન ના પહોંચાડે, તે માટે તે સમયના મહંતે પન્નાના શિવલિંગનને લઇને જ્ઞાનવાપી કૂવામાં કૂદકો લગાવ્યો હતો. કુવા પાસેનો વિશાળ નંદી આજે પણ બિરાજમાન છે, જેની સ્થાપના આદિ વિશ્વેશ્વર મંદિરના સમયગાળા દરમિયાન થઈ હતી અને તેનું મોઢું એ બાજુ છે જ્યાં જૂના મંદિરો સ્થિત હતા. નોંધનીય છે કે આ દિશામાં મસ્જિદનું ભોંયતળ આવેલું છે.
750 કરોડના ખર્ચે બનાવવામાં આવી રહ્યું છે વિશ્વનાથ ધામ
એવું કહેવાય છે કે ઘણા પ્રયત્નો છતાં પણ મુઘલ સેના નંદીને તોડી શકી નહીં. મંદિરને તોડી પાડ્યા બાદ બાદશાહના આદેશ પ્રમાણે મંદિરના કાટમાળથી તે જ જગ્યાએ મસ્જિદ બનાવવામાં આવી હતી. વિશ્વનાથ ધામ પ્રોજેક્ટ અંતર્ગત કાશી વિશ્વનાથ મંદિર સંકુલ(બાબા દરબાર)નો વિસ્તાર વધારવામાં આવી રહ્યો છે. આ મંદિર આશરે 750 કરોડના ખર્ચે 45 હજાર ચોરસ મીટર ક્ષેત્રમાં આકાર લેશે.
હાલમાં મુખ્ય મંદિર સંકુલ 30x45 મીટરનો એરિયા વધારીને 75x45 મીટર કરવામાં આવશે, જેથી જ્ઞાનવાપી કૂપ અને આદિ વિશ્વેશ્વર મંદિરના નંદી પણ પરિક્રમા મંડપની અંદર સામેલ થઇ જશે. પરિક્રમા મંડપ બનાવવા માટે મુખ્ય મંદિર સંકુલની આજુબાજુ એક બેઝ બનાવવામાં આવ્યો છે જે 10 ફુટ પહોળો અને 6 ફૂટ ઊંડો હશે અને તે સિમેન્ટના આધાર પર 157 જોડ થાંભલાઓથી પરિક્રમ મંડપ પર આકાર લેશે. મંદિર સંકુલમાં પ્રવેશ માટે ચારેય દિશામાં 32 ફૂટ ઊંચા અને 40 ફૂટ પહોળા કિલ્લા જેવા દરવાજા બનાવવામાં આવશે. બધા દરવાજાના થાંભલા અને દિવાલો ચુનારાના ગુલાબી પથ્થરથી ઝગમગશે.
ASI દ્વારા દસ્તાવેજ તૈયાર કરવામાં આવી રહ્યાં છે
વિશ્વનાથ ધામના નિર્માણ માટે લગભગ ત્રણસો મકાનો તોડી પાડ્યા પછી મળેલા 60થી વધુ પૌરાણિક મંદિરોના ઐતિહાસિક દસ્તાવેજો તૈયાર કરવાનું કામ શરૂ થયું છે. એક ડઝન મંદિરોની વાસ્તુકલા અદભૂત છે, જ્યારે ત્યાં 30 મંદિરો એવા છે જેનો ઉલ્લેખ સ્કંદ પુરાણના કાશી ખંડમાં કરવામાં આવ્યો છે.
ASIની ટેમ્પલ સર્વે ટીમ અત્યારે વિશ્વનાથ ધામનો ભાગ બનવા જઈ રહેલા આ મંદિરોની નિર્માણની શૈલી, સ્થાપિત દેવતાઓની પ્રાચીનતા અને તેમને બનાવવા માટે વપરાયેલા પથ્થરોના પ્રકારનું અધ્યયન કરી રહી છે. આ એ જ ટીમ છે જેણે અયોધ્યાના શ્રી રામ મંદિરની પુરાતત્ત્વીય શોધમાં મહત્વની ભૂમિકા નિભાવી હતી.